ઋતુગીતો/ઋતુનું દોહાસાહિત્ય/ઓઢા–હોથલના દોહા

વિકિસ્રોતમાંથી
← (૧૭) મેહ–ઉજળીની બારમાસી ઋતુગીતો
ઓઢા–હોથલના દોહા
ઝવેરચંદ મેઘાણી
(૧૯) પ્રાસ્તાવિક દોહા →




ઓઢા—હોથલના દોહા


કનડા ડુંગર પર વર્ષાઋતુને આરંભે ઓઢાને પોતાનું વહાલું વતન કચ્છ સાંભર્યું હતું. એ આખી કથા ‘રસધાર’ : ધારા ચોથી’માં આપી છે. તેમાથી અત્રે ફક્ત વર્ષાની અસર પૂરતા દોહા મૂક્યા છે.

ઉત્તર શેડ્યું કઢ્ઢિયું, ડુંગર ડમ્મરિયા,
હૈડો તલફે મચ્છ જીં, (મુજાં) સજણ સંભરિયા.

[ ઉત્તર દિશામાં મેઘે પોતાની કાળી રેખાઓ કાઢી. ડુંગરાની ઉપર (વાદળીઓનો) ડમ્મર જામી પડ્યો. એ નિહાળીને ઓઢાનું હૈયું પાણી બહારના માછલાની માફક તરફડવા લાગ્યું. કેમકે એને પોતાનાં સ્વજનો (વતનનાં મનુષ્યો) સાંભરી આવ્યાં.]

મત લવ્ય, મત લવ્ય મોરલા, લવતો આઘો જા !
એક તો ઓઢો અણોહરો, મથ્થે તોંજી ધા.

[ હોથલ કહે છે : હે મોરલા ! તું લવરી કર મા. તું દૂર જઈને ટહુકા કર. કેમકે એક તો મારો સ્વામી ઓઢો ઉદાસ છે જ, ને તેમાં તારી ધા (વાણી) થકી એ વિશેષ ગમગીન બને છે. કેમકે એને સ્વજનો યાદ આવે છે. ]

મારીશ તોંકે મોર ! સીંગણજાં ચડાવે કરે,
અયેં ચિતજા ચોર ! ઓઢકે ઉદાસી કિયો.

[હે મોર ! હું તને કામઠી પર તીર ચડાવીને મારીશ. ઓ માનવીના ચિત્તડાના ચોર ! તેં મારા ઓઢાને આજે ઉદાસ કરી મૂક્યો.] .

અસીં ગિરિવરજા મોરલા, કાંકર પેટ ભરાં,
રત આવ્યે ન બોલાં, (ત) હૈડો ફાટ મરાં.

[ મોર કહે છે : હે હોથલ ! હું તો ડુંગરામાં રહેનાર ગરીબ મોરલો છું. હું તો ધરતીના પટ પરથી કાંકરા ચણીચણીને પેટ ભરું છું. પરંતુ હું જો મારી વહાલી ઋતુ આવ્યે પણ અંતર ખુલ્લું મેલીને ન બોલું, તો મારું હૈયું ફાટી જ જાય ને હું મરી જ જાઉં ! ]

કરાયલકે ન મારી જેં, જેંજાં રતાં નેણ,
તડ વિઠા ટૌકા કરે, નિત સંભારે સેણ.

ઓઢો કહે છે : હે હોથલ ! જેનાં રાતાં ચોળ નયનો છે, જે ભેખડો પર બેઠા બેઠા ટૌકા કરે છે, અને જે નિત્ય નિત્ય પોતાની પ્રિયાને (સ્વજનને) સંભાર્યા કરે છે, એવા કળામય (મોરલા)ને ન મરાય.]

રેલમછેલા ડુંગરા, ચાવો લગો ચકોર;
વિચાર્યા સંભારી ડિયે, સે ન મારીજેં મોર !

[ડુંગરા પાણી થકી રેલમછેલ થઈ ગયા છે. ચકોર પંખીને ચાહના લાગે છે. એવી ઋતુમાં આપણને વિસરાઈ ગયેલાં સ્વજનોનું, સ્વદેશબાંધવોનું સ્મરણ દેનાર એવા મોરલાને ન મરાય. ]

છીપર ભીંજાણી, છક હુવો; ત્રંબક હુઈ વ્યાં નેણ,
અમસેં ઉત્તમ ગોરિયાં પડી તોજેં ચિત સેણ !

[મેઘ–દર્શને વતન સાંભરવાથી ઓઢો એટલું બધું રડી પડ્યો, કે પોતે જ્યાં બેઠેલો તે શિલા આંસુડે ભીંજાઈ ગઈ. નયનો લાલ ત્રાંબાવરણાં બની ગયાં. ત્યારે હોથલે પૂછ્યું : “હે પ્યારા સ્વજન (સેણ) ! શું તારા અંતરમાં મારા કરતાં કોઈ વધુ ઊંચી ગોરી યાદ આવી છે ?