સાંભળો કામની કૃષ્ણ કાયર કહે

વિકિસ્રોતમાંથી
સાંભળો કામની કૃષ્ણ કાયર કહે
નરસિંહ મહેતા


સાંભળો કામની કૃષ્ણ કાયર કહે, તાહરા મંદિરથકો નહીરે જાઉં;
અવર કો નાર નહીં તૂજ સારખી, જેહને ફૂલ કરી હું બંધાઉં.
તું વનવેલડી, હું વનમાળી, સીંચવે સમર્થ દ્રષ્ટિ કરૂં;
તુજ પાસલે રાખું શીતલ પાણિ ધરી, પ્રેમની વાડ કરૂં.
સાંભળો સુંદરી એમ કહે શ્રીહરિ, જેની ફૂલમાળા કરી હું રે બાંધ્યો;
ચૌદ ભુવનતણાં બંધન છોડવું, મેં જાણ્યું તે મોહની મંત્ર સાધ્યો.
માન તું માનની, માન માગી કહું, નહીં તજું મંદિર બોલ દીધો;
નરસિંહાચો સ્વામી, સર્વે રસ લહ્યો, સુરત સગ્રામ આધીન કીધો.