સ્વર અને વ્યંજન

વિકિસ્રોતમાંથી
સ્વર અને વ્યંજન
[[સર્જક:|]]




સ્વર અને વ્યંજન

વિચારોની આપલે કે પોતાની ઈચ્છિત વાત અન્યને જણાવવા માટે માનવ પ્રજાતિમાં સંભાષણ એક પ્રમુખ અંગ છે. વિશ્વની કોઈપણ ભાષા/બોલીને બોલવા કે શ્રાવ્ય સ્વરૂપ આપવા માટે જરુરી છે નાદ, અવાજ કે ધ્વનિ. માનવ પ્રજાતિ દ્વારા આ ધ્વનિ પ્રાયઃ ગળામાંથી નીકળે છે. આ ધ્વનિ હવાની મદદ વડે ઉત્પન્ન કરાય છે. શ્વાસોચ્છ્વાસ દ્વારા ઉત્સર્જિત હવાનો ઉપયોગ કરી સ્વર પેટી વડે ધ્વનિ ઉત્પન્ન કરાતો હોય છે.

ઉચ્છ્વાસીત હવા વડે બહાર નીકળતી હવા કોઈપણ જગ્યાએ અટક્યા વગર નીકળે અને જે ધ્વનિ નીકળે તે ધ્વનિઓને ‘સ્વર’ કહેવાય છે. અ,આ,ઈ વગેરે બોલતી વખતે નીકળતી હવાને ક્યાંય પણ અટકાવ્યા વગર નીકળે છે આ બધાં સ્વર છે.

એ જ રીતે બહાર નીકળતી હવા જો ક્યાંય પણ અટકીને કે ઘસાઈને નીકળે અને એને કારણે જે ધ્વનિઓ પ્રગટે તેને વ્યંજનો કહેવાય છે. અથવા તો એવો ધ્વનિ કે જેને લંબાવતાં તેનો અંત સ્વર થઈ ને આવે તે સ્વર છે. ક્ થી ળ્ સુધી અક્ષરો એ ગુજરાતી ભાષાના ૩૪ વ્યંજનો છે.

ગુજરાતીમાં કુલ ૪૨ બેતાલીસ મૂળ અક્ષરો છે. એમાં આઠ સ્વરો અને બાકીના ૩૪ વ્યંજનો છે.

સ્વર

કુલ સ્વર 13 છે,માન્ય સ્વર 11 છે અને પ્રબોધ પંડિત ના મતે સ્વર 8 છે, સ્વર એ સ્વતંત્ર ધ્વનિ છે અને તેના ઉચ્ચાર માટે એ કોઈના પર આધારિત નથી. તેને સ્વતંત્ર રીતે બોલી શકાય છે. ગુજરાતી ભાષામાં ‘અ’, ‘આ’, ‘ઇ’, ‘ઈ’, ‘ઉ’, ‘ઊ’, 'એ' અને ‘ઓ’ એમ ૮ સ્વર છે.

‘ઐ’ અને ‘ઔ’ એ બંને સ્વરો અ + ઇ અને અ + ઉ મળીને બનતા હોઈ એમને પણ સ્વતંત્ર સ્વર ગણાતા નથી. સ્વરના ઉચ્ચાર વખતે હવા ક્યાંય પણ રોકાતી નથી,કે પછડાતી નથી તેને લીધે જ સંગીતમાં જ્યારે આલાપ લેવાના આવે ત્યારે સ્વરનો જ આશરો લેવાય છે કારણ કે એને ઉચ્ચારવામાં હવાને ક્યાંય કરતાં ક્યાંય અટકાવ થતો જ નથી.

ઉચ્ચાર સ્થાન પ્રમાણે સ્વરોને આ પ્રમાણે વર્ગીકૃત કરાય છે.

ઉચ્ચાર સ્થાન! સ્વર
કંઠ્ય અ તથા આ
તાલવ્ય
મૂર્ધન્ય(દાંત -તાળવા વચ્ચે)
ઔષ્ઠ્ય
કંઠ્ય + તાલુ એ અને ઐ
કંઠ્ય + ઔષ્ઠ્ય ઓ અને ઔ

વ્યંજન

તેનાથી વિપરીત વ્યંજનો એટલે કે ‘ક્’ થી લઈને ‘ળ્’ સુધીના બધા જ વ્યંજન સ્વતંત્ર રીતે બોલી શકાતા નથી. વ્યંજનને પૂર્ણ રીતે ઉચ્ચારવા માટે સ્વરનો આશરો લેવો પડે છે. આપણે જ્યારે ક બોલીએ છીએ ત્યારે ક્ + અ મળીને ક થાય છે. ‘કામ’ એવો શબ્દ બોલવા માટે ક્ + આ તથા મ્ + અ એમ ઉચ્ચાર કરાય છે. એટલેકે ક્ + અ = ક થાય છે. વ્યંજન એકલા કદી ઉચ્ચારી શકાતાં નથી! અ ને ભેળવ્યા વિના માત્ર ‘ક્’ બોલી જુઓ! જીભ કંઠ પાસે જ અટકી જશે! આપણે જેને કક્કો, વર્ણ કે વ્યંજન કહીએ છીએ તે ક થી જ્ઞ સુધીના અક્ષરોમાં ક્ષ અને જ્ઞ બંને હકીકતે ક્ + ષ્ +અ =ક્ ષ અને જ્ + ઞ્ + અ= જ્‍ઞ હોય છે અને તેમને સ્વતંત્ર વ્યંજનો ગણવામાં આવતાં નથી.

વ્યંજન વર્ગીકરણ

ગુજરાતે ભાષામાં ૩૪ વ્યંજનો છે. વ્યંજન ઉચ્ચારણ વખતે શ્વાસોચ્છ્વાસ દરમ્યાનની હવા જ્યાં પણ અટકી અથવા ઘસાઈને અથડાઇને બહાર આવે છે તે સ્થાનના નામ પરથી વ્યંજનોને વર્ગીકૃત કરાયા છે. દા.ત. તાલવ્ય વ્યંજનો અને ઔષ્ઠ્ય વ્યંજનો અનુક્રમે તાળવા અને હોઠ પાસે હવા અટકવાને કારણે એ નામથી ઓળખાય છે. આમ આવ્યંજનોને નીચે પ્રમાણે વર્ગીકૃત કરાય છે અને તેમના વર્ગ પડાયાં છે.


વર્ગ! નામ ઉચ્ચાર સ્થાન વ્યંજનો
ક-વર્ગ કંઠ્ય કે કંઠ-સ્થાની ગળું ક ખ ગ ઘ ઙ કંઠના સ્થાને જીભ અટકે
ચ-વર્ગ તાલવ્ય કે તાલુ-સ્થાની તાળવું ચ છ જ ઝ ઞ તાળવા પાસે જીભ અટકે
ટ-વર્ગ મૂર્ધન્ય કે મૂર્ધા-સ્થાની તાળવાની નીચે અને દાંતની ઉપરનો ભાગ ટ ઠ ડ ઢ ણ મૂર્ધા સ્થાને જીભ અટકે
ત-વર્ગ દંત્ય કે દંત-સ્થાની દાંત ત થ દ ધ ન દાંતના સ્થાને જીભ અટકે
પ-વર્ગ ઔષ્ઠ્ય કે ઓષ્ઠ-સ્થાની હોઠ પ ફ બ ભ મ હોઠના સ્થાને હવા અટકે
અર્ધસ્વર - - ય ર લ વ
ઊષ્માસ્વર - - શ ષ સ
મહાપ્રાણ - - હ ળ
આ વ્યંજનોને શાસ્ત્રીય રીતે ગોઠવવામાં આવ્યાં છે.

રસાયણશાસ્ત્રના આવર્તન કોઠા માફક આપણી વર્ણમાળા પણ આવર્તી ગુણધર્મના નિયમ અનુસાર રચાઈ છે. કક્કામાં વર્ણો કે વ્યંજનોને પાંચે હરોળ અને પાંચ સ્તંભોમાં ગોઠવાય છે. આમાં ત્રણ મહત્ત્વના વિભાગોનો હોય છે. (૧) ઘોષ-અઘોષ વ્યંજનોનો; (૨) અલ્પપ્રાણ-મહાપ્રાણ અને (૩) અનુસ્વારોનો

તેમની ગોઠવણી આ પ્રમાણે થયેલી છે.

વર્ગ અઘોષ (કઠોર) અઘોષ (કઠોર) ઘોષ (મૃદુ) ઘોષ (મૃદુ) અનુસ્વાર ઉચ્ચાર સ્થાન
અલ્પ-પ્રાણ મહા-પ્રાણ અલ્પ-પ્રાણ મહા-પ્રાણ
ક-વર્ગ કઙઠ્ય
ચ-વર્ગ તાલવ્ય
ટ-વર્ગ મૂર્ધન્ય
ત-વર્ગ દંત્ય
પ-વર્ગ ઓષ્ઠ્ય

પ્રથમ બે સ્તંભ અઘોષ અક્ષરોના છે બીજા બે સ્તંભ ઘોષ અથવા સ-ઘોષ અક્ષરોના છે

બંને ઊભા સ્તંભનો પ્રથમ ઉપસ્તંભ અલ્પપ્રાણ અને બીજો ઉપસ્તંભ મહાપ્રાણ અક્ષરોનો છે. અર્થાત્ ડાબી બાજુએથી પહેલો અને ત્રીજો સ્તંભ અલ્પપ્રાણ અને બીજો અને ચોથો સ્તંભ મહાપ્રાણ અક્ષરોનો છે.

છેવટનો સ્તંભ અનુસ્વારીત અક્ષરોનો છે.

• આ વ્યંજનો ઉચ્ચરતી વખતે જીભનું ટેરવું મુખના જુદા જુદા ભગને સ્પર્શે છે માટે અમને “સ્પર્શ વ્યંજનો” પણ કહેવાય છે.

• આ વ્યંજનોનો સમાવેશ પાંચ વર્ગોમાં થયેલ છે માટ તેમને “વર્ગીય વ્યંજનો” પણ કહે છે.

અઘોષ – સઘોષ (ઘોષ) અક્ષરો

પહેલાં અને બીજા મુખ્ય સ્તંભના એટલે કે ‘ક’, ‘ખ’ અને ‘ગ’, ‘ઘ’ અક્ષરને કાનમાં આંગળી ભરાવીને જરા મોટે સાદે બોલો. અઘોષ સ્તંભના કોઈ પણ અક્ષરને કાનમાં આંગળીઓ ભરાવીને બોલો અને ઘોષ ખાનાના પણ કોઈપણ અક્ષરને એ જ રીતે ઉચ્ચારી જુઓ. બંને વચ્ચે સ્પષ્ટ ભેદ વરતાશે! સઘોષ અક્ષરોના ઉચ્ચાર વખતે ગળાનો હૈડીયો વધુ ઘેરો અવાજ કાઢશે જ્યારે અઘોષ અક્ષરોના ઉચ્ચાર વખતે હૈડીયો શાંત જેવો જણાશે!

આમ, જે વ્યંજનોનો ઉચ્ચાર કર્યા પછી રણકો (કે ઘેરો અવાજ)સંભળાય તે વ્યંજનોને “ઘોષ” વ્યંજનો કહેવાય છે.

અને જે વ્યંજનોનો ઉચ્ચાર કર્યા પછી રણકો (કે ઘેરો અવાજ)સંભળાતો નથી તે વ્યંજનોને “અઘોષ” વ્યંજનો કહેવાય છે.

અલ્પપ્રાણ – મહાપ્રાણ

અલ્પપ્રાણ અને મહાપ્રાણ સમજવા એક મહાવરાની જરૂર છે. ‘ક’ અને ‘ખ’ આ બે અક્ષરોનો ઉચ્ચાર કરો. ‘ક’ ના પ્રમાણમાં ‘ખ’ બોલતી વખતે વધુ મહેનત પડે છે. જ્યારે ‘ક’ માં અલ્પ માત્રામાં ‘હ’ ભેળવાય ત્યારે ‘ખ’નો ઉચ્ચાર થતો લાગે છે. તેવું જ ‘ગ’ અને ‘ઘ’ નું છે. આમ એવા અક્ષરો જેનો ઉચ્ચર ‘હ’ ભેળવીને થાય છે તેમને “મહાપ્રાણ” અને જે વ્યંજનોનો ઉચ્ચાર ‘હ’ ભેળવ્યા વગર થાય તેમને “અલ્પપ્રાણ” કહે છે.

એક અન્ય સમજણ પ્રમાણે અઘોષ-સઘોષ બન્ને ખાનાંઓમાની કોઈપણ અલ્પપ્રાણ વિભાગના અક્ષરને ઉચ્ચારો દા.ત. પ્રથમ આડી લાઈનમાંનો અલ્પપ્રાણનો ‘ક’ ઉચ્ચારો. હવે ફરી ‘ક’ ઉચ્ચારો પરંતુ ગળામાંથી હવા [પ્રાણ]ને વધુ જોરથી ફેંકીને. પહેલી વાર સાધારણ હવા ફેંકો અને બીજી વાર હવા જોરથી ફેંકો. ગમે તેટલી કોશિશ કરશો તો પણ વધુ હવા ફેંકતી વખતે ‘ક’ કે ‘ચ’ બોલી નહીં શકાય! હવા વધુ ફેંકતાં ‘ક’ નો ‘ખ’ થઈ જશે અને ‘ચ’ નો ‘છ’ થઈ જ જશે!! આમ પ્રાણ કે હવાના પ્રયોગ પ્રમાણે વ્યંજનોને અલ્પપ્રાણ અને મહાપ્રાણમાં વર્ગીકૃત કરાયા છે.

દરેક વર્ગનો પહેલો ત્રીજો અને પાંચમો વ્યંજન તથા અર્ધ સ્વર ‘ળ’ એ અલ્પપ્રાણ છે એટલે કે ક, ગ, ચ, જ, ટ, ડ, ણ, ત, દ, ન, ત, દ, ન, પ, બ, મ, ય, ર, લ, વ, ળ એ અલ્પપ્રાણ છે. આમ વીસ વ્યંજનો “અલ્પપ્રાણ” હોય છે. દરેક વર્ગનો બીજો અને ચોથો વ્યંજન મહાપ્રાણ હોય છે. ખ, ઘ, છ, ઝ, ઠ, ઢ, થ, ધ, ફ, ભ, શ, ષ, સ, હ એ ચૌદ “મહાપ્રાણ” વ્યંજનો છે.

અનુસ્વાર - અનુનાસિક

ઙ, ઞ, ણ, ન અને મ એ પાંચ અનુનાસિકો છે. આ પાંચેય અનુનાસિકો બોલાય ત્યારે નાકમાંથી પણ ઉચ્છ્વાસની હવા નીકળતી હોય છે માટે તેમને અનુનાસિકો કહે છે. ઉપરના કોઠામાં પાંચમાં સ્તંભના અક્ષરોને અનુસ્વારો - અનુનાસીકો કહે છે. આ સ્તંભના પાંચેય અક્ષરોના જૂથની મહત્વની શરત એ છે કે તેમનો ઉચ્ચાર નાક ખુલ્લું હોય તો જ થઈ શકે! એટલે કે અનુનાસિક સાથેના ઉચ્ચાર વખતે નાક ખુલ્લું હોવું જોઈએ. અનુસ્વાર સાથેનો કોઈપણ ધ્વનિ નાક બંધ રાખીને સ્પષ્ટ રીતે બોલી શકાતો નથી.

અનુસ્વારના વ્યંજન સાથે અનુસ્વારના ઉચ્ચારણ કરવા તેને માથે આપણે મીંડું મૂકીએ છીએ. આ મીંડાનો ઉચ્ચર ઙ ઞ ન્ મ્ ણ્ જેવો હોય છે. માથે મીંડાનો કે અનુસ્વારનો ઉચ્ચર કેવો હશે તેનો આધાર તે અનુસ્વારિત અક્ષરના પાછળ આવતાં અક્ષર પર આધાર રાખે છે.

દા.ત. (૧) જંગલ નો વિસ્તાર જ +ઙ + ગ + લ થાય છે. અહીં જં ની પાછળ ગ અક્ષર આવે છે. ગ એ પ્રથમ હરોળનો શબ્દ છે પ્રથમ હરોળનો અનુનાસિક ઙ હોવાથી તે જ + ઙ + ગ + લ એમ વંચાશે. જંગલને જમ્ગલ વાંચી શકાતું નથી.

(૨) કંપન નો વિસ્તાર ક + મ્ + પ + ન થાય છે. અહીં કં ની પાછળ પ અક્ષર આવે છે. પ એ પાંચમી હરોળનો શબ્દ છે પાંચમી હરોળનો અનુનાસિક મ્ હોવાથી તે ક + મ્ + પ + ન એમ વંચાશે. કમ્પનને કન્પન એમ વાંચી શકાતું નથી.

આમ એ વાત યાદ રાખવી કે કોઈ પણ અનુસ્વારનો ઉચ્ચાર, તે જે અક્ષરની ઉપર લગાડેલો હોય તેના પર નહીં તેની પાછળ આવતાં અક્ષર પર આધાર રાખે છે.

આમ, કંઠ્ય હરોળનો અનુસ્વાર ઙ ફક્ત ક-ખ-ગ-ઘની આગળ મૂકેલા અક્ષર પર જ કામ કરશે; તાલવ્ય હરોળનો અનુસ્વાર ઞ્ ફક્ત ચ-છ-જ-ઝની આગળ મૂકેલા અક્ષર પર જ કામ કરશે;

મૂર્ધન્ય હરોળના અનુસ્વાર ણ ફક્ત ટ-ઠ-ડ-ઢની આગળ મૂકેલા અક્ષર પર જ કામ કરશે;

દંત્ય હરોળનો અનુસ્વાર ન ફક્ત ત-થ-દ-ધની આગળ મૂકેલા અક્ષર પર જ કામ કરશે, જ્યારે

ઔષ્ઠ્ય હરોળનો અનુસ્વાર મ ફક્ત પ-ફ-બ-ભની આગળ મૂકેલા અક્ષર પર જ કામ કરશે!

જોકે કાળક્રમે પ્રથમ ત્રણેય અનુનાસિકો લખવાનું છોડાયું છે. ઙ, ઞ તથા ણ ને છોડી આપણે અનુસ્વારને માત્ર ન અને મ ઉચ્ચારીયે છીયે. આ બધા જ અનુનાસિકો સંસ્કૃતમાંથી લેવામાં આવ્યા છે. ગુજરાતી લખવામાં જ્યારે એનો ઉપયોગ થયો ત્યારે પ્રથમ ત્રણે હરોળના અનુસ્વાર ઙ, ઞ અને ણ્ લેવાનું ધીમે ધીમે છોડી દેવાયું હતું અને કેવળ ન્ અને મ્ એવા બે અનુનાસિકો જ જળવાયા હતા. ધીમે ધીમે બાળકો બોલાતા ઉચ્ચારના ભેદ સમજી ન શકે અને ભૂલો ન કરે તેથી હોય કે ગમે તે કારણે પણ પાંચેય વર્ગના અનુનાસિકોને અક્ષરની માથે મીંડું કરીને જ લખાતા થયા.

તીવ્ર અને કોમળ અનુસ્વારો

તીવ્ર અને કોમળ અનુસ્વારોની સમજણ ઉદાહરણ પરથી પડી શકશે. નીચેની બે હરોળના અનુસ્વારિત શબ્દો વાંચો

(૧) કંપ, સંપ, ચંપો, પરંપરા, સંપદા

(૨) કાંપ, ચાંપ, વાંસ, આંગળી, સાંકડી

• પહેલી હરોળના અક્ષરો વાંચતામાં તેમાં મ્ ન્ જેવા અનુનાસિકો જેવો ભર્યો ભર્યો થાય છે. આવા અનુસ્વારોને “તીવ્ર અનુસ્વારો” કહે છે. • બીજી હરોળના અક્ષરો વાંચતા તેમના અનુસ્વારનો ઉચ્ચાર અલ્પ અનુનાસિક અછડતો જેવો કે નાકમાંથી બોલાતો હોય તેવો થાય છે. આવા અનુનાસિકોને “કોમળ અનુસ્વાર” કહે છે.

વ્યંજનો ય થી ળ

ક થી મ સુધીના અક્ષરોમાં સ્વરયંત્રને કંપીત કરતી ઉચ્છ્વાસની હવા ગળાથી લઈને હોઠ સુધીના વિવિધ ભાગમાં જીભ-હોઠ દ્વારા રોકાઈને કે ઘસડાઈને અનેક વ્યંજન ધ્વનિને/અક્ષરોને ઉત્પન્ન કરે છે. પરંતુ મ પછીના ય થી લઈને ળ સુધીના બધા જ અક્ષરોનો ધ્વનિ હવા ક્યાંય પણ ‘અટક્યા વિના’ ઉચ્ચારાય છે. ય, ર, લ, વ, શ, ષ, સ, હ અને ળ બોલતી વખતે હવા સંપૂર્ણ રીતે અટકતી નથી. આ બધા અક્ષરો વ્યંજનો જ હોવા છતાં સ્વરની માફક કોઈને કોઈ જગ્યાએ થી હવાને પસાર થવા દઈને ધ્વનિ આપે છે.

આ વ્યંજનોના ઉચ્ચારણમાં કેટલાક વ્યંજનો વખતે જીભનો આકાર બદલાય છે; આમાં ક્યારેક જીભની બન્ને બાજુએથી તો ક્યારેક જીભની ઉપરના ભાગેથી હવા નીકળતી જ રહે છે. આને કારણે ય થી લઈને ળ સુધીના અક્ષરોને અલ્પપ્રાણ-મહાપ્રાણ કે ઘોષ-અઘોષ એમ વર્ગીકૃત કરી શકાતા નથી

આ વ્યંજનોની રચનામાં એક બીજો પણ તફાવત છે, ક થી મ સુધીના વ્યંજનો એકલા ઉચ્ચારી શકાતા નથી. એમાં સ્વરને ઉમેરવામાં ન આવે ત્યાં સુધી એ સામા માણસને સંભળાતા જ નથી. જ્યારે ય થી ળ સુધીના અક્ષરોમાં સ્વર આપોઆપ ભળી જાય છે ને અક્ષરનો ઉચ્ચાર અટકતો નથી.

આ જ કારણસર આ વ્યંજનોને તેઓ વ્યંજનો હોવા છતાં સ્પર્શ વ્યંજનો, અનુનાસિક-સ્પર્શ વ્યંજનો, સંઘર્ષી સ્પર્શવ્યંજનો, પાર્શ્વિક સ્પર્શ વ્યંજનો, પ્રકંપી વ્યંજનો, થડકારવાળા વ્યંજનો કે અર્ધસ્વર-વ્યંજનો તરીકે ઓળખવામાં આવે છે.

ય થી ળ સુધીના અક્ષરોને અમુક વિદ્વાનો દ્વારા અઘોષ અને ઘોષમાં નીચે પ્રમાણે વર્ગીકૃત કરાય છે.
ઉચ્ચાર સ્થાન અધોષ ! ઘોષ
કંઠ્ય -
તાલવ્ય શ્ ય્
મૂર્ધન્ય ષ્ ર્
દન્ત્ય સ્ લ્
દન્ત્ય+ ઔષ્ઠ્ય - વ્

• ય્ , ર્ , લ્ , વ્ એ વ્યંજનોના ઉચ્ચારણ સમયે જીભનું ટેરવું ઉચ્ચાર સ્થાનને પૂર્ણ રીતે સ્પર્શતું નથી માટે તેમને “અર્ધ સ્વર” કહેવાય છે. આ અર્ધસ્વરો સ્વર અને વ્યંજનની વચ્ચેની સ્થિતિ ધરાવે છે આથી તેમને “અંતઃસ્થ” પણ કહેવાય છે.

• શ્ ષ્ સ્ હ્ વ્યંજનોમાં શ્વાસ ખેંચાતો હોય તેવો ભાસ થાય છે કે તેમના ઉચ્ચારણમાં એક પ્રકારની ઉષ્મા કે વાયુની પ્રધાનતા વરતાય છે આથી તેમને “ઊષ્માક્ષરો” કે “ઊષ્મ” પણ કહેવાય

બારખડી

આપણે જેને બારાખડી બાર અક્ષરી કહીએ છીએ તે ક, કા, કિ, કી, કુ, કૂ, કે, કૈ, કો, કૌ, કં, ક: આ બારાખડી દરેક વ્યંજન અને બે જોડાક્ષરોમાં બાર સ્વર ભેળવીને બનાવાય છે. વિસર્ગ

બારાખડીના દરેક હરોળના છેલ્લા અક્ષર આગળ બે ટપકાં મુકેલા હોય છે જેને “વિસર્ગ” કહે છે. આ વિસર્ગનો ઉચ્ચાર ‘હ્’ જેવો થાય છે.

જેમકે

દુઃખ = દુહ્ખ

પ્રાયઃ = પ્રાયહ્

અંતઃકરણ = અંતહ્કરણ