અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૫મો

વિકિસ્રોતમાંથી
← અકબરશાહ અને બીરબલ ભાગ-૪થો અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ
અકબરશાહ અને બીરબલ ભાગ-૫મો
નવલરામ પંડ્યા
અકબરશાહ અને બીરબલ ભાગ-૬ઠ્ઠો →


અકબરશાહ અને બીરબલ ભાગ-૫મો

દરબારમાં ઉઠી બાદશાહ જનાનખાનામાં જોધપુરવાળી બેગમના મોહોલ તરફ વળ્યા. વરદી પહોંચતા જ રાણી ધાઈને સામી આવી; અને લળીલળી મીઠાં મીઠાં વચનોરૂપી મહોહાર ફુલ વધાવતી પોતાના ઓરડામાં તેડી ગઈ. ઘણા સત્કારની સાથેમખમલ જાડેલા મીનાકારી સોનાના તખ્ત ઉપર બેસાડયા. દીવાલની વચમાં ઠેઠ ઉપરથી વાયુ આવવાની કરામત કરી હતી તે માર્ગે ફરફર પવન આવી રહ્યો છે, દિવાનખાનાના મધ્યભાગે ફૂવારો ફૂટી રહ્યો છે, તેમાંથી ગુલાબજળના બૂંદો આખા ઓરડાને શીતળ તથી સુગંધીમાન કરે છે. સુખડના સ્તંભો ઉપર પાણી પડવાથી તે અજબ રીતે બહેક બહેક થઈ રહ્યા છે, મેના પોપટ વગેરે પાળેલા પક્ષીઓના કલ્લોલથી કલરવા થઈ રહ્યો છે. આઘેથી કોમલા સંગીતનો ધ્વની મંદમંદ આવે છે. અને મોરનું સુંદર એક જોડું પાદશાહ તખ્તની સામાંજ આવીને કળા કરી થનથન નાચી રહ્યું છે, વગેરે અનેક સુખાની સામગ્રીઓ વડે પ્રેમપૂર્વક સત્કાર થવાથી બાદશાહને તે દિવસ ખરા ઉન્હાળાના હતા, તો પણ ચોમાસાના જેવા લાગ્યા. ચંદ્ર જેવા મુખવાળી દશ દશ દાસીઓ દરેક બાજુ ઉપર કુંડાલે વળી છેટેથી વાયુ ઢોળવા લાગી, અને રાણી હાથમાં રત્નજડિત એક નાનો વીંજણો લઈને તખ્તને ડાબે પગથીએ બેઠી. રાણીના એક ઇશારાની સાથે સોનાના થાળમાં સ્ફાટિકના ખૂમચાઓ પાદશાહની સામે આરસના મેજ ઉપર રજૂ થયા. તેમાં દેશ દેશ ના ન્યામત મેવાઓ, ભાત ભાતની મીઠાઈ, અને બિલોરી કાચની સીસીઓમાં રંગા બેરંગી ઘણાજ ખુશબોદાર, અને બરફનાં જેવા ઠંડા શર્બતો ભર્યો હતાં. રાણી પોતાના કોમળ હાથવડે તેમાંથી લઇ લઇને આગળ ધરે, તથા લીલા પાનની નાની નાની ચલાણીઓમાં એક એક જાતનાં શર્બતો ભરી, “ મારા સમ જરા આતો ચાખો” એમ આઘરો કરે રાજાને મોહ પમાડતી જાય. આ સરભરાથી બાદશાહ ઘણો જ પ્રસન્ન થઈ બોલ્યો કે,હે પ્રિયે, જેવો આજે દરબારમાં વિદ્યાનંદ જામી રહ્યો હતો તેવોજ તારા મહેલમાં તેમ વિલાસાનંદ જમાવી મૂક્યો છે. એમ બોલી સભાની સઘળી હકીકત કહી, બીરબલની ચતુરાઇનાં બહુઈ વખાણ કર્યા, અને રાણીને કહ્યું, તું પણ કાવ્યકળાની વિનોદી છે. તેથી જો, તારાથી એ સમસ્યા પૂર્ણ થાય છે ? રાણીએ તે સમસ્યા સાંભળીને હસીને કહ્યું કે મહારાજની ઇચ્છા છે તો તો હું પણ મારી શક્તી પ્રમાણે પાદપૂરણ કરીશ, પણ એક બે ઘડી થઈ મેં આપણાં બાલ શાહજાદાને સંભાળ્યો નથી તેથી ત્યાં જો આપ પણ પધારશો તો બાળલીલા જોઇને બેશક આનંદ થયા વિના રહેશે નહિ. એ માત્ર છ માસનું બાળકજ હતું અને તેના ઉપરા પાદશાહની ઘણીજ પ્રીતિ હતી. તેથી તેઓ ત્યાં બંને ત્યાં ખૂશીથી ગયાં. જઇને જુએ તો પારણામાં લાંબા હાથ કરી ભર ઉંઘમાં પડ્યો છે, અને તેનું હસતું મ્હોં પુનેમાના ચંદ્ર જેવું ખીલી રહ્યું છે. પુત્ર પ્રેમથી બંનેએ તેના મ્હોં તરફ કેટલીકવાર જોયાંજ કર્યું. થોડીવારમાં વાદળું આવતું હોય તેમ તેની ભમર સંકોડાઇ, તેણે પાસું ફેરવ્યું, અને જરા ઉંકારો મ્હોં બહાર નીકળ્યો જ નથી એટલામાં તો રાણીએ ટપ બાદશાહની સોડામાંથી ખસી તેની આશ્વાસના કરી, પયપાન કરાવ્યું, અને તેનું મુખકમળ પાછું પ્રફુલ્લિતા થયું. પાદશાહ પાએક કલાક ત્યાં ઉભા રહ્યા તેવામાં તેણે જોયું કે રાણી એ કરોડવાર તે બાળકની સંભાળ લીધી અને તે તો મારી સંભાળ લેનાર સદાકાળ હાજર જ છે. એવા દ્રઢ વિશ્વાસથી નિશ્ચિંત પણે ઉંઘ્યાજ કરતો હતો તેથી તેણે રસમય કામ્ટે કહ્યું કે, ખેર જગતમાં માનો બાળક ઉપર પ્રેમ, અને બાળકનો માં ઉપર દ્રઢ વિશ્વાસ એ બંને અપૂર્વા વસ્તુ છે. રાણીએ કહ્યું કે, મહારાજ, બીરબલ સમશયાપૂરતી હવે આપના આગળ સાક્ષાત્કાર થઇ ? એમ કહી નીચે પ્રમાણે તે દૂહો પૂરો કરને બોલી :

अहोरात्र झागृत खड़े, ममरक्षक महाशक्त;
यौं कह सूखे सुवे सदा, बालक मातासक्त.

બેશક, બાળક જે માની પ્રીતિમઆમ આસક્ત છે તે હમમેશા એમ જ જાણે છે કે રાત દહાડો મારી સંભાળમાં એ જાગૃત જ છે. વળી મારી મા મહાશક્તિમાન છે એમજ તે સમજે છે. અને જે દુઃખ થાય તે માથી તળે એવું હોય કે નહિ, તોપણ બાળક તો એમજ જાણે છે કે મારી મા તે દૂર કરશે. એવા દ્રઢા વિશ્વાસથી તે નિરાંતે સદા સુખમાં સુએ છે. એ તો આપે પ્રત્યક્ષ જોયું, અને તેથી મારી અબળા બુદ્ધિ પ્રમાણે તો એ સમશ્યા આ રીતે પૂરાઈ.

અકબર તો આ સમશ્યાપૂર્તિ તથા તેનો સાક્ષાત્કાર કરવાની રાણીની ચતુરાઈ જોઈને ખુશજ થઈ ગયો. એ હર્ષથી બોલી ઉઠ્યો કે, ધન્ય છે રાણી. તારી રસિકતાને ! તમે રાજપૂતાણીઓ તમારી ચતુરાઇને માટે વખણાઓ છો એમાં કાંઇ આશ્ચર્ય નથી. મને નિશ્ચય છે કે મારી સભામાંનો કોઈ પણ પંડિત આવી રસભારી રીતે સમશ્યાપૂર્તિ કરવાનો નથી. મને લાગે છે કે સરસ્વતીનું ચરણ એજ હશે, અને કદાપિ નહિ હોય તો હું કહું છું કે સરસ્વતી કરતાં પણ રસાવતી ચડે.

પાદશાહને આ સમશ્યાપૂર્તિ એવી મનમાનતી લાગી કે હવે સભાવાળાઓ એથી શું વધારે કહી શકશે તે જાણવાનીક જિજ્ઞાસા એના મનમાં પળેપળ કૂદકારા મારવા લાગી; અને તેથી તેણે સાજનું દરબાર રોજ કરતાં વહેલુંજ ભર્યું. દરબારમાં આવતાંજ પોતે બીજી કાંઇ વાત ન કાઢતાં પેલી સમશ્યા આગળ કરી, અને કહ્યું કે જોઉં હવે એ કોણ પૂરી કરે છે. યાદ રાખજો કે એ સરસ્વતીકૃત છે અને તેથી તમે જો આળસમાં રહેશો તો તમારી અને આ સભાની શોભા રહેનાર નથી.

હવે, અકબરની આ સભામાં જે જે લોકો આવતા હતા તે સઘળા થોડાઘણા તો વિદ્વાન હતાજ. એના દરબારમાં છાલકામાં છાલકા મીજલસીઓ પણ કાંઈ ક્વન કરવાની શક્તિ ધરાવતાજ હતા. અક્ષરશત્રુની તો અકબરના દરબાર તરફ કોકીઊં કરવાની પણ હિંમત ચાલતી નહિ, તેથી આ સમશ્યા સાંભળી સૌ પોતપોતાના મનમાં વિચાર કરવા લાગ્યા અને સૌએ પોતપોતાની શક્તિ પ્રમાણે કોઈ રીતે ચોથું ચરણ તૈયાર તો કર્યું, પણ અકબરે એના ઉપર આટલો બધો ભાર મક્યો હતો તેથી સઘળા રખેને આપણું ખોટું પડે એમ જાણી બોલવાને અચકાતા હતા. પરંતુ એ સભામાં મિયાંલબ્બે કરીને એક બહુબોલો, પતરાજી અને ખૂશામતીઓ અમીર બચ્ચો હતો તે તુર્ત બોલી ઉઠ્યો કે જનાહપનાહ, એમાં શો ભાર છે? આપનો પ્રતાપ એવો છે કે સરસ્વતી તો શું પણ તેના બાપનીએ સમશ્યા મારા જેવો એક નાદાન અને કમઅકલ માણસ સાંભલતાની સાથે પૂરવાની તાગાદ ધરાવે છે. લ્યો, એનું ચોથું ચરન હુંજ કહું :-

अकबरशाह, अब जक्त

હમણાં બેશક આખું જક્ત નિરાંતે ઊંઘેછે, કેમ કે આપ જેવા મહાશક્તિમાન અને જાગૃત પાદશાહ તેમને માથે હાલ બિરાજે છે. બોલ બીરબલ તારું ચોથું ચરણ આજ કે બીજું ? મારૂં ચરણ નહિ લાગુ પડતું હોય તો તેનો સબબ બતાવો. શું એ પ્રમાણે અકબરશાહનો પ્રતાપ નથી?

અકબર પાદશાહને આ ખુશામતીઉં ચરણ બિલકુલ પસંદ પડ્યુંજ નહોતુ, કેમકે એના મનમાં તો જેપુરવાળી બેગમનો રસમય અર્થજ રમ્યા અક્રતો હતો. તોપણ મિંયાલબ્બેની તજવીજ જોઇને એના મનમાં હસવું આવ્યું. એ ખંધા મિજલસીએ એવો પેચ નાખ્યો હતો કે એનું કહેવું બધાએ માન્યજ કરવું પડે. પાદશાહનો એવો પ્રતાપ નથી એમ કોની તાકાદ હતી કે કહે? તેથી બાદશાહે સભાનો ગભરાટ જોઇને સારૂ કહ્યું કે બોલ બીરબલ, આ તારૂં ચરણ હોય કે નહિ. તારી શારદા પણ મિંયાલબ્બેની પેઠે મારી તરફેણ કરવામાં જ હોંશિયાર હોય એમ જણાયછે. "निदुन चेशक, आपकी खुबीहि ऐसीहे" એમ પેલા ધીટ ખુશામતીઆએ ઉપલા મર્મવચનથી જરા પણ ખંચાયા વિના લાગેલોજ ઉથલો વાળ્યો. બીરબલે જોયું કે મિંયાએ તો મોકાણ માંડી! પાદશાહના પ્રતાપની ના કેમ કહેવાય? અને તે વિના એ અર કેમ રદ્દ કરવો તે સૂઝે નહિ. તો પણ એણે ધીરજથી જવાબ દીધો કે, મહારાજ શારદાકૃત ચરન તો એ ન હોય. એ અહિંયા લાગે છે કે નહિ તે જ્યાં આપ જેવા કદરદાન પાદશાહ અને જગન્નાથ જેવા પંડિત બીરાજ્યા છે ત્યાં મારે બોલવું એ મોટી બેઅદબી કહેવાય. એમ કહી જગન્નાથ તર્ફ નજર કરી જાને એમ કહેતો હોય કે હવે તો મહારાજ તમે રંગ રાખો તો રહે. જગન્નાથ પંડિતને હમેંશા તો સભામાં ખંડન વાક્ય સિવાય બીજું બોલવાનીજ બાધા હતી, પણ આ વેળા બીરબલને રક્ષણે આવ્યા ખરા. એનું કારણ એ હતું કે એક તો બપોરે એણે સભામાં પોતાની પ્રશંસા કરી હતી તેથી ખૂશ થયા હતા, અને બીજું ત્યાંથી ઉઠ્યા પછી ચક્રવક્રને પ્રથમ પૂજવાનો વિધિ બરાબર પાળનાર જે બીરબલ, તે જગન્નાથ પંડિત તથા મુલ્લાં ફૈઝીને ઘેર જઇને એવોતો નરમાશથી મસ્કો લગાડી આવ્યો હતો કે તેઓએ ખરા દિલથી એને સહાય થવાનું કબૂલ કર્યું હતું. વળી અભિમાની પુરૂષોને માથુમ્ નમાવીએ તો તેઓ પોતાનું માથું આપતાં પણ આચકો ખાય નહિ. તેથી બીરબલની આ દીનતા જોઈ ફક્કડ જગન્નાથે પોતાના કાન ફફડાવ્યા અને કહ્યું કે "પાદશાહ, બીરબલ ખરૂં કહે છે. આવું છેક અર્થરહિતજ જે બોલે તેના દોષ બતાવાઅ એમાંજ શરમ છે." આ સાંભળી બધા ચમક્યા. શું એ એમ કહેવાની તાકાદ ધરાવે છે તે પાદશાહનો એવો પ્રતાપ નથી ? મિયાંલબ્બે તો છલકાઇને પૂછવા લાગ્યા કે ત્યારે મારો અર્થ શો ખોટો છે તે કહો. એણે જવાબ વાળ્યો, "મિંયાપાદશાહની રજા હોય તો તૈયારછું." પાદશાહે કહ્યું, કહો રજા છે. જગન્નાથ પંડિત બોલ્યા, "પૃથ્વીપરે, મિંયાલબ્બે શું કહેવાના હતા, પણ ત્રણ ભુવનનલા લોકો જાણે છે કે આપના અપૂર્વ પ્રતાપને બળે આપની પ્રજા સુખી છે અને હમેંશા નિરાંતે ઉંઘે છે. પણ અફસોસ ! એ અર્થ આ દુહાને સાથે લાગતોજ નથી. જો એને પ્રજાની ઉક્તિ ગણીએ, તો ममरक्षक ને બદલે हमरक्षक કહેવું જોઇએ. આનો ઉત્તર વાળવાનો વિચાર તો કર્યો પન મિંયાલબ્બેના બોલ મ્હોંમાંજ પાછા ગેબ થઈ ગયા, કેમકે એણે ધાર્યું હતુંકે એ પાદશાહનો પ્રતાપ ના પાડશે, પણ જગન્નાથે તો વ્યાકરણ દોષથીજ એનું ચરણ ઉડાવી દીધું, બીરબલે હસીને કહ્યું, "मिंयालब्बे, पंडितराजने तो आपका चरनसेम मूलहि काटके उडा दिया." એણે જવાબ આપ્યો "बनचर, तेरे चार चरन जिझेही मुबारक हो, आदमीको तौ तो दोहि बस है." "सच बात मेरेप्यारे, लैकिन हे तिन चरनोंवाले तुं तौ नहि आदमी ऐर हैबान किसीमे रहा! इस्का करना कहा?" આટલી જરા ટપાટપી થઇ રહ્યા પછી પાદશાહે માનસિંગનાં સામું જોઈ કહ્યુ, રાજાસાહેબ આપ એ સમસ્યા શી રીતે પૂરોછો? રાજા માનસિંગે તો સલામ કરી નમ્રતાથી આટલું જ કહ્યું

बादशाह बडबख्त[૧]

આ સાંભળી કેટલાકે તો એમ ધાર્યુમ્ કે "હે મહા ભાગ્યવાન પાદશાહ" એમ કહી રાજા અકબરશાહ સાથે કામી બોલવા જાય છે, પણ જ્યારે એટલું બોલી તે ચૂપ રહ્યા ત્યારે બધાએ જાણ્યું કે એ તો સમશ્યાનું ચોથું ચરણ થયું. એનો અર્થ બધાએ એ પ્રમાણે કર્યો:- મારા સુભટ સરદારો મહા બળવાન છે અને મારી રક્ષા કરવામાં રાત્રદિવસ જાગૃત ઉભા છે એમ જાણી નશીબવાળા રાજાઓ સદા નિરાંતે સુએ છે. પણ આત્મબળ ઉઅપ્ર આધાર રાખનારા શૂરા અકબરને આ અર્થ કેમ રૂચે? એણે કહ્યું, રાજા સાહેબ આપના જેવા સરદારોની તો એમાં ખૂબી છે, પણ પાદશાહોને માટે એ કાંઇ સારી રાજનીતિ કહેવાય નહિ. એમ કહી અબુલફઝલના સામું જોયું કે તુર્ત તે ચતુર કારભારી બોલ્યો, બંદેનવાજ, દાલડાલનો ફરક મોટામોટા મુનશી પણ ગણતા નથી માટે આપે પણ નજ ગનવો જોઇએ. એમ કહી એણે રાજા મનસિંગના ચરનનો અર્થ આ નીચે પ્રમાણે ઉથલાવી નાખ્યો.

बादशाह बदबख्त[૨]

અબુલફઝલના આ શબ્દ ચાતુર્યથી પાદશાહ વગેરે સઘળાં મન પ્રસન્ન થયાં પણ રાજા માનસિંગને તો બહુજ માઠું લાગ્યું. એ રાજા કાંઇ હાલના જેવો અફીણી કે ગંડુ ન હતો. તે ખબરદાર, વિચારવંત, થોડાબોલો, અને જે બોલે તે પ્રતિપાદન કરી શકે એવો હતો. તેથી આ પ્રમાણે પોતાના બોલનું ખંડન થવાહી તેને ગુસ્સો લાગ્યો અને બોલી ઊઠ્યો કે મારી સમશ્યાપૂર્તિમાં ઉત્તમ રાજનીતિ રહેલી છે અને જો તે આ સભામાં કોઇથી નહિ સમજાતી હોય તો તે સમજાવવા તૈયાર છું. અકબરે જોયું કે માનસિંગને ખોટું લાગ્યું અને તેથી કહ્યું કે રાજાસાહેબને તસ્દી લેવી પડે એ તો ઠીક નહિ. આ સભામાં કો ઈએમના વાક્યનો ગૂઢાર્થ સમજાવો. બધા એકબીજાના મોં તરફ જોવા લાગ્યા. પાદશાહે જગન્નાથ પંડિતભણી નજર કરી એટલામાં બીરબલે હિંમતથી બોલવાનું શરૂ કર્યું. "સાહેબ, એ દુહાનો પ્રસમ્ગ સમજ્યા વિના એની ખૂબી નહિ સમજાય. આપના જેવા એક પ્રતાપી પાદશાહ વિક્રમજિત એક સમે નગરચર્યા જોવા નીકળ્યા. અંધાર પિછાડો ઓઢી શયનગ્રહમાંથી નીકળે છે તેવાજ બારણા આગળ રખવાળોએ "કોણ એ" કરી ગર્જના કરી. તેમજ મહેલની આસપાસ સો સો સુભટો હાથમાં નાગી તરવારો લઇને પહેરો ફરતા હતા તે પણ તેવાજ જાગૃત માલમ પડ્યા. તેથી પોતે અદૃશ્ય થઈને નગરચર્યાએ ચાલ્યા. જ્યાં જુએ ત્યાં ચોકીદારો ખડા ને ખડા. બારે દરવાજે ફરી વળ્યા, પણ કોઈ રખેવાળને ઉંઘતો કે બેઠેલો જોયો નહિ. તેથી તેમણે પ્રસન્ન થઈ બારમા દરવાજા આગળ પહોંચતા પહોંચતા આ પ્રમાણે કહ્યું.

अहो ! रातर जागृत खडे, मम रक्षक महाशक्त</ref>

શબ્દ સાંભળતાજ ત્યામ્ના ચોકીદારો તે શબ્દને અનુસરે તેના ઉઅપ્ર વાઘની પેઠે કુદી પડ્યા, અને કાંડુ ઝાલી બંધન કરવાની તૈયારી કરવા લાગ્યા. હું પાદશાહછું એમ સૂચવવાને માટે ઉપલી લીટી પોતે ફરીથી બોલ્યા. ચોકીદાર સમજ્યા તો ખરા પણ સ્પષ્ટ બોલાવવાને સારૂ તેમણે જવાબ આપ્યો કે:-

यौं कह सुखे सुवे सदा, बादशाह बडबख्त</ref>

મતલબ અમારો પાદશાહ એમ સમજે છે તેથી તો નિરાંતે આ સમે સૂતો હશે અને તમે તો કાંઇ ચોરજ છો. અમારા પાદશાહને પોતાના સરદારોનો આટાલો અનવિશ્વાસ ન હોય એ વ્યંજના કરી પોતાની જ્કાગૃતિઓ બતાવી. વિક્રમ રાજા ખુશ થઇ ગયા અને તેને સભામામ્ બોલાવી સવારે ઘણો શિરપાવ આપ્યો. માટે, મહારાજ, બીરબલે કહ્યું કે, આ રીતે પ્રસંગ સમજતાં આ દુહામાં રાજનીતિનો કાંઇ દોષ આવતો નથી. એમાં સરદારોની ભક્તિ તથા પાદશાહની કદરદાનીજ વર્ણવી છે.

પાદશાહે કહ્યું. શાબાશ ! રાજા સાહેબ, તમારૂં બોલવું બહુ ગૂઢ છે. ઘણાને તો બીરબલ જેવાની સહાયતા વિના ભાગ્યેજ સમજાય. વારૂ હવે કોઇ બીજાને આ સમશ્યા પૂરવાનું મન છે? એ ઉપરથી વિષ્ણુસ્વામી કરીને એક ગોસાંઇ ત્યાં બેઠો હતો તેણે કહ્યું.

आस्थारूढहरिभक्त

‘હારી’નું નામ સાંભળી પેલા ઝનૂનુદ્દીન મુલ્લાં કીડવાયા, કોઇ ભલા મુસલમાને કહ્યું કે, હારી કહો કે રામ કહો પણ અર્થા તો અલલાજ થાય છે. વસ્તુ એકછે તો નામને માટે શું કામ લડવું જોઈએ? આ સાંભળતાંજ મુલ્લાંજી હાથથી ગયા. मुझी-ई ! तूं क्या समझता है ? दीनमें वस्तु है ही किधर ? नामकीही सब तकरार है. આ બોલવાથી ઝનૂનુદ્દીનમાં ઝનૂન સિવાય ખરા દીનની કાંઈ સમાજ નહોતી એ સાફ જણાઇ ગયું. અને તેથી શાણા લોકો કાંઇક કંટાળાની સાથે હસી એને તુચ્છ ગણવા લાગ્યા. પણ એના મનમાં તો એ મહા ડહાપણની વાત હતી અને દીનને નામે બાદશાહનું અપમાન કરવું તેને તો એ ગાઝીપણું સમજતો હતો. તેથી બોલ્યો, पादशाह, तुम मूसलामीन है कि काफ़ीर ? अफसोस ! अफसोस ! में अब मेरे जैफ चश्मोंसे [૩] क्या देखता हौ, બીરબલે ઢીમને રહીને જાણે જવાબ દેતો હોય તેમ કહ્યું કે “कुछ नहीं देखता हौ, नहितों हीर दूसरा क्या देखोगे?” બીરબલનું આ ઠૂંસકું સાંભળીને તથા મૂલ્લાં ચશ્મા ચડાવેલી આંખે ડોળાથી આસપાસ રોહોલું રોહોલું જોતાં હતા તે જોઈમે સભામાં ચોપદારથી તે બાદશાહ સુધી સર્વેને ખડખડ હસવું આવ્યું.

એવામાં રાજા તોડરમલ્લ સભામાં આવી પહોંચ્યા. એ હિંદુદિવાન બીજા સભાસદોના જેવોજ ચતુર અને વિદ્વાન હતો, પણ પોતાના મહેનત ભરેલા જમાબંદીના કામમાં એટલો બધો ગુંથાએલો રહેતો હતો કે એને આવી વિદ્યાવિનોદની મંડળીઓમાં આવવાનો ક્વચિતજ અવકાશ મળતો હતો, તેથી બાદશાહે એને વિશેસ આવકાર દીધો, અને અત્યારા સુધી જેટલી સમશ્યાપૂર્તિ થઈ તે કહી સંભળાવીને પૂછ્યું કે રાજા, તમે શું કહો છો? તોડરમાલ્લે પ્રથમ તો પોતાની દીનતા બતાવી આનાકાનીજ કર્યા કીધી, પણ એમ કરતાં જ્યારે વિચારનો પૂરતો વખત મળી રહ્યો ત્યારે નીચે પ્રમાણે ચોથું ચરણ ઊભું કર્યું:-

बालक, भूप, सुभक्त.

અકબરે હસીને કહ્યું કે, દિવાન સાહેબ વિના સર્વાળો કોણ બાંધી આપે? રાજા તોડરમલ્લ, તેમ ખૂબ કરી ! સઘળાની વાતા તારામાં આવી ગઈ, અને કોઈની તકરાર રહી નહિ. જોઇએ, હવે બીરબલ શું કહે છે.બોલ, તારૂં શારદાકર્તા ચરણ શું છે?

બીરબલે નમ્રતાથી ઘણી ઘણી કુર્નિસો બજાવી ઉત્તર આપ્યો કે જનાહપનાહ, જ્યાં આવા આવા વિદ્વાનો ભેળા થાય છે ત્યાં તેમના તેજથી શારદાદેવી અહોનિશ હાજરજ છેઅને તેથી ત્યાં જે નિર્ણય થાય તે કેમ ખોટો હોય? તથાપિ મારૂં ચરણ કાંઈક એથી જૂદું છે. પણ જાજો ફેર નથી. રાજા તોડરમલ્લ સાહેબ “બાલક” કહેચે તેને ઠેકાણે મારા પાઠમાં ‘બાલકું’ છે. બાદશાહે પૂછ્યું, એ બે શબ્દોના અર્થમાં કાંઈ ભેદછે? તોડરમલ્લે જવાબ આપ્યો, નાજી, પણ ‘બાલકું’ એ જૂનું અને કાંઈક વધારે રસિક રૂપ છે તેથી મારા કરતાં એ સમશ્યાપૂર્તિ સારી છે એમ હું કબૂલ કરૂં છું.

બીરબલે રાજા તોડરમલ્લને સલામ કરી કહ્યું, આપ લાયક આદમી છો એટલે વિવેક કરો એમાં કાંઈ નવાઈ નથી. પછી બાદશાહ તર્ફ નજર કરી બોલ્યો કે, પૃથ્વીપતિ, રાજાસાહેબની સમશ્યાપૂર્તિ યથાર્થ છે. મારા અને એમના શબ્દાર્થમાં કાંઈ ભેદ નથી. પણ મારો શારદાકૃત દુહોછે તેથી વિચારીને જોશો તો કાંઈ બીજી પા ચમત્કૃતિ નીકળી આવશે. બાદશાહે ચોતર્ફ જોયું કે કોઈ બીજી ચમત્કૃતિ એમાંથી કાઢી આપે છે. મિંયા ફૈજીએ કહ્યું. હાજી, આ દુહાની ખૂબી એ છે કે રાજા માનસિંગ અને મુલ્લાં અબુલફઝલની સ્મશ્યાપૂર્તિમાં જે વિરૂદ્ધતાઓ આવી હતી તે બંને નો સમાવેશ એમાં થઇ જાય છે. જો,

बालक, कुभूप, सुभक्त.

એમ શબ્દ તોડીને વાંચીએ તો જૂદો અર્થ નીકળે અને નહિતો સાધારાણ રાજા લોકોને પસંદ પડતો જ અર્થ દેખાય:

बालक,भूप, सुभक्त.

બાદશાહ આ સાંભળી ઘણો પ્રસન્ન થયો અને સર્વેના વખાણ કરવા લાગ્યો. એણે કહ્યું કે મારી સભામાં આવાં રત્નો પરમેશ્વરે આપ્યાં છે તેથી હું તો તેનો ઉપકાર માનું છું. વારૂં પંડિતરાજ, તમે કાવ્યશાસ્ત્રીછો, તેથી નિર્ણય કરો કે સઘળાં ચરણોમાં સૌથી સારૂં કોને ગણવું. મારે નજર માં તો એ સઘળાં સારા લાગે છે. જગન્નાથપંડિતે ધેમેથી ઉત્તર આપ્યો કે બધાંએ ચરણ રસિક છે ખરાં, તોપણ કવિકૃતતો બીરબલનું જ કહેવાય.

ફેઇઝીએ પૂર્વપક્ષ કર્યો કે રસછે તો કવિતા છે અને કવિતા કહી તોપછી તે કવિકૃતિ થઇજ ચૂકી. જગન્નાથે હસીને કહ્યું, મિયાં ફૈઝી, આજે તમે સંક્ષેપમાં વાદ ઠીક ગોઠવ્યો છે. वाक्यं रसात्मकं काव्यं. એ આધાર પર તમે કુદતા હશો પણ રસ શબ્દનો અર્થ તમે સાધારણ લોકની પેઠે સમજોછો તેવો નથી,અ થવા રસનો અર્થ તેમજ તમારે કરવો હોય તો હું કહું છું કે કાવ્યમાં રસ કરતાં પણ કાંઇ બીજી વસ્તુની જરૂર છે.

આ સાંભળી બધા પંડિતરાજના સામું જોવા લાગ્યા. એમાં કોઇને કાંઇ સમજાયું નહિ, અને ખુલાસો માગવાની હિંમત ચાલે નહિ. ત્યારે પાદશાહે કહ્યું કે તમારૂં બોલવું ઘણું ગૂઢ છે તેથી મને વિસ્તારથી સમજાવો. "ઠીક સાહેબ" એમ કહી જગન્નાથે આ પ્રમાણે ખુલાસો કર્યો. હર્ષશોકાદિ નાના પ્રકારના મનો વિકારને સાધારણ રીતે રસ કહેછે. જો એવો રસ જે વાક્યમાં હોય તેને કવિતા કહીએ તો બહુ વિપરીત થશે. પ્રાણીમાત્રમાં મનોવિકાર છે અને તેથી વિકારી સ્થિતિમાં તે જે બોલે તેને કવિતા કહેવી પડશે. કૂતરૂં ચીડવાઇને ભસવા લગે તો તે વીર રસ કહેવાય. અને કોઇ પોતાના બાપની પછાડી પોકશ્રાદ્ધ કરતો હશે તે કરૂણરસની કવિતા કરેછે એમ કહેવું પડશે. પ્રિય મરણના શોકથી એ જે વિલાપ કરતો હશે તેમાં કરૂણરસ કદાપિ હશે ખરો પણ એ કરૂણારસની કવિતા કરે છે એમતો નહિજ કહેવાય. એમ હોય તો પ્રાણીમાત્ર સુખદુઃખને સમે કવિછે અને કવિમાં કાંઇ વિશેષ રહેતું નથી. અર્થાત્ પોતાનાજ અનુભવની વાત કરનારો ગમે એવું રસમય બોલે તોપણ કવિ છે એમ નહિ કહેવાય. જો તેની વાણીમાં રસછે, તો તે રસિક માત્ર છે એટલું જ સિદ્ધ થાય છે. કવિ [૪] તો તેજ કે પોતાના અનુભવ બહારની કથા વર્ણન કરતાં પણ તદ્રુપ રસને દર્શાવી શકે.

આ સમશ્યાપૂર્તિ જે જે લોકોએ કરી છે તેનો નિત્યાનુભવ વિચારી જોશો તો આ મારૂં કહેવું વધારે સમજાશે. વળી બાળકની લીલા અવલોકવી અને તેથી પ્રીતિમાં મસ્ત રહેવું એ માતાનો ધર્મજ છે, તે પ્રેમાણે રાણી સાહેબે વત્સરસ મૂકી આ દુહો પૂરા કર્યો એમાં કાંઇ આશ્ચર્ય નથી. તેમાં જ રાજા માનસિંહ જેવા શૂરા સરદાર પાદશાહના સંરક્ષણ પછાડી મંડી રહ્યા છે તેને એમ લાગે કે અમે છઇએ ત્યાં બાદશાહને કાંઇ પણ ફિકર રાખવાની જરૂર નથી એ સ્વાભાવિક અને નિત્યનુંજ કર્મ છે. અબુલફઝલ જેવા દીવાન જેનું કામ હમેંશા સારી મસલત આપવાનું છે તેને એમજ લાગે કે ગમે એવા સરદાર હોય પણ તેવા ઉયપર ભરોસો રાખી બેસી રહેતો તે “बादशाह बदबख़्त” જ જાણવો. વિશ્ણુસ્વામી ભક્ત છે એટલે એમને પરમેશ્વર ઉપર અચળ આસ્થા રાખવાનું જ સૂઝયું. એ પ્રમાણે એ સર્વ જાણે તો પોત પોતાના નીતિ વ્યવહારની જ વાત કહી – એમાં કાંઇ કવિતા કરી એમ કહેવાય નહિ. તોડરમલ્લ રાજા બડા હિસાબી છે એટલે આ બધાની વાત સાંભળી માત્ર તેનો સર્વાળોજ કરી આપ્યો . પણ બીરબલ જેને એમાંનો એકે અનુભવ નહિ તેણે એ બધાને અનુભવ રસમય વાણીછટાથી દર્શાવ્યો, માટે એ જ કવિ. એની જ વાણી શારદાપ્રેરિત એવો મારો તો અભિપ્રાય છે.

બાદશાહે રાજી થઇ બીરબલને “કવીરાય”નું પદ આપ્યું, અને તે દિવસથી એને એજ નામે બોલાવવા લાગ્યો.

  1. મોટા નશીબવાળો ભાગ્યશાળી
  2. ખરાબ નશીબવાળો ભાગ્યશાળી
  3. આંખો
  4. ઇંગ્રેજીમાં Subjective and Objective Poetry કહેવાય છે તેવો કાંઈ ભેદ પાડી Objective ને ઉત્તમ ગણવી એવો જગન્નાથ પંડીતનો આ ઠેકાણે આશય જણાય છે.