આજ સખી શામળિયો વા'લો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આજ સખી શામળિયો વા'લો
પ્રેમાનંદ સ્વામી



આજ સખી શામળિયો વા'લો પરોણા ઘેર આવ્યા;
થાળ ભરીને મેં તો મોંઘે, મોતીડે વધાવ્યા... ટેક

કર સાહીને કૃષ્ણ જીવનને મંદિરમાં પધરાવ્યા;
નોતરિયા નારાયણ મેં તો, બહુવિધ પાક બનાવ્યા... ૧

ષટરસ ચાર પ્રકાર સુધારી, થાળ ભરીને લાવ્યા;
કંચન કળશ ભરીને શીતળ, જળ જમુનાનાં લાવ્યાં... ૨

લાડુ પેંડા જલેબી ઘેબર, બહુવિધ પકવાન પિરસાવ્યાં;
શાક પૂર્યાં બહુ કનક કટોરે, જે હરિને મન ભાવ્યાં... ૩

ભજિયાં વડાં ફાફડા પાપડ, તળેલ તાતાં લાવ્યા;
લીંબુ આદાં કેરીના બહુ, અથાણાં મંગાવ્યાં... ૪

દાળ ભાત પીરસીને સાકર, નાખી દૂધ ઓટાવ્યાં;
દૂધ ભાત જમાડી હરિને, હેતે ચળું કરાવ્યા... ૫

પાનબીડાં અમારાં હરિએ, હાથોહાથ લઈ ચાવ્યાં;
પ્રેમાનંદના નાથને ભેટી, તનના તાપ સમાવ્યા... ૬