કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/શ્રીમતી

વિકિસ્રોતમાંથી
← સંઘમિત્રા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
શ્રીમતી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ચંદ્રવતી →


८७–श्रीमती

રાજા બિંબિસાર બુદ્ધદેવનો પરમ ભક્ત હતો. એણે એક દિવસ બુદ્ધદેવને બહુ વીનવીને તેમના ચરણના નખની એક કણી માગી લીધી હતી. એણે કણને કાળજીપૂર્વક પોતાના રાજમહેલના બગીચામાં દાટીને તેના ઉપર એક સુંદર શિલ્પકળાથી વિભૂષિત સ્તૂ૫ રચ્યો.

સંધ્યા સમયે રાજકુટુંબની વહુદીકરીઓ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી સુકુમાર હસ્તમાં ફુલની છાબડીઓ લઈ, એ સ્તૂપ આગળ આવતી અને સોનાનાં કોડિયામાં દીપક સળગાવતી.

રાજા બિંબિસારના મૃત્યુ પછી તેનો પુત્ર અજાતશત્રુ ગાદીએ બેઠો. પિતા જેટલો બુદ્ધભક્ત હતો, તેટલોજ પુત્ર બૌદ્ધધર્મનો દ્વેષી હતો. તલવારના બળ વડે એણે બૌદ્ધ ધર્મને પોતાની રાજધાનીમાંથી કાઢી મૂક્યો. વૈદિક યજ્ઞો ફરીથી ચાલુ કર્યા અને તેમાં બૌદ્ધધર્મગ્રંથોને સ્વાહા કરી દીધા. તેણે આખા શહેરમાં ઢંઢેરો પિટાવ્યો કે, “આ જગતમાં વેદ, બ્રાહ્મણ અને રાજા એ ત્રણ ઉપરાંત બીજું કોઈ પૂજા કરાવવાને અધિકારી નથી, જે કોઈ એ વાત ધ્યાનમાં નહિ લે અને તેથી વિરુદ્ધ વર્તશે તેની હું ખબર લઇ લઈશ.”

રાજા બિંબિસારને શ્રીમતી નામની એક દાસી હતી. બુદ્ધદેવ પ્રત્યે એને પરમ ભક્તિ હતી. રાજાની આજ્ઞાથી ડરી જઈને નગરવાસી અનેક સ્ત્રીપુરુષોએ બુદ્ધદેવની પૂજા કરવી છોડી દીધી, ત્યારે શ્રીમતીનું ભક્ત હૃદય કંપી ઊડયું. એણે તો નિશ્ચય કર્યો હતો કે ગમે તે થશે તે પણ હું મારો નિત્યનિયમ નહિ છોડું. ઢંઢેરો પિટાયો તેજ રાત્રે શુદ્ધ, શીતળ જળથી સ્નાન કરીને હાથમાં એક થાળીમાં પુષ્પ તથા દીવો લઈને શ્રીમતી રાજમહિષીની પાસે ગઈ અને સ્તૂપની પૂજા કરવા સારૂ જવાનું સંભાર્યું.

મહારાણીએ ધ્રૂજતે ધ્રુજતે કહ્યું: “તને ખબર નથી કે અજાતશત્રએ ઢંઢરો પિટાવ્યો છે કે, ‘જે કોઈ સ્તૂપની પૂજા કરશે તેને શૂળીએ ચઢાવવામાં આવશે, કાં તો દેશનિકાલ થશે.’”

શ્રીમતી ત્યાંથી નીકળીને ધીમે પગે રાજવધૂ અમિતાની પાસે ગઈ. રાણી એ વખતે શણગાર સજી રહી હતી. શ્રીમતીના હાથમાં પૂજાની સામગ્રી જોઈને તેના આવવાનું કારણ સમજી ગઈ અને ઠપકો દેવા લાગી. “મૂર્ખિ ! પૂજાની સામગ્રી અહીં લાવવાની તારી છાતીજ કેમ ચાલી ? હમણાં ને હમણાં અહીંથી ચાલી જા. કોઈ જોશે તો મોટો ગજબ થશે.

શ્રીમતી બીજા ઓરડામાં ગઈ, તો અસ્ત પામતા સૂર્યના પ્રકાશમાં બારી ખુલ્લી મૂકીને રાજકુમારી શુક્લા પડી પડી કવિતાનું પુસ્તક વાંચી રહી હતી. શ્રીમતીને પૂજાની સામગ્રી સહિત આવેલી જોઈને તે ચમકી ઊઠી અને ઝટ એની પાસે જઈને ધીમે ધીમે કહેવા લાગી:—

“રાજાની આજ્ઞા તું નથી જાણતી ? જાણીજોઈને મરણના મુખમાં જવા શા સારૂ નીકળી છે ?”

પૂજાની થાળી લઈને શ્રીમતી બારણે બારણે રખડી અને પોકાર કરવા લાગી. “હે નગરવાસીઓ ! પ્રભુની પૂજાનો સમય થયો છે.” એ સાંભળતાંવા૨જ લોકો ભય પામતા અને કોઈ તો એને ગાળો પણ દેતા. શ્રીમતી લોકોની દુર્બળતાનો વિચાર કરીને વિસ્મય પામવા લાગી.

એમ કરતાં કરતાં દિવસનો છેલ્લો પ્રકાશ બંધ પડ્યો, અંધકાર વ્યાપી ગયો અને માણસની આવજા બંધ પડી ગઈ. કોલાહલ શમી ગયો. રાજમંદિરમાં આરતીના ઘંટ વાગવા લાગ્યા.

શરદઋતુની એ અંધારી રાતે સ્વચ્છ આકાશમાં અસંખ્ય તારાઓ ઝબૂકી રહ્યા હતા.

આવે સમયે કોઈ બુદ્ધદેવના સ્તુપ આગળ જઈ શકે એમ ન હતું, પણ એ મોડી રાતે રાજમહેલના પહેરેગીરો એક મનુષ્યાકૃતિ જોઈને ચમકી ઊઠ્યા. આગળ જઈને એમણે જોયું તો રાજાના બગીચાના એક ખૂણામાં ઘોર અંધારામાં બુદ્ધદેવના સ્તંભની ચારે તરફ દીપકની જ્યોત ઝગમગી રહી છે.

ખુલ્લી તલવાર લઈને સિપાઈઓ દોડતા આવ્યા. જોયું તો એક રમણી સ્તૂપની પાસે બેઠી છે. એનાં નેત્ર બંધ હતાં અને હોઠ જરા ફરફરી રહ્યા હતા. રાજાના સિપાઈઓએ પૂછ્યું: “તું આવી રાતે અહીં આવનાર અને રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર કોણ છે ?” શ્રીમતીએ મધુર સ્વરે ઉત્તર આપ્યો: “હું બુદ્ધની દાસી શ્રીમતી છું.”

નાગી તલવાર એ રમણીની ગરદન ઉપર પડી, મંદિરનો એ શ્વેત પથ્થર લોહીથી રંગાઈ ગયો.

શરદ્‌ની એ સ્વચ્છ રાત્રિએ પ્રાસાદ–કાનનમાં સ્તૂપ આગળના એ આરતીના દીવા ચુપચાપ છેલ્લીવાર હોલવાઈ ગયા. શ્રીમતીનું નામ અમર થઈ ગયું.❋[૧]

  1. ❋શ્રીયુત્ રવીન્દ્રનાથ ઠાકુરના ‘પૂજારિણી’ નામના એક સુપ્રસિદ્ધ કાવ્ય ઉપરથી.