છેલ્લું પ્રયાણ/દક્ષિણ્ ગુજરાતનાં લોકગીતો

વિકિસ્રોતમાંથી
← એને મુરશિદો મળ્યો છેલ્લું પ્રયાણ
દક્ષિણ્ ગુજરાતનાં લોકગીતો
ઝવેરચંદ મેઘાણી



દક્ષિણ ગુજરાતનાં લોકગીત


એવું તો તમે ભાગ્યે જ કહી શકો, કે મુંબઈ નગરીની પ્રિન્સેસ સ્ટ્રીટના ફૂટપાથ પર ગુજરાતનાં સાતસો જેટલાં લોકગીતો તમને ખરે મધ્યાહ્‌ને ઓચિતાં સામાં મળશે. સંતરાં–મોસંબીની ટોપલીઓ, કાંચકા–રમકડાની રેંકડીઓ, હજામત કરવાના સાબૂ, દીડકીની યાચના કરતાં ડોસાંડગરાં, કોઈક દાક્તર અગર વકીલ, એવાં તો કંઈ આવી અફળાય; પણ એકી સાથે સાતસો લોકગીતોનું શું ગજું, કે ગુર્જર સાગરપટ્ટી પરનાં કમોદનાં ખેતરોમાંથી સળવળી ઊઠીને નર્યા પથ્થરની ફરસબંધી પર મુંબઈ શહેરની ખદબદ માનવદુનિયામાં તમારી રાહ જોઈ ઊભાં રહે !

પણ આ હકીકત છે. હાથમાં કાગળનું દળદાર દાસ્તાન લઈને એક જુવાન ભરૂચા બિલ્ડિંગની આલેશાન ઈમારતના ઓળામાંથી પસાર થતો થતો જરા સંકોચ સાથે થંભ્યો, અને એણે, વગર પરિચયે પણ હિંમત કીધી:

‘આ મારે તમને બતાવવાં હતાં. આ જુઓ, સાત સો છે, અઢી વરસથી રઝળીને મેં એકઠાં કર્યા છે; બે મિનિટ ઊભા રહેશો? આ જુઓ.’

એટલું જ કહીને, રખેને હું ચાલ્યો જઈશ એવી — ધારણાથી, પેલું દળદાર દાસ્તાન ઉઘાડી કહ્યું:

‘ફક્ત અનુક્રમણિકા જ વાંચી બતાવું. વાંચવા માંડી અક્કેક ગીતની પહેલી પહેલી પંકિતઓ:—

ચાંદરણાંની રાત રે, સ્વામી રમવા જવા દે.


ફૂલ ફૂટ્યું ને ચાઈલા ચાકરી હો મારા રાજ.


એક ઝીણી પિછોડીની ઓઢણી, એને ખસી જતાં
નૈ લાગે વાર રે.


પાન સરીખી ગોરી પાતળી.


ઓ મારા રંગીલા લાલ ! તું તો મને ગમતો નથી રે.


મોરવેલ વાડીની મધ્યે તલાવડી.

પણ પછી તો યુવાન નર્યાં શબ્દવાચનથી ન અટકી શક્યો. એણે તો તાલસૂર ઉપાડીને ગાવા માંડ્યું. એના ધીરા ગળામાંથી ખરજનાં હલકદાર મોજાં ઊઠયાં:—

પેલી ચાંલ્લાવાળી કોણ?
એનો ચાંલ્લો ઝપાઝપ!
મારુ મન્ન મોહ્યું રે.

‘અને જુઓ તો ખરા !—આ વિનોદગીત :—’ એમ કહી, જુદા જ તાલલયમાં, સમગ્ર અંગનો નખશિખ મરોડ દેતે દેતે ગુંજી બતાવ્યું:—

ભાંગી રે ભીંતમાં પરવલ્લી,
ડાલમ ડોલમતી જાય.
વેવાણને કરડી ગાલમાં,
વેવાણ બબડતી જાય.

ક્યારે કરડી ક્યારે ?
ચાંદો ઊગ્યો ત્યારે !
મરી મસાલો,
તેલનું ટીપું,
ચાં,ચૂં, ને ચપ !

‘આ ગીત લગ્નપ્રસંગે ભરવાડ લોકો નૃત્ય કરતાં કરતાં ગાય છે. આ પરવલ્લી એટલે ગરોળી, ગીતમાં ‘ડાલમ ડોલમતી જાય’ એમ કહ્યું, બરાબર એવી જ ગતિએ ગરોળી ચાલતી હોય છે, જાણો છે ને?’

મારું વિસ્મય શમે તે પહેલાં તો એ જુવાને કૈંક પંક્તિઓ ને જૂજવા ઢાળ એ ફરસબંધીના પથ્થર પર પીરસી દીધા. પછી ઘડી વાર દમ ઘૂંટવાની રાહ પણ જોયા વગર એણે આત્મનિવેદન માંડ્યું :

‘અમારા સૂરત બાજુના ગ્રામપ્રદેશમાં ગવાતાં આ ગીતો છે, જુઓ અહીં મેં એ એકત્ર કરીને ગોઠવ્યાં છે. જુઓ વિભાગો પાડ્યા છે : સીમન્ત, જન્મ, પ્રસૂતિ, હાલરડાં, બાળકૂદકણાં, લગ્ન, શણગાર, પ્રેમ, વિરહ અને છેક મૃત્યુ. સુધી. હું અઢી વર્ષ આ ગીતો પાછળ રખડ્યો છું. ને અત્યારે તો હું રેડિયો પર ગ્રામ–કાર્યક્રમમાં આ ગીતો ગાવા જાઉં છું. પછી મળીશ.’

મોટરો, ટ્રામો ને ગાડીઓની આંટીઘૂંટીમાંથી એ તો એનું દાસ્તાન લઈને અદ્રશ્ય થઈ ગયો. પછી તુરત મારા સાથી સ્નેહીને મારાથી કહી બેસાયું: ‘લોકસાહિત્યને નામે જે બજારુ બનાવટો ચાલી રહી છે, તેની વચ્ચે આજે ઘણે વખતે એક અસલી અને નક્કર વસ્તુ આ આદમીની પાસે મને માલૂમ પડી. એ ભાઈ કોણ છે?’

‘ન્યૂ ઈરા સ્કૂલના ચિત્ર–શિલ્પના શિક્ષક.’

ન્યૂ ઈરા પર ટેલિફોન કર્યો, ભાઈ જમુ દાણીની જોડે ગોઠવણ કરી. અને મુંબઈ છોડવાની આગલી રાતે, એક મિત્રને ઘેર, એ ચિત્રશિક્ષક મધુભાઈ અને એમના નાનાભાઈ, બન્નેએ આવી ત્રણેક કલાક એમની દરિયાકાંઠાની સૂરતી જન્મભોમનાં જે લોકગીતો સંભળાવ્યાં તેણે અંતર ભીંજવી આપ્યું. એ ગીતોના શબ્દોએ અને સ્વરોએ ગુજરાતની ધરતીને બોલતી કરી. તાલ લયની અનેકવિધતા, ભાવોની વેધકતા, અને ગુજરાતના એક નાના શા પ્રદેશમાં બોલાતી લોકબોલીની લહેકતી મિષ્ટતાઃ એણે પ્રતીતિ આપી, કે કોઈ પણ એક ખૂણેથી ગુજરાતને નિહાળો, ગુજરાત સોહામણી છે, અધિકાધિક અને અવનવી નમણાઈ ધારણ કરીને એ આપણી સન્મુખ પ્રકટ થાય છે. એના રૂપનો પાર નથી. મનમાં એક જ ઊર્મિતરંગ ઊઠે છે:— 

મારું મન મોહ્યું રે,
એનો ચાંદલો ઝપાઝપ,
મારું મન મોહ્યું રે.

આ બે ભાઈઓએ જે ગાયાં તે ગીતોને યાદ કરી કરી, મારા ઘરનાં શિયાળુ માટીનાં માટલામાં જે માટીની સુગંધે મહેકતું પાણી પીઉં છું ને ધરવ થતો નથી તેના જેવું લાગ્યાં કરે છે. ગામમાં કડિયાકામ કરતી કરતી અથવા તો દરિયાકાંઠાના ખેતરોમાં કમોદ રોપતી રોપતી કછોટાદાર સૂરતી કોલણો, પુરુષોના દેશાવર–વાસને એ વખતે એક ‘કાગળિયું’ ગાતી હોય છે. આવાં ‘કાગળિયાં’ લોકસાહિત્યમાંના અનેક કાગળોમાં એક નવી જ ભાત પાડે છે. આ ભાઈઓએ ચલતી ચાલના તાલલયમાં અને સારંગના સૂરોમાં ગાયું :—

આવતી ને જાતી વા’લા,
વડલામાં રે’તી વાલા,
કૂવાને ટોડે વાટ જોતી
શામળિયા વા’લા !

સૂરત શે’રનાં
આઈવાં કાગળિયાં વા’લા,
કાગળિયાં વાંચનાર નહિ રે
શામળિયા વા’લા !

સાંકડી શેરી……માં
મઈલા મે’તાજી વા’લા,
કાગળિયા વાંચી આપતા જાવ રે
શામળિયા વા’લા !

નિરક્ષર નારી, ભણેલા કોઈ ગ્રામજનની એશિયાળી, ગામના માસ્તર વિના કોની કને જઈ વંચાવે ? પણ ગામનો  એ એકલદોકલ ભણેશરી પોતાની મહત્તાને પૂરેપૂરી વટાવ્યા વગર સહેલાઈથી શે ‘કાગળિયું’ વાંચી સંભળાવે ! —

ગામને પાદરે વડલો રોપાવો વા’લા,
વડલાને છાંયે કાગળ વાંચું
શામળિયા વા’લા !

વડલાને શોભંતો ચોતરો બંધાવો વા’લા,
ચોતરે બેસીને કાગળ વાંચું
શામળિયા વા’લા !

ચોતરે શોભંતી ખુરશી મેલાવો વા’લા,
ખુરશી બેસીને કાગળ વાંચું — શામળિયા૦
ખુરશીને શોભંતા દીવડા મેલાવો વા’લા,
દીવડા–અજવાળે કાગળ વાંચું — શામળિયા૦

આટલા બધા ઠસ્સા અને દમામથી વંચાયેલું એ દેશાવરવાસીનું ‘કાગળિયું’ શું શું બોલ્યું ? મારા બાપને માલુમ થાય કે મારી માને કહેજો કે… અરેરે ! ન બોલ્યું ફક્ત એક સ્ત્રીનું જ નામ ! —

સસરાનું બોઇલું ને
સાસુનું બોઇલું વા’લા!
મારું તો નામ ના હોય રે શામળિયા વા’લા !

ખરું, મારો તો થોડો એ કંઈ સગો છે :—

માડીનો જાયો ને
સસરાનો બેટો વા’લા!
મારો તો કંઈ ન સગો રે શામળિયા વા’લા !

એને નસીબે તો —



આવતી ને જાતી વા’લા,
વડલામાં રે’તી વા’લા,
કૂવાને ટોડે વાટ જોતી
શામળિયા વા’લા !

કૂવાકાંઠાનાં વિફલ આવનજાવન જ રહ્યાં હમેશાં.

પરંતુ લોકસાહિત્ય એ કંઈ પાર્ટી-પ્રોપેગૅન્ડા તો થોડું જ છે? એ જ કછોટાધારી મજૂરણો, કમોદના ક્યારામાં ઘૂંટણસમા પાણીમાં ઊભી ઊભી, વાંકી વળી, વિદેશવાસી પિયુના ગૃહાગમનની પહેલી રાતને, પહેલી વાતને, મરદના મીણ જેવા હદયને જે થોડા શબ્દોમાં આલેખે છે તેનું ગીત એ બેઉ ભાઈઓએ ગાયું –

બાર ને વરસે રે… એ… એ… તારો
નાવલિયો આવિયો;
ગોરી રે… એ… એ તમારાં
મનડાં કાંઈ ઝાંખા રે……

દરિયામાં જઈ ને રે… એ… એ
ઝોલા મેં ખાધા;
ગોરી રે તમારાં
મનડાં કાંઈ ઝાંખાં રે… એ… એ… એ.

બસેંની બંગડી… ઈ… ઈ
નાવલિયો લાવિયો,
ગોરી રે તમારાં
મનડાં કાંઈ ઝાંખાં રે… એ… એ… એ,
ત્રણસેંની કંઠી… ઈ… ઈ… ઈ
નાવલિયો લાવિયો
ગોરી રે તમારાં૦



બે સ્ત્રીઓ ગવરાવે, ને બીજી દસવીસ ઝીલે. પ્રલમ્બિત સારંગ-સૂરાવળ : ઉપર જે પ્રમાણે ટુકડા પાડ્યા છે, તે પ્રમાણે તોડીને ગાય. ગદ્યને જાણે કે રાગે નખાય છે. કાતિલ છે, અતિ કાતિલ છે આ સ્વરાવલિ.

ગોરી તમારાં
મનડાં ઝાંખાં રે !

મિલન થવા છતાં મનડાં ઝાંખાં ? કીમતી આભરણો આણ્યાં તથાપિ કાં ન રીઝ્યાં ? અરેરે, કલ્પના તો કરો આ નાવિક–પતિના જીવનમરણના મામલાની ! —

દરિયામાં જઈ
ઝોલા મેં ખાધા રે

તોયે તમારા મનડાં ઝાંખા કેમ ગોરી ?

નારીવૃંદ નરની જે વેદનાને અહીં શબ્દ આપે છે, તે ઉત્કૃષ્ટ ઊર્મિકાવ્યનો નમૂનો પૂરો પાડે છે. આ ‘મનડાં ઝાંખાં’ અકારણ છે કે એની પાછળ કોઈ ઊંડું પ્રયોજન પડ્યું હશે ? ચિરકાળની ભયભરી, ચિંતાભરી વિયોગદશાએ સંયોગને શું અવાસ્તવિક કરી મૂક્યો હશે ?

આ ગદ્યપદ્યાત્મક રચના, અને એને ગાવાની સારંગની દર્દભરી લઢણુ — સારા ય ગુજરાતનું એ સજીવ તત્ત્વ છે. શું સાગરકાંઠાને કે શું ઇડરિયા ગિરિપ્રદેશને, સકળ ગુજરાતને કંઠે આ સારંગ લહેરાય છે, અને મારવાડ રજપૂતાનાની જોડે ગુજરાતને રેવી આપે છે. ગુજરાત-રાજસ્થાનનો એ ધરતીનો ટહુકો છે.

 સંયોગીઓના શિર પર પાછી વિયોગની પળ આવી ખડી થઈ જાય છે, અને તે સમય તો બરાબર ફૂલ ફૂટવાનો છે–

ફૂલ ફુઈટું ને ચાઈલા ચાકરી હો મારૂજી,
હાથેની ગૂંથેલી મારી ઓઢણી રે લોલ.

પ્રકૃતિ પુષ્પિત બની છે જ્યારે, અને આ જોબનની કળી પણ ફૂટી ઊઠી છે જ્યારે, ત્યારે જ તમે ચાકરીએ ચાલ્યા ? મને શીદ સાથે નથી લઈ જતા ? હું બોજારૂપ બનીશ, અગવડ કરીશ, એ બીક છે ? ના રે ના, જુઓ તો ખરા, હું તમને ભાર નહિ કરું; હું તો તમારી અંદર જ ગોઠવાઈ ને સમાઈ જઈશ :—

પાન સરખી રે હું તો પાતળી,
રે મને બીડલે વાળી લઈ જાવ;
રે રાજા રામ ચાલ્યા વનવાસ,
રે રાજા રામ ચાલ્યા વનવાસ.

સોપારી સરખી રે હું તો ઠીંગણી,[૧]
રે મને ગજવે ઘાલી લઈ જાવ;
— રે રાજા રામ૦

એલચી સરખી રે હું તો મઘમઘું,
રે મને દાઢમાં ઘાલી લઈ જાવ.
— રે રાજા રામ૦

સોટી સરખી રે હું તો પાતળી,
રે મને હાથમાં ઝાલી લઈ જાવ.
— રે રાજા રામ૦

સ્વામીની સાથે જવાને હરખપદૂડી બનતી બાપડી કોઈ નાની બાળાનો વિનોદ ઉડાવતું એ ગીત કરૂણ અને નર્મ એ બેઉ રસોના સીમાડા પર લહેરાય છે, અને ઉંબર પર મૂકેલા દીવાની જેમ બેઉ બાજુએ અજવાળાં પાડે છે.

‘ફૂલ ફૂઈટું ને ચાલ્યા ચાકરી હો રાજ !’ ચિત્રનું પ્રતીકપણું મને સોરઠી દુહા પર લઈ જાય છે. આ લોકસાહિત્યે ‘સિમ્બોલિઝમ્‌’ —પ્રતીક–ની જુક્તિ વડે કેટલું મોટું મેદાન સર કરી કાઢયું છે! ‘સ્નેહ’ શબ્દનો અર્થ પ્રેમ પણ થાય અને તેલ પણ થાય એ તો સંસ્કૃતભાષીઓ સમજે, ને અનેક ઠેકાણે શ્લેષ દ્વારા વાપરે. પણ લોકગીતોમાં એ કોણ જાણે કયી કરામતથી આવી બેઠું :

તમે માગેલ તેલ,
(તે દી) કાચું પણ કૂંપે નહિ;
(આજ) ફોરમનું ફૂલેલ,
(તારે) વાળે ઘાલુ વીંઝરા !

પ્રેમિકા પ્રેમિકને કહે છે, કે વીંઝરા ! તમે અગાઉ જ્યારે તેલ માગેલું ત્યારે તો મારા સીસામાં કાચું પણ નહોતું. આજે હવે તારા વાળમાં સુગંધી અને ફૂલેલ તેલ લગાવું એવી ભરપૂર મારી સ્થિતિ છે.

આમાં ‘તેલ’ પર સ્નેહના અર્થમાં કોઇ શ્લેષ નથી, પણ પ્રતીક-જુક્તિનો કસબ છે.

પણ હું આંહી પ્રતીકોનું પાંડિત્ય ડહોળવા બેઠો તેટલામાં પેલાં સૂરતી કંઠાળ-ગીતો કૈં કૈં પ્રદેશો ખેડતાં આગળ નીકળી ગયાં. પેલા ગાનારા ભાઈઓ શ્વાસ લેવા પણ થોભતા નથી, બની શકે તેટલા પ્રદેશો બતાડી દેવાની ઉમેદ તેમનામાં ઊછળી રહી છે. કહે છે, કે હવે એ ગોરીનો પિયુ પરગામે જઈ કોઈ ગોદીમાં, કોઈ કારખાને, કોઈ ઈમારતના ચણતર કામ પર જઈ મજૂરી ખેંચે છે, તોતિંગ લાકડાંનાં બીમ કે લોઢાના ગર્ડર ઉપાડે છે, ત્યારે આવાં ‘હોબેલાં’ બોલતો જાય છે :—

લાગો રે લાગો ભાઇ !
લાગો રે જુવાનની ટોળી,
બંદર તો નાખે રે તોડી,
હૈસો જુમાલ છે,

રે જુમાલ છે, રૂમાલ છે,
રેશમી રૂમાલ છે,
હે કે ગજવે ઘડિયાલ છે;
જોર જોરે જોબનિયાં.

જે જુવાનિયો જોર ના કરે,
એની બૈરી બીજો કરે,
હૈસો જુમાલ છે.

‘બંદર તો નાખે રે તોડી’ અને છેલ્લી બે ટૂંકોમાં અપાયેલો ઉપાલંભ –‘જે જુવાનિયો જોર ના કરે, એની બૈરી બીજો કરે.’ બંદરી હેલકરીઓનાં હોબેલાં એકત્ર કરીને પણ જે જુવાન એના પર ‘થીસિસ’ રચે તેને જરૂર યુનિવર્સિટી યશ આપે. પણ હેલકરી અને પંડિત, એ બેની વચ્ચે કોઈ મિલનબિન્દુ નથી. બીમ, ગર્ડર ઉપાડનાર જોબનિયાને બીક છે મોટી, કે —

જે જુવાન જોર ના કરે
એની બૈરી બીજો કરે !

પંડિત એ દૃષ્ટિએ સલામત ને બેફિકર છે. મુડદાલનું ઓઢણું માથે રાખીને બેસનારી ખાય શું ? ખાવાના કરતાં પણ મોટો પ્રશ્ન તો શણગારનો બને છે. કમજોર ધણી પરદેશથી કંઈ શણગાર લીધા વિના ઘેર રખે આવે, તે માટે તો એને દુબળાંનાં બૈરાં નૃત્યગીત ગાઈને નાનપણથી જ ચેતવી રાખે છે —

તું તો મારા માટે ઓઢણી લાયો નથી,
ઓ મારા રંગીલા લાલ !
તું તો મને ગમતો નથી!

આ ગમા અને અણગમા, આ પ્રણય અને અતિતૃપ્તિ, આ ઉરઉછાળા અને નિર્વેદ, એકબીજાથી છેક જ નજીક છે જીવનમાં. વચ્ચે એક ‘ઝીણી પછેડી’ જેટલું જ વ્યવધાન છે. બેઉ ભાઈઓએ એ ઝીણી પછેડીનું લગ્નગીત સંભળાવ્યું. વર માહ્યરે આવે, વર–કન્યાની વચ્ચે જે અંતરપટ રખાય છે તેને ખેસવી લીધા પછી તુરત આ ગવાય છે એમ મને કહેવામાં આવ્યું —

એક ઝીણી રે પછેડીની એાઢણી,
એને ખસી જતાં નવ લાગી વાર રે,
અવસર આવો ફરી નહિ મળે.
 
એક મોગરિયાની ડાળ રે પાતળી,
એને બે’કી જતાં નવ લાગી વાર રે — અવસર૦
 
એક પીળી રે માટોડીની માટલી,
એને ઝરી જતાં નવ લાગી વાર રે — અવસર૦

એક લીલા તે વાંસનો માંડવો,
એને સડી જતાં નવ લાગી વાર રે — અવસર૦

સ્વ. કવિ નાનાલાલનું અતિપ્રિય લોકગીત યાદ આવે છે :—

ઠાકોર, કેવડો લેતા જાવ,
કે આગળ નહિ મળે રે લોલ

ઇહજીવનની અલ્પકાળ ટકનારી રસોલ્લાસની મોસમને રખે કોઈ ચૂકી જતાં, ઓ માનવીઓ ! આ કેવડો આગળ જતાં નહીં મળે. આ ઝીણી પછેડીની ઓઢણીને ખસી જતાં વાર નહિ લાગે. આ મોગરે મહેકતી ફૂલડાળી ક્ષણ પછી તો ખાટી બહેકેલી વાસ કાઢવા લાગશે.

મધુભાઈએ અમને છેવટે શ્મશાનની વાટે લાવી મૂક્યા. શબયાત્રા નીકળે છે, આગળ મરદો ભજન ગાતા જાય છે ને પાછળ ઓરતો રડ્યા કે કૂટ્યા વગર ગાતી ગાતી ચાલે છે —

વૃંદા તે વનમાં તળાવડી રે બની !
કમળ કેરાં ફૂલ જોને બેની !
ધૂપ પડે ને કરમાય,
જો રે બેની !

એ જ રસોલ્લાસક સારંગ રાગ : એ જ ચલતીનો તાલ : કરુણની પારસીમા —

આઘું જઇને પાછું ભાળિયાં રે બેની !
શું એક આવે છે સંગાથ,
શું એક આવે રે સગાથ,
જો રે બેની !

માનવ–જીવ જતો જતો પાછળ એક નજર નાખે છે. સંગાથે કોઈ આવે છે ખરું ? હા, આવે છે —

તાંબાની તોલડીમાં આગ, જો રે બેની !
તે પણ આવે રે સંગાથ, જો રે બેની !


લીલા તે વાંસની પાલખી રે બેની !
તે પણ આવે રે સંગાથ, જોને બેની !


દાભ દશેઈનો સાથરો રે બેની !
તે પણ આવે રે સંગાથ, જો રે બેની !

આઘું જઈ જઈને વારે વારે પાછળ સંગાથ જોતા જીવને છેલ્લી વિદાય દેવાય છે —

જીવ તું શિવને સંભારજે !
મારું મારું રે બહુ કીધું,
અંતે નહિ આવ્યા કામ,
અંતે નહિ આવ્યા કામ,
જીવ તું શિવને સંભારજે !

લોકસાહિત્યની જનપ્રિયતાને, ઢોંગપ્રપંચો કરી કરી ડહોળનારા જ્યારે અનેક પરોપજીવીઓ ઉમટી પડ્યા છે, ત્યારે શુદ્ધ શાસ્ત્રીય દૃષ્ટિએ અને ઉલ્લસિત રસદૃષ્ટિએ જનતાના નીચેના થરો સુધી પહોંચીને મોતી તાગનારા મરજીવા કોઈક જ નીકળે છે. કામ કપરું છે. આ ભાઈએ એક બે વાતો કહી. એક ડોશીને કહે કે ગાઓ : ડોશી કહે, મને તો દળતાં દળતાં યાદ ચડે. વારૂ માડી ! તો દળો ને ગાઓ : પણ ભૈ ! દળું તે શું ? મારાં કાળજાં ? આ રેશનિંગમાં દાણા ક્યાંથી કાઢું ? સંગ્રાહકે ઘેરથી થોડા દાણા લઈ જઈ દળાવ્યું ને ગવરાવ્યું.

સીમમાં ભરવાડને કહ્યું, ઝેરિયાં ગાઓ : જવાબ જડ્યો, ‘લાખ્યા વિના કંઈ ગવાય ?’

‘લાખ્યા વગર’ એટલે પેટમાં તાડી નાખ્યા વગર ! પાવલી લાવીને આપી, તેનું પીણું પીને પછી ભરવાડ કહે કે, ‘લે હવે માંડ લખવા !’ ઝેરિયાંની ઝડી વરસી, લખનારો થાકે, ગાનારો ન થંભે.

છેવટે સંગ્રાહકે બુઢ્ઢી માને મનાવી, માનાં પચાસ વર્ષના ભીડેલાં ઉર–કપાટ ઊઘડ્યાં.

એકલા સૂરત જિલ્લાના અબ્રામા ગામની આજુબાજુથી જ મેળવેલાં એ અનાવિલ, કણબી, કોળી, દુબળા, ભરવાડ, હરિજન વગેરેનાં ગીતો છે.

સૌરાષ્ટ્રી ગીતોની ને આની વચ્ચે વિભેદ થોડો જ છે, નવીનતા અલ્પ છે. સમસ્ત ગુજરાતમાં રમણ કરતી એની એ જ કૃતિઓ, પ્રદેશભેદે નૂતન તળપદાં તેજછાયા ને રસરંગો ધારણ કરે છે. તાલછંદે નાચી રહે છે, ને પુરવાર કરે છે એકની એક વાત, કે ગુર્જર જનતા, પ્રદેશ પ્રદેશે, સાગર પ્રાંતરે ને ડુંગરે વેરાને, નિખિલતાના રાસમંડલમાં નિજત્વે રસેલી જૂજવી લીલા ખેલે છે. ગુજરાત સોહામણી ને કાવ્યભીની છે.

આ ભાઈએ મને છેલ્લી વાત કહી ચમકાવ્યો : ‘તમારા ‘ચૂંદડી’ નામે લગ્નગીતસંગ્રહની પ્રસ્તાવનામાં એક સૂરતી ફટાણું ટાંકીને તમે જે કઠોર ટીકા કરી છે તે વાંચીને જ મને ચાનક ચડી, કે સૂરત–પ્રદેશની આ અવહેલનાનો ઉત્તર આપું. માટે જ મારી આ પ્રવૃત્તિ થઈ.’

મનમાં થયું : આવી ચાનક જો બીજા પ્રદેશોના પુત્રોને પણ ચડતી હોય, તો તો લ્યોને તેની ભૂમિનું પણ હોંશેથી કંઈક ઘસાતું લખું !


  1. *સોરઠી લગ્નગીતમાં આ ઉપમાઓ છે, પણ ‘ઠીંગણી’ શબ્દને સ્થાને કાવ્યમય ‘વાંકડી’ શબ્દ છે, અહી તો આ ‘ઠીંગણી’ જેવો અન્યથા રુચિઘાતક શબ્દ જ કેવો સુસ્થાને દીસે છે !