આરોગ્યની ચાવી/ભાગ બીજો:૨. પાણી

વિકિસ્રોતમાંથી
← ૧. પૃથ્વી એટલે માટી આરોગ્યની ચાવી
૨. પાણી
મોહનદાસ કરમચંદ ગાંધી
૩. આકાશ →


૨. પાણી

પાણીના ઉપચાર જાણીતી તેમજ પુરાણી વસ્તુ છે. તેને વિશે ઘણાં પુસ્તકો લખાયાં છે. ક્યુનેએ તેનો ઉત્તમ ઉપયોગ શોધ્યો છે. એનું પુસ્તક હિંદુસ્તાનમાં બહુ પ્રસિદ્ધિને પામ્યું છે. તેનો તરજુમો પણ આપણી ભાષાઓમાં થયો છે. એના વધારેમાં વધારે અનુયાયી આંધ્ર પ્રદેશમાં મળે છે. ક્યુનેએ ખોરાક વિશે પણ સારી પેઠે લખ્યું છે. અહીં તો હું માત્ર પાણીના ઉપચારો ઉપર જ લખવા ધારું છું.

ક્યુનેના ઉપચારોમાં મધ્યબિંદુ કટીસ્નાન અને ઘર્ષણસ્નાન છે. તેને સારું તેણે ખાસ વાસણ પણ યોજ્યું છે. એની ખાસ આવશ્યકતા નથી. મનુષ્યના કદ પ્રમાણે ત્રીસથી છત્રીસ ઈંચનું ટબ બરોબર કામ આપે છે. અનુભવ પ્રમાણે મોટું જોઈએ તો મોટું લેવું. તેમાં ઠંડુ પાણી ભરવું. ઉનાળામાં ખાસ ઠંડુ રાખવાની જરૂર છે. તુરત ઠંડુ કરવું હોય તો, ને મળે તો, થોડો બરફ નાખવો. વખત હોય તો માટીના ઘડામાં ઠારેલું પાણી બરોબર કામ આપે છે. ટબમાં પાણી ઉપર કપડું ઢાંકી ઝપાટાબંધ પંખો કરવાથી તુરત ઠંડું કરી શકાય.

ટબ ભીંતને અઢેલીને રાખવું ને તેમાં પીઠને આધાર મળે એવું લાંબુ પાટિયું રાખવું, જેથી તેને અઢેલીને દરદી આરામથી બેસી શકે. આ પાણીમાં પગ બહાર રાખીને દરદી બેસે. પાણીની બહારનો શરીરનો ભાગ ઢાંકેલો હોવો જોઈએ, જેથી ઠંડી ન વાય. જે કોટડીમાં ટબ રાખવામાં આવે તેમાં હવાની આવજા અને અજવાળું હોવાં જ જોઈએ. દરદીના આરામપૂર્વક બેઠા પછી તેના પેડુ ઉપર એક નરમ ટુવાલ વતી ધીમું ઘર્ષણ કરવું. પાંચ મિનિટથી ત્રીસ મિનિટ લગી બેસી શકાય. સ્નાન થયા પછી ભીનો ભાગ સૂકવીને દરદીને સુવાડી દેવો જોઈએ. આ સ્નાન ઘણો સખત તાવ હોય તેને પણ ઉતારે છે. આ પ્રમાણે સ્નાન લેવામાં નુકશાન તો છે જ નહીં, અને લાભ પ્રત્યક્ષ મળે છે. સ્નાન ભૂખ્યે પેટે જ લેવાય છે. બંધકોષમાં પણ આ સ્નાન ફાયદો કરે છે. અજીર્ણને મટાડે છે. સ્નાન લેનારના શરીરમાં કાંટા આવે છે. બંધકોષને સારુ કટિસ્નાન પછી અરધો કલાક આંટા મારવાની ભલામણ છે. આ સ્નાનનો મેં બહોળો ઉપયોગ કર્યો છે. બધી વેળા સફળ થયો છે એમ નહીં કહી શકું. પણ સોમાંથી પંચોતેર ટકામાં સફળતા મળી છે એમ કહી શકું. તાવ બહુ ચડ્યો હોય ત્યારે તો, ને દરદીને ટબમાં બેસાડી શકાય એવી સ્થિતિ હોય તો, તાવ બે-ત્રણ દોરા તો જરૂર ઊતરશે. સન્નિપાતનો ભય મટશે.

૧૫-૧૨-'૪૨

આ સ્નાનને વિશે ક્યુનેની દલીલ આ છે: રોગનું ગમે તે બાહ્ય ચિહ્ન હોય, પણ તેનું આંતરિક કારણ એક જ હોય છે. આંતરડાનો તાવ અંદરની ગરમીને અનેક રૂપે બહાર પ્રગટાવે છે. આ આંતરિક તાવ કટીસ્થાનથી અવશ્ય ઊતરે છે ને તેથી બહારના અનેક ઉપદ્રવો શાંત થાય છે. આ દલીલમાં કેટલું તથ્ય છે એ હું ન કહી શકું. એ તો અનુભવી દાક્તરો બતાવી શકે. પણ, જોકે નૈસર્ગિક ઉપચારોમાંથી કંઈ દાક્તરોએ લીધેલું છે છતાં એમ કહી શકાય કે એ ઉપચારો વિશે તેઓ ઉદાસીન રહ્યાં છે. આમાં બન્ને પક્ષના દોષ હું જોઉં છું. દાક્તરો પોતાની શાળા વાટે જે શીખે તે જ જોવાની ટેવ કેળવે છે, એટલે બહારનું જે હોય તેને વિશે તિરસ્કાર નહીં તો ઉદાસીનતા તો અવશ્ય બતાવે છે. નૈસર્ગિક ઉપચારકો દાક્તરોને વિશે તિરસ્કાર કેળવે છે, અને પોતાની પાસે શાસ્ત્રીય જ્ઞાન ઘણું ઓછું હોવા છતાં દાવો બહુ મોટો કરે છે. ઉપચારકો સંઘશક્તિ કેળવતા નથી. કેમ કે સહુને પોતાની પાસે રહેલી મૂડીથી સંતોષ છે. તેથી સાથે મળીને કામ નથી કરી શકતા. કોઈના પ્રયોગ ઊંડે જતાં નથી. કોઈ નમ્રતા કેળવતા નથી. (નમ્રતા કેળવી શકાતી હશે ખરી?) આમ કહીને હું નૈસર્ગિક ઉપચારકોને વગોવવા નથી ઇચ્છતો. વસ્તુસ્થિતિ બતાવું છું. જ્યાં સુધી એઓમાંથી કોઈ અત્યંત તેજસ્વી માણસ ઉત્પન્ન નહીં થાય ત્યાં લગી સ્થિતિ બદલાવવાનો સંભવ થોડો છે. સ્થિતિ બદલવાનો બોજો ઉપચારકો ઉપર છે. દાકતરો પાસે પોતાનું શસ્ત્ર છે, પોતાની પ્રતિષ્ઠા છે, પોતાનો સંઘ છે, પોતાની શાળાઓ છે. અમુક અંશે સફળતા પણ મળે છે. તેઓ પાસેથી અજાણી વસ્તુ એકાએક ગ્રહણ કરવાની આશા ન રાખવી ઘટે.

દરમ્યાન સામાન્ય માણસે આટલું સમજી લેવું બસ છે. નૈસર્ગિક ઉપચારના ગુણ તેના નામ પ્રમાણે છે. કેમ કે તે કુદરતી છે એટલે અણઘડ માણસ નિશ્ચિંતપણે તેનો ઉપયોગ કરી શકે છે માથું દુખ્યું તો ટાઠા પાણીમાં બોળીને ભીનો રૂમાલ માથે મૂકવામાં નુકશાન થાય જ નહીં. માટીનો ઉપયોગ ઉમેરી ભીનાશની ઉપયોગિતામાં આપણે વધારો કરી શકીએ.

હવે ઘર્ષણસ્નાન ઉપર આવું, જનનેંદ્રિય બહુ જ નાજુક ઈંદ્રિય છે. તેની ઉપરની ચામડીના છેડામાં કંઈક અદભુત્ વસ્તુ રહેલી છે. તેનું વર્ણન કરતાં તો મને નથી આવડતું. આ જ્ઞાનનો લાભ લઈને ક્યુનેએ કહ્યું છે કે, ઈંદ્રિયના છેડા ઉપર (પુરુષના કેસમાં ઘૂમટ ઉપર ચામડી ચઢાવી લઈને.) તેની ઉપર નરમ રૂમાલ ભીંજવીને તેની ઉપર પાણી રેડતા જવું ને ઘસતા જવું. ઉપચારની પદ્ધતિ આમ બતાવી છે: ટબમાં પાણીની સપાટીથી થોડે ઊંચે તેની બેઠક આવે એવું સ્ટૂલ મૂકવું. પગ બહાર રાખીને તેની ઉપર બેસવું, ને ઈન્દ્રિયના છેડાનું ઘર્ષણ કરવું. જરાય ઈજા ન થવી જોઈએ. ક્રિયા ગમવી જોઈએ. આ ઘર્ષણથી સ્નાન લેનારને ઘણી શાંતિ મળે છે, તેનું દરદ ગમે તે હોય તે તે વખતે તો શાંત થાય છે. આ સ્નાનને ક્યુનેએ કટીસ્નાન કરતાં ઊંચું સ્થાન આપ્યું છે. મને જેટલો અનુભવ કટીસ્નાનો થયો છે તેટલો ઘર્ષણ સ્નાનનો નથી થયો. તેમાં મુખ્ય દોષ તો મારો જ ગણું. મેં તેનો પ્રયોગ કરવામાં આળસ કર્યું છે. જેઓને તે ઉપચાર સૂચવ્યાં છે તેઓએ તેનો ધીરજથી ઉપયોગ નથી કર્યો એટાલે પરિણામને વિશે અનુભવથી કંઈ લખી નથી શક્તો. સૌએ આ અજમાવી જોવા જેવું છે. ટબ વગેરેની સગવડ ન હોય તો લોટામાં પાણી ભરીને તેથી ઘર્ષણસ્નાન લઈ શકાય છે. તેથી શાંતિ તો વળશે જ. માણસ આ ઇન્દ્રિયનીએ સફાઈ ઉપર બહુ ઓછું ધ્યાન આપે છે, જ્યારે ઘર્ષણસ્નાનથી એ ઇન્દ્રિય સહેજે સાફ તો થશે જ. ચીવટ ન રખાય તો ઘૂમટને ઢાંકનારી ચામડીમાં મેલ ભરાયા જ કરે છે. એ મેલ કાઢી નાખવાની પૂરી જરૂર છે. ઈન્દ્રિયના આવા સદુપયોગથી, એને વિશે કાળજી રાખવાથી બ્રહ્મચર્યપાલનમાં મદદ મળે છે. આસપાસના તંતુઓ મજબૂત અને શાંત થાય છે; અને ઇન્દ્રિય વાટે ફોકટ વીર્યસ્ત્રાવ ન થવા દેવાની ચીવટ વધે છે, કેમ કે એમ સ્ત્રાવ થવા દેવામાં રહેલી ગંદકી વિશે મનમાં અણગમો પેદા થાય છે, - થવો જોઈએ.

આ બે ખાસ ક્યુનેના સ્નાન કહીએ. ત્રીજું કેટલેક અંશે એવી જ અસર પેદા કરનારું ચાદરસ્નાન છે. તાવ આવતો હોય અથવા જેને નિદ્રા કેમેય ન આવતી હોય તેને આ સ્નાન ઉપયોગિ છે.

ખાટલા ઉપર બે-ત્રણ ઊની કામળ પાથરવી. એ પહોળી હોવી જોઈએ. તેની ઉપર જાડી સુતરાઉ ચાદર, - જેવો કે જાડી ખાદીનો ચોફાળ - પાથરવી; તેને ઢંડા પાણીમાં બોળી ખૂબ નિચોવવીને તેને કામળ ઉપર પાથરવી. આની ઉપર દરદીને ચત્તો સુવાડવો. તેનું માથું કામળ બહાર તકિયા ઉપર રાખવું. માથા ઉપર ભીનો નિચોવેલો ટુવાલ રાખવો. દરદીને સુવાડીને તરત કામળ ના છેડાને ચાદર ચારે મેર લપેટી લેવાં. હાથ ચાદરની અંદર હોય, પગ પણ બરોબર ચાદર ને કામળાની અંદર ઢંકાયેલા હોય કે જેથી બહારનો પવન અંદર જવા ન પામે. આ સ્થિતિમાં દરદીને એક-બે મિનિટમાં ગરમી લાગવી જોઈએ. શરદીનો ઇશારો માત્ર સુવાડતી વખતે જણાશે, પછી દરદીને સારું જ લાગવું જોઈએ. જો તાવે ઘર ન કર્યું હોય તો પાંચેક મિનિટમાં ઘામ થઈને પસીનો છૂટે. પણ સખત માંદગીમાં અડધો કલાક લગી મેં દરદીને ચાદરમાં રાખ્યો છે ને આખરે પસીનો આવ્યો છે. કેટલીક વાર પસીનો નથી છૂટતો પણ દરદી સૂઈ જાય છે. સૂઈ જાય તો દરદીને જગાડવો નહીં, ઊંઘ સૂચવે છે કે તેને ચાદરસ્નાન આરામ આપે છે. ચાદરમાં મુકાયા પછી દરદીનો તાવ એક-બે અંશ નીચે ઊતરે જ છે. સન્નિપાતમાં ઘેરાયેલા બેવડા ન્યુમોનિયાવા।ળા મારા દીકરાને મેં ચાદરસ્નાન આપ્યું છે. ત્રણ-ચાર દિવસ આપ્યાપછી તાવ હઠ્યો ને પસીને રેબઝેબ થયો. તેનો તાવ છેવટે ટાઈફૉઈડ નીવડ્યોને ૪૨ દિવસે તાવ ઊતર્યો. ચાદર સ્નાનતો ૧૦૬ ડિગ્રી સુધી તાવ જતો ત્યાં લગી જ આપ્યું. સાત દિવસ પછી એવો સખત તાવ ગયો, ન્યુમોનિયા ગયો ને પછી ટાઇફૉઈડ રૂપે ૧૦૩ લગી જતો. અંશ (ડિગ્રી) વિશે મને સ્મરણશક્તિ છેતરતી હોય એમ બને. આ ઉપચાર દાક્તર મિત્રોની સામે થઈને મેં કરેલો. દવા કંઈ જ નહીં આપેલી. એ દીકરો મારા ચારે દીકરાઓમાં વધારે સારું આરોગ્ય આજે ભોગવે છે ને સહુથી વધારે ખડતલ છે.

૬-૧૨-'૪૨

આ ચાદરસ્નાન શરીરમાં અળાઈ થઈ હોય, શીળસ થયું હોય, બહુ ચળ આવતી હોય,અછબડા નીકળ્યા હોય, માતા નીકળ્યાં હોય તેમાં પણ કામ આપે છે. મેં આ દરદોમાં ચાદરસ્નાનનો છૂટથી ઉપયોગ કર્યો છે. શીતળા કે અછબડામાં મેં પાણીમા ગુલાબી રંગ આવે એટલું પરમૅન્ગેનેટ નાખેલું. ચાદરનો ઉપયોગ થયા પછી તેને ઉકળતા પાણીમાં બોલી, પાણી નવશેકું થયા પછી બરોબર ધોઈ નાખવી જોઈએ.

લોહીનું ફરવું મંદ થઈ ગયું હોય ત્યારે, પગમાં બહુ કળતર થતી હોય ત્યારે બરફ ઘસવાથી ઘણો ફાયદો થયેલો જોયો છે. બરફના ઉપચારની અસર ઉનાળામાં વધારે સારી રીતે થાય છે. શિયાળામાં નબળા માણસની ઉપર બરફનો પ્રયોગ કરવામાં જોખમ હોઈ શકે.

હવે ગરમ પાણીની ઉપચારો વિશે વિચારીએ. ગરમ પાણીના સમજપૂર્વક ઉપયોગથી ઘણા રોગોની શાંતિ થઈ જાય છે. પ્રસિદ્ધ દવા આયોડિન જે કામ કરે છે તેમાંનું ઘણું ખરું ગરમ પાણી કરે છે. સોજો હોય ત્યાં આયોડિન લગાડે છે. તેજ જગ્યાએ ગરમ પાણીનું પોતું મૂકો તો આરામ થવાનો સંભવ છે. કાનમાં દરદ થાય તો આયોડિનનાં ટીપાં નાખે છે. ત્યાં જ ગરમ પાણીની પિચકારી મારવથી શાંતિ થવાનો સંભવ છે. આયોડિનના ઉપયોગમાં કંઈક જોખમ છે, આમાં નથી. આયોદિન ડિસઇનફેક્ટન્ટ (જંતુનાશક ) છે, તેમજ ગરમ એટલે ઉકળતું પાણી ડિસઈનફેક્ટન્ટ છે. આનો અર્થ એમ સૂચવવાને સારુ નથી કે આયોડિન બહુ ઉપયોગિ વસ્તુ નથી. એની ઉપયોગિતા વિશે મને જરાયે શંકા નથી. પણ ગરીબ માણસને ઘેર તે હોતું નથી. એ મોંઘી વસ્તુ છે. ગમે તે માણસના હાથમાં મુકાય નહીં એવી વસ્તુ છે. પણ પાણી તો બધાયને ત્યાં હોવાથી દવા તરીકે તેના ઉપયોગની અવગણના કરીએ છીએ. આ અવગણનામાંથી બચી જવું જોઈએ. આપણા ઘરમાં પડેલા ઉપાયો જાણવાથી આપણે ઘણા ભયોમાંથી ઉગરીએ છીએ.

વીંછી જેને ડંખે છે તેને જ્યારે બીજી કશી વસ્તુથી ફાયદો નથી થતો ત્યારે ડંખાયેલો ભાગ ગરમ પાણીમાં બોળવાથી ને તેમાં રાખવાથી કંઈક આરામ તો મળે જ છે.

એકાએક ટાઢ ચડે ત્યારે વરાળ આપવાથી કે દરદીની આસપાસ ગરમ પાણીવાળી બાટલીઓ ગોઠવવાથી ને બરોબર ઓઢાડવાથી તેની ટાઢ સમાવી શકાય છે. બધાની પાસે રબરની કોથળી નથી હોતી. કાચની મજબૂત બાટલી, જેને મજબૂત બૂચ હોય, તે એનું કામ આપે છે. કોઈ પણ ધાતુની બાટલી , જેને બરોબરનું બૂચ લગાડાય, તે પણ સુંદર કામ આપે છે. ધાતુની કે બીજી બાટલી બહુ ગરમ જણાય તો તેને જાડા કપડામાં લપેટવી જોઈએ.

વરાળરૂપે પાણી બહુ કામ આપે છે. પરસેવો ન આવતો હોય ત્યારે વરાળ લેવાથી તે લાવી શકાય છે. સંધિવાથી જેનું શરીર ઝલાઈ ગયેલું હોય તેને અથવા જેનું વજન બહુ વધી ગયું હોય તેને સારુ વરાળ બહુ ઉપયોગિ વસ્તુ છે. વરાળ લેવાની પુરાણી અને સહેલામાં સહેલી રીત આ છે: શણનો કે સીંદરીનો ખાટલો વાપરવો વધારે સારું છે, પણ પાટીનોય ચાલે. તેની ઉપર ચોફાળ કે કામળ પાથરીને દરદીને તેની ઉપર સુવાડવો. ઊકળતા પાણી ભરેલી બે તપેલી અથવા ઘડા ખાટલાની નીચે મૂકવા. દરદીને એવી રીતે ઢાંકવો કે જેથી તે કામળ ચોમેર ભોંયને અટકે, જેથી બહારની હવા ખાટલા નીચે ન જવા પામે.

૧૭-૧૨-'૪૨

આમ લપેટ્યા પછી ઘડા કે તપેલા પરનું ઢાંકણ કાઢી લેવું એટલે દરદીને વરાળ મળશે. બરોબર વરાળ ન મળે તો પાણી બદલવાની જરૂર પડશે. બીજા ઘડામાં પાની ઊકળતું હોય તે ખાટલા નીચે મૂકવું. સાધારણ રીતે આપણામાં રિવાજ એવો છે કે, ખાટલા નીચે અંગારા મૂકે છે અને તેની ઉપર ઊકળતા પાણીનું વાસણ. આ રીતે પાણીની ગરમી જરા વધારે મળવાનો સંભવ છે, પણ તેમાં અકસ્માત થવાનો ડર રહ્યો હોય છે. એક તણખો પણ ઊડે ને કામળ કે કંઈક ચીજ બળે તો દરદીની જાન જોખમમાં આવી પડે. એટલે ગરમી તુરત મળવાનો લોભ છોડીને મેં સૂચવેલી રીતનો ઉપયોગ કરવો.

કેટલાક એવા પાણીમાં વસાણાં નાખે છે. જેમ કે લીમડો. મેં એનો ઉપયોગ અનુભવ્યો નથી. પ્રત્યક્ષ ઉપયોગ તો વરાળનો છે. આ રીત તો પરસેવો લાવવાની થઈ.

જેના પગ ઠંડા થઈ ગયા હોય, પગે કળતર થતી હોય; તેવે સમયે ગોઠણ લગી પહોંચી શકે એવા ઊંડા વાસણમાં સહન થઈ શકે તેવા ગરમ પાણીમાં રાઈનો ભૂકો નાખીને પગ થોડી મિનિટ લગી બોળી રાખવા. તેથી પગ ગરમ થાય છે. કળતર શમે છે. લોહી નીચે આવે છે, એથી દરદીને સારું લાગે છે. સળેખમ થયું હોય કે ગળું આવી ગયું હોય તો કીટલીમાં ઊકળતું પાણી રાખી ગળામાં કે નાકમાં વરાળ લઈ શકાય છે. કીટલીને એક સ્વતંત્ર ભૂંગળી લગાડવાથી તે ભૂંગળી વાટે વરાળ સુખેથી લઈ શકાય છે. આ ભૂંગળી લાકડાની રાખવી. રબરની નળી લગાડીને તેને ભૂંગળીમાં લગાડવાથી વધારે સગવડ પડે છે.