ગાંધીજીનો અક્ષર દેહ - ૧/લૉર્ડ એલ્જિનને અરજી-૨

વિકિસ્રોતમાંથી
← મિ. ચેમ્બરલેનને અરજી-૧ ગાંધીજીનો અક્ષરદેહ
લૉર્ડ એલ્જિનને અરજી-૨
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસનો પહેલો હેવાલ →


પ૬. લૉર્ડ એલ્જિનને અરજી
[ડરબન,

ઑગસ્ટ ૧૧, ૧૮૯૫]

નામદાર ધિ રાઈટ ઑનરેબલ
લૉર્ડ એલ્જિન, હિંદના વાઈસરૉય અને ગવર્નર જનરલ
અને કાઉન્સિલના સભ્યો જોગ,
કલકત્તા

નાતાલ સંસ્થાનના નીચે સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રપણે દર્શાવે છે કે :

તમારા અરજદારો જેઓ સમ્રાજ્ઞીના હિંદી પ્રજાજનો છે, તમો નામદારનું ધ્યાન સમ્રાજ્ઞીની સરકારને મોકલેલી નમ્ર અરજી[૧] તરફ ખેંચવાની ઇજાજત લે છે. એ અરજી નાતાલની લેજિસ્લેટિવ ઍસેમ્બલી અને લેજિસ્લેટિવ કાઉન્સિલે તાજેતરમાં પસાર કરેલા ઈન્ડિયન ઇમિગ્રેશન લૉ એમેન્ડમેન્ટ બિલની અમુક કલમો બાબતમાં હતી જે થોડે અંશે તમો નામદારના, નામદાર નાતાલના ગવર્નર ઉપરના એ બાબતના ખરીતાને આધારે ઘડાઈ હતી, જેની એક નકલ આ સાથે જોડવામાં આવી છે.

તમો નામદારનું ધ્યાન ઉપરની અરજી તરફ ખેંચવા ઉપરાંત તમારા અરજદારો આ બિલ વિષે સાદર નીચે મુજબ જણાવવાની રજા માગે છે :

તમો નામદારના અરજદારોને ખેદ સાથે એ વાતની જાણ થઈ છે કે તમો નામદાર ફરજિયાત રીતે ફરીથી કરાર કરવાની અથવા ફરજિયાત પાછા ફરવાની વાતના સિદ્ધાંતને મંજૂર કરવાનું વલણ ધરાવો છો.

તમારા અરજદારોને એ વાતનો પણ ખેદ થાય છે કે જયારે કમિશનના સભ્યો [૨] હિંદુસ્તાન જવા નીકળ્યા ત્યારે તેમણે તેમની સાથે કોઈ અરજી મોકલી નહોતી. આવો રસ્તો લેવામાં કયાં કારણો વચમાં આવ્યાં હતાં તેની ચર્ચા કરવાનું નિરર્થક જ ગણાશે. આમ છતાં તમારા અરજદારો વિશ્વાસપૂર્વક આશા રાખે છે કે કોઈ સંજોગમાં બિલ કાનૂન બને તો તેનાથી જે અન્યાય અમારા ઉપર ઝીંકાશે તે એવડો મોટો હશે કે તેને રોકવામાં ઉપરની અમારી ભૂલ વચમાં આવશે નહીં.

તમારા અરજદારો વધારેમાં વધારે આદર સાથે એ વાત બતાવી આપવાને હિંમત કરે છે કે જો ફરજિયાત પાછા ફરવાની શરતનો ભંગ કરવા સામે ફોજદારી કાનૂનનો અમલ થઈ શકતો ન હોય તો પછી મજૂરીના કરારોમાં આવી કલમ દાખલ કરવાનું ખરેખર નુકસાનકારક નહીં હોય તોપણ તદ્દન નકામું છે. કારણ કે એમાંથી એ કરાર કરનાર પક્ષને પોતાના કરારનો ભંગ કરવાને ઉત્તેજન મળશે અને એવા ભંગ તરફ કાનૂન બેધ્યાન રહેશે. અને આવી ભારે સાવચેતી પહેલેથી જ કરારમાં રહેલા અન્યાયનું અસ્તિત્વ કલ્પી લેતી હોવાને કારણે તમારા અરજદારો


  1. ૧. જુએા પા. ૧૬૫.
  2. ૨ જુએા પા. ૧૬૬.
માનપૂર્વક જણાવે છે કે મંજૂરી મેળવી લેવાનું જે કોઈ કારણોથી ન્યાયી ઠરતું જ હોય તો

પણ તે માટે અપાયેલાં કારણો સંપૂર્ણ રીતે અધૂરાં છે.

આ સાથે જોડેલાં લખાણમાં ઈશારો કરવામાં આવ્યો છે તે મુજબ, તમારા અરજદારો તમો નામદારને, આજીજીપૂર્વક વિનંતી કરે છે કે વાંધો લેવામાં આવ્યો છે એવી કોઈ પણ કલમોને મંજૂરી આપવામાં નહીં આવે, પરંતુ સાથે જોડેલા લખાણમાં [૧] ઉતારેલા મિ. જે. આર. સૉન્ડર્સ અને માનનીય મિ. એસ્કમ્બના ભારપૂર્વક વ્યક્ત કરેલા અભિપ્રાયો મુજબ નાતાલ આવતા વસાહતીઓને અટકાવવામાં આવે.

તમારા અરજદારો માનપૂર્વક એ વાતનો વિરોધ કરે છે કે સમ્રાજ્ઞીના પ્રજાજનોના કોઈ પણ વર્ગને, પછી તે સૌથી ગરીબ કેમ ન હોય, લગભગ ગુલામ બનાવવામાં આવે અથવા તેના ઉપર ખાસ, હાનિકારક માથાવેરો નાખવામાં આવે, અને તે એટલા ખાતર કે સંસ્થાનવાસીઓનું એક જૂથ જે આવા પ્રજાજનો પાસેથી આજ સુધી ભારેમાં ભારે ફાયદો ઉઠાવતું આવ્યું હોય તે કોઈ પણ બદલો આપ્યા સિવાય એ જ માણસો પાસેથી વધારે ચૂસવા માટેની પોતાની ધૂન કે ઈચ્છા સંતોષી શકે, ફરજિયાત ફરી કરારમાં ઊતરવાના અથવા તેને બદલે માથાવેરો નાખવાના વિચારને ધૂન કહેવામાં તેમણે સાચો જ શબ્દ વાપર્યો છે; કારણ કે તમારા અરજદારો દૃઢતાપૂર્વક માને છે કે સંસ્થાનમાં હિંદીઓની વસ્તી ત્રણ ગણી કરી દેવામાં આવે તોપણ ભય માટે કોઈ કારણ રહેતું નથી.

પરંતુ, તમારા અરજદારો નમ્રપણે જણાવે છે કે, ઉપરના જેવી બાબતમાં સંસ્થાનના લોકોની ઇચ્છા જ કાંઈ તમો નામદારના નિર્ણયની માર્ગદર્શક નહીં થઈ શકે, પણ આ કલમોની અસર નીચે આવતા હિંદીઓનાં હિતોનો પણ વિચાર કરવાનું જરૂરી છે. અને યોગ્ય એવા પૂરા આદર સાથે તમારા અરજદારોને કહેતાં કોઈ પણ સંકોચ રહેતો નથી કે આ કલમો જો કદી મંજુર થઈ તો તે સમ્રાજ્ઞીના સૌથી નિરાધાર પ્રજાજનો માટે એક ગંભીર અન્યાય અને ગેરવર્તાવનું કાર્ય થઈ પડશે.

તમારા અરજદારો જણાવે છે કે પાંચ વર્ષનો ગિરમીટનો ગાળો પસાર કરવામાં પૂરતો લાંબો છે. એને અચોક્કસ મુદત માટે લંબાવવાનો અર્થ એ થશે કે જે કોઈ હિંદી ૩ પાઉન્ડનો માથાવેરો ભરી નહીં શકે અથવા હિંદુસ્તાન પાછો નહીં જઈ શકે તેણે કાયમને માટે સ્વતંત્રતા વિના, કદી પોતાની સ્થિતિ સુધારવાના કોઈ પણ અવકાશ વિના, તથા તેનું ઝૂંપડા જેવું ઘર, તેની નજીવી રોજી અને ચીંથરેહાલ કપડાંને બદલે વધારે સારું ઘર, ગમી જાય એવો ખોરાક અને માનભર્યાં કપડાં મેળવવાનો વિચાર સુધ્ધાં કર્યા વિના રહેવું પડશે. તેણે પોતાનાં બાળકોને પોતાના રસ પ્રમાણે કેળવણી આપવાનો અથવા પોતાની પત્નીને કોઈ પણ જાતના આનંદપ્રમોદ વડે સુખસંતોષ આપવાનો વિચાર સુદ્ધાં કરવો નહીં જોઈએ. તમારા અરજદારોનું કહેવું એવું છે કે ઉપર વર્ણવેલા જીવન કરતાં તો હિંદુસ્તાનમાંનું અડધી ભૂખની દશાનું પરંતુ સ્વતંત્રતાનું અને સમાન સ્થિતિવાળા મિત્રો અને સગાંસંબંધી વચ્ચેનું જીવન ખરેખર વધારે સારું અને વધારે ઈચ્છવાજોગ બનશે, એવી સ્થિતિમાં તો હિંદીઓ હજી પોતાની હાલત સુધારવાની અપેક્ષા રાખી શકે અને તક મેળવી શકે, પણ અહીંની સ્થિતિમાં તો કદી તેમ નહીં કરી શકે, તમારા અરજદારો માને છે કે પ્રવાસે નીકળવાને ઉત્તેજન આપવાનો આવો હેતુ કદી નહોતો.


  1. ૧. જુએા ૫ા. ૧૭૧-૨.

એટલા માટે છેવટે તમારા અરજદારો ખરા હૃદયથી વિનંતી કરે છે અને વિશ્વાસપૂર્વક આશા રાખે છે કે જે સંસ્થાનને, જેની સામે વાંધો લેવામાં આવ્યો છે તે વ્યવસ્થા મંજૂર થયા સિવાય હિંદી વસાહતીઓનો પ્રવેશ ખપતો નહીં હોય તો તમો નામદાર ભવિષ્યમાં નાતાલમાં મજૂરો મોકલવાનું બંધ કરી દેવા અથવા ન્યાયી લાગતી એવી બીજી કોઈ રાહત આપવા મહેરબાની કરશો.

અને આ ન્યાય અને દયાના કાર્ય બદલ આપના અરજદારો ફરજ સમજી કાયમને માટે પ્રાર્થના કરતા રહેશે વગેરે વગેરે.

(સહી)અબદુલ કરીમ હાજી આદમ

અને બીજાઓ

[ મૂળ અંગ્રેજી ]
છાપેલી નકલની છબી પરથી