સુખ દુ:ખ મનમા ન આણિયે

વિકિસ્રોતમાંથી
સુખ દુ:ખ મનમા ન આણિયે
નરસિંહ મહેતા


સુખદુઃખ મનમાં ન આણિએ, ઘટ સાથે રે ઘડિયાં;
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં. સુખ દુઃખ-ટેક.
નલરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી. સુખ દુઃખ
પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિંદ્રા ન આણી. સુખ દુઃખ
સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી. સુખ દુઃખ
રાવણ સરિખો રાજીયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લુંટાણી. સુખ દુઃખ
હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, તારાલોચનિ રાણી;
તેને વિપત્તિ બહુ પડી, ભર્યાં નિચ ઘેર પાણી. સુખ દુઃખ
શિવજી સરખા સતા નહીં, જેની પાર્વતી રાણી;
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી. સુખ દુઃખ
સર્વ દેવને જ્યારે ભિડ પડી, સમર્‌યા અંતરજામી;
ભાવટ ભાંગી ભૂધરે, મેહેતા નરસૈંને સ્વામી. સુખ દુઃખ


અન્ય સંસ્કરણ

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં … સુખદુઃખ

નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી … સુખદુઃખ

પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયને નિંદ્રા ન આણી … સુખદુઃખ

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી … સુખદુઃખ

રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઇ ગયાં, બધી લંકા લુંટાણી … સુખદુઃખ

હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;
તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી … સુખદુઃખ

શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી;
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી … સુખદુઃખ


એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;
જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે … સુખદુઃખ

સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી … સુખદુઃખ


નરસિંહ મહેતા

નરસિંહ મહેતા (વિકિપીડિયા ગુજરાતી)