સર્જક:મૂળદાસ

વિકિસ્રોતમાંથી
જન્મ 1675
અમોદરા (તા. ઉના)
મૃત્યુ 1779
અમરેલી
વ્યવસાય કવિ, સંત
ભાષા ગુજરાતી ભાષા

મૂળદાસ (૧૬૭૫-૧૭૭૯) નરસિંહ મહેતાની હરોળના જાણીતા સંતકવિ છે. તેમનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામે લુહાર જ્ઞાતિમાં વિ.સં. ૧૭૩૧ કારતક સુદ ૧૧ને સોમવારના રોજ થયો હતો. પિતાનું નામ કૃષ્ણ અને માતાનું નામ ગંગાબાઇ. ગોંડલના લોહલંગરીબાપુ તેમના ગુરુ હતા. શીલદાસ, હાથીરામ અને જદુરામ નામે તેમના શિષ્યો થયા હતા. જામનગરના રાજા રાવળજામે પણ તેઓને પોતાના ગુરુ પદે સ્થાપ્યા હતા અને કંઠી બંધાવી હતી. ૩૦૦થી વધુ વર્ષ પૂર્વે સંવત ૧૭૬૮માં તેમણે અમરેલીમાં આશ્રમ સ્થાપ્યો હતો. તેઓના જીવન સાથે અનેક ચમત્કારો પણ વણાયેલા છે. તેમજ તેઓના ઉતકૃષ્ઠ જીવનના પાસાને ઉજાગર કરતી કેટલીક ઘટનાઓ આજે પણ લોકમુખે ભૂલાઇ નથી. તેઓના કેટલાક ભજનો અને ગીતો આજે પણ જાણીતા છે અને ઘરે ઘરે ગવાય છે. આજે પણ અમરેલીમાં તેમનો આશ્રમ અને ત્યાં તેમની સમાધી આવેલા છે. એક વખત રાતના સમયે આશ્રમ પાસે એક સ્ત્રી કૂવામાં પડવા માટે આવી, તેના પેટમાં કોઇનું સંતાન હતું જેના પિતા તરીકે તે તે વ્યક્તિનું નામ આપી શકે તેમ નહોતી. મહાત્માએ તેને મરતા અટકાવી અને પિતા તરીકે પોતાનું નામ આપવા જણાવ્યું. બીજાનું કલંક પોતાના ઉપર લઈ લીધું. આ વાત જાહેર થતા અમરેલીના લોકોએ અવળા ગધેડે બેસાડીને તેમને શહેરમાં ફેરવ્યાં. બાદમાં સત્ય બહાર આવતા માફી માગી. આ સ્ત્રીને જે સંતાન થયું તેનું નામ રાધા હતુ. આ રાધાના પુત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા સંત મુક્તાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા.

આ સંતકવિએ ભક્તિ વૈરાગ્યબોધ અને આત્માવિષયક આરતી, કીર્તન, ગરબી, બારમાસી, ભજન જેવી પદ પ્રકારની ગુજરાતી-હિન્દી રચના કરી છે. આ ઉપરાંત ટૂંકી આખ્યાન્ત્મક કૃતિઓ તથા ભાગવતનો બીજો સ્કંધ તેમણે આપ્યા છે.એ સિવાય હિન્દી ભાષામાં ‘ચોવીસ ગુરુદત્તલીલા’ અને કેટલાંક પદો તથા ‘બારમાસી’‚ ‘હરિનામલીલા’ ‘ગુરુગીતા’ ‘સાસુવહુનો સંવાદ’ સમસ્યાઓ‚ મર્કટીનું આખ્યાન‚ ‘ભગવદ્દગીતાનો અનુવાદ’ ‘ભાગવત બીજો સ્કંધ’ વગેરે રચનાઓ. જેમાં મહાપંથની અસરો દેખાડતી ભજનવાણી ‘ચૂંદડી’‚ રૂપકગર્ભ પદો અત્યંત લોકપ્રિય થયાં છે. પત્ની વેલુબાઈનુ અવસાન થતા સં.૧૭૭ર ઇ.સ.૧૭૧૬ વેલુબાઈ પાછળ ભંડારો કર્યો. પછી આશ્રમનો વહીવટ શીલદાસ નામના શિષ્યને સોંપીને દ્વારકાની યાત્રાએ નીકળ્યા. તેમણે સં. ૧૮૩પ‚ ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે જીવતા સમાધી લીધી હતી.

વિકિસ્રોત પર ઉપલબ્ધ મૂળદાસજીની કૃતિઓ[ફેરફાર કરો]

મૂળદાસની કૃતિઓ

સંદર્ભો[ફેરફાર કરો]

  • પુસ્તકઃ મહાત્મા મૂળદાસ, પ્રકાશકઃ સ્વામિનારાયણ મંદિર, અમરેલી.
  • ગુજરાતી ચલચિત્રઃ મહાત્મા મૂળદાસ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

http://kathiyawadikhamir.wordpress.com/%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%93/