ચિત્રદર્શનો/ગુરુદેવ

વિકિસ્રોતમાંથી
← બ્રહ્મદીક્ષા ચિત્રદર્શનો
ગુરુદેવ
ન્હાનાલાલ કવિ
સૌરાષ્ટ્રનો સાધુ →


(૧૩)

ગુરુદેવ

ગુરુદેવ ! નમોનમ:
ગુરુ ! ત્ય્હાં સુણાશે આ શબ્દ ?
જ્ય્હાં વિચરો છો જ્યોતિરૂપે,
ત્ય્હાં મૃત્યુલોકાના બોલ પહોંચે છે ?
શીખવ્યું છે આપે જ, ને સ્મરૂં છું,
કે માનવ વાણીનો પડઘો
શ્રવણેન્દ્રિયમાં પરિસમાપ્તતો નથી
મનવચનકર્મના મહાધ્વનિ
જગતમાં ને જગતની પાર ઘોરે છે.
એટલે શ્રદ્ધા છે ગુરુબોધમાં
કે શબ્દ નહીં તો શબ્દાર્થ,
ને શબ્દાર્થ નહીં તો શબ્દભાવ,
સદા યે સંભળાય છે ત્ય્હાં.

‘ત્ય્હાં’ એટલે ક્ય્હાં ?
સ્વર્ગ ? વૈકુંઠ ? ગોલોક ? અક્ષર ? ક્ય્હાં ?

જગજ્જનો જાણવા ઈચ્છે છે,
મૃત્યુના પડદા પાછળ જોવા વાંચ્છે છે.
મ્હેં તો વચ્નામૃત પીધું છે કે
न हि कल्याणकृत अश्चित्‍
दुर्गति तात ! गच्छन्ति.
કંઈ કંઈનાં કલ્યાણ કીધાં છે.
પ્રાણધન ખર્ચી પ્રાણ ઉદ્ધાર્યા છે,
તે કલ્યાણ જ પામ્યા છો.
જ્ય્હાં વિહરો છો ત્ય્હાં,
સંસારમુક્ત તે સદ્‍ગતિમાં;
પુણ્યધામે આનન્દમૂર્તિ છો.


ગુરુરાજ ! મોહન એ મચ્છુનો કાંઠો,
ને હેતાળ એ મોરબીની વસ્તી !
કાળમીટના વજ્રતટની એ વેરાન ભવ્યતા
ને લોકસંઘના સદ્‍ભાવની એ કુમાશ !
દેવ ને મનુદેવ જ્ય્હાં લીલા કરે
તે તીર્થ, ને અન્ય અતીર્થ.
ગુરુદેવ ! પુણ્યપગલાંથી આપે,
ને સાધુકવિ વેદમૂર્તિ મહર્ષિ
બ્રહ્મસભાના બ્રહ્મરત્ન શંકરલાલજીએ,
એ અતીર્થને તીર્થ કીધાં અમ માટે.
ગંગા અને ગંગાના તટવાસી જેવાં
સ્મરણમાં રમે છે એ સહુ.

ઘેરે નાદે મુખની મોરલી બોલતી,
ન્હાને ડગલે પૃથ્વી ઉપર પગલાં પાડતા,
પુણ્યના પરિમલે જીવનનું પુષ્પ વિકસતું.
પ્રફુલ્લ બૃહસ્પતિની જોડલી સમોવડી
નયનબેલડી ત્‍હમારી પ્રોજ્જવલ પ્રકાશતી,
વિશાલ તેજસ્વી ભાલદેશે
અનેક રેખ ત્રિપુંડ્‍ સમી
તત્ત્વચિન્તનની રેખાઓ લંબતી.
જ્ઞાનભારે ભમ્મરો નમતી,
અનુભવના અંબારથી અંજાયેલાં
પોપચાં ધીમેશથી પડતાં-ઉપડતાં.
ફિલસુફની તત્ત્વલીનતા ને ચિન્તનસમાધિના
વદને ઊંડા પડછાયા પથરાતા.
યૌવનનો ઉઘાડ છતાં વિકારહીન,
બુદ્ધિવૈભવ છતાં અડગ શ્રદ્ધાવાન,
પ્રારબ્ધવાદી છતાં નિરન્તર પુરુષાર્થી,
અદ્વિતીય ગુરુ છતાં સદાના શિષ્ય,
મહાતત્ત્વજ્ઞાની છતાં યે
એકાન્તિક ભક્ત ત્‍હમે હતા.
અભ્યાસના ખાલી કુંભમાં
ટૂંકા જીવનનો ઉભરાતો અનુભવ
નીતારી નીતારી ભર્યો હતો.
જડદેહે બટુકજી જણાતા.
પણ ચેતનદેહે વિરાટરૂપ વિલસતા.

સાદાઈ અને સરલતાની સૌમ્યમૂર્તિ,
ઉન્માદ ને અત્યાચારના અરિ હતા.
વસન્તના વાયુ વાય,
ફળે, ને સહકાર નમે:
સંસારનાં સદ્‍ફળ ફળતાં
તેમ તેમ ત્‍હમારી ડાળે નમતી :
સન્માનથી સર્વદા ત્‍હમે વિનયી થતા.
અમારી નિત્યે કલ્યાણકામનાવાળા,
શિષ્યોના નિરન્તર હેતના લોભી,
વિદ્યાર્થીઓની વાતના વિસામા હતા.
બ્રહ્મચારીને બ્રહ્મચર્ય બોધતા,
ગૃહસ્થાશ્રમીને ગાર્હસ્થ્ય-ધર્મ શીખવતા :
પ્રેરણાથી પ્રકાશતી એ વાણી હતી.
દેવમન્દિરમાં યે દેવકથા કરતા,
પુરાણ-વાર્તા નવઉત્સાહે લલકારતા,
સધુસન્તો યેર સુણી સત્કારતા તમ વેણ.
પંચેન્દ્રિયો અખંડ પંચ વર્તમાન પાળતી.
એકાદશીનાં જાગરણ ઉપવાસ ધૂન નીરખી
સુફી અને અગમ્યવાદીઓ સાંભરતા.
ત્‍હમારા વતન ફરતાં વનમાંના
મહાઘોષમાં શાર્દૂલની ગર્જના સમોવડો
ત્‍હમારો ઉપદેશ ગાજતો.
લક્ષ્મીજીએ કુંકુમચન્દ્રકે

ને નારાયણ ભગવાને કેસરતિલકે
ગુરુરાજ ! ત્‍હમને વધાવ્યા હતા :
ને દેવભાગનું નૈવેદ્ય ધરાવીને જ
દેવદત્ત વૈભવ ત્‍હમે ભોગવતા.
લીલમલીલી અમ ગુજરાતની અમરાઇએ
નવશિક્ષણની ત્‍હમે શાખ હતા.
પ્રાચીનઅર્વાચીન ઉભયમાં વિશ્વાસુ,
પૂર્વપશ્ચિમ ઉભયમાં શ્રદ્ધાવાળા,
રાજાપ્રજા ઉભયમાં આસ્તિક ર્‍હેતા.
સદ્‍ગુરૂ સહજાનન્દજી ને મહાત્મા અફલાતુન
ઉભયના પરમ ઉપાસક હતા.
કાલના આદિથી કવિઓ
પુષ્પના ગુણાનુવાદ ગાઈ રહેવા
મથે છે, પણ નથી ખૂટ્યા એ :
મહાનુભાવી ગુરુદેવની તો પછી
ગુણગીતા કેમ ગવાઈ રહે ?
નેતિ, નેતિ, નેતિ, ભગવાન !


આયુષ્યની ઉજમાળી સ્મૃતિઓ
કોને નથી સતાવતી ?
સુખનાં સ્મરણોમાં ઊંડું દુઃખ છે,
દુઃખનાં સ્મરણોમાં ઊંડું સુખ છે.
પુરાણાં સુખ સંભારતાં યે
દિલ દાઝે છે, ગુરુજી !

સૂર્યનું કિરણ સપ્તરંગે ઉઘડે,
ને સાતે રંગ પાછા સંકેલાઈ
એકજ્યોત શ્વેત કિરણ સોહાય :
ત્‍હમારા જીવનનું કિરણ પણ તેમ
સંસારમાં અનેક રંગ ઉઘડ્યું,
ને ઉઘડી, પ્રફુલ્લી, ઝહળ ઝળકી,
અન્તે એકજ્યોત સંકેલાઈ,
ધવલ રંગે ધર્મમાં આથમ્યું,
ને સૂક્ષ્મ અંશ અક્ષરચરણે વિરામ્યો.
જય એ ત્‍હમારો, ગુરુદેવ !
જગત જીત્યા, ને પછી એ જીવ્યા.


પૃથ્વીને આરા છે,
ને પૃથ્વીમાંની ઉત્ક્રાન્તિને યે આરા છે.
એ પછીના ઉત્ક્રાન્તિમાર્ગ
અવકાશને સ્‍હામે તીરે છે;
ને મૃત્યુની નદીનાં અન્ધારકાળાં નીર
વચમાં ઘેરાં ઘેરાં વહે છે.
એ વારિ તરી ઉતરતાં
મનુષ્યનાં માટીનાં માળખાં
ઓગળી જાય છે, દેવ !
ત્‍હમે પૃથ્વીના પોશાક ઉતાર્યા,
ત્‍હમે ચેતનના વાઘા સજ્યા,
ત્‍હમે તેજની પાંખો પ્રસારી ઉડ્યા

એ ઉત્ક્રાન્તિના અગોચર પન્થે.
ઊર્ધ્વગામીનું જવું યે ધન્ય છે,
અધોગામીનું જીવવું યે ધૂળ છે.
જગત્‍ યાત્રામાં જીવન ને મૃત્યુ
ઉભય ત્‍હમે ધન્ય કર્યાં.

ટૂંકી આયુષ્યની અવધો ત્‍હમારી,
પણ લાંબા ઉરનાં સંભારણાં અમારાં.
સૂર્ય કરતાં સૂર્યપ્રકાશ વિસ્તીર્ણ છે,
પુષ્પ કરતાં પુષ્પના પરિમળ બ્‍હોળા છે :
પ્રકાશવન્ત ને પરાગમય આયુષ્ય કરતાં યે
એ આયુષ્યનાં સ્મરણ સુગન્ધ દીર્ઘજીવી છે.

यस्मान्नोद्विजते लोको
लोकान्नोद्विजते च यः
કોઈને દૂભાવ્યા નથી,
કોઈથી દૂભાયા નથી :
વડવાનળની મહાજ્વાલાઓ, દેવ !
જો કે ઘણી યે સળગાવેલૂ મ્હેં તો,
પણ દિલનો દરિયો ડહોળાયો નથી.
સહુને બધું ક્ષમા કરતાં જ
સંચર્યા છો સંસારના તીર્થમાં.

આપણો પ્રસંગ શું આલેખું ?
નથી વીસર્યો ને નહીં વીસરાય,

સ્મરણમાંથી નહીં સરી જાય
એ આપેલું જીવતદાન.
ખરાબે લાધતી મ્હારી નૌકાને
વાળી વ્હેણમાં મૂકી,
એ નાખુદો ભૂલશે કદી ?
ગગનના તારકલેખ ભૂંસાશે ?
કે ભૂંસાય એ હઈયાના લેખ ?

ગુરુદેવ ! નમોનમ :
બે વાર શરણે આવ્યો, ને તર્યો.
ત્રીજી વાર પુણ્યનામાવશેષ
અહીં લખું છું અધૂરે અક્ષરે.
લોકકવિતા કહેછે કે
રામનામે પત્થર તર્યા :
તો કાશીરામને નામે
અ પત્થરે તરશેસ્તો.
ત્ય્હાંથી યે ઉદ્‍બોધજો મુજ બુદ્ધિને,
ને પ્રેરણાનાં પીયૂષ પાઠવજો, દેવ !
शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्.