છેલ્લું પ્રયાણ

વિકિસ્રોતમાંથી
છેલ્લું પ્રયાણ
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૭


છેલ્લું પ્રયાણ














ઝવેરચંદ મેઘાણી



છેલ્લું પ્રયાણ

‘પરકમ્મા’ના અનુસંધાનમાં
‘ટાંચણપોથીનાં વધુ પાનાં’ અને બીજા લેખો





ઝવેરચંદ મેઘાણી




મુખ્ય વિક્રેતા


ભારતી સાહિત્ય સંઘ લિમિટેડ
ફરનાન્ડીઝ પૂલ નીચે : ગાંધી માર્ગ: અમદાવાદ
નવી હનુમાન ગલીને નાકે : કાલબાદેવી: મુંબઈ ૨










પહેલી આવૃત્તિ : ૯મી મે : ૧૯૪૭
કિંમત : સવા બે રૂપિયા


પ્રકાશક :
ભારતી સાહિત્યસંઘ લિ° વતી
તા રા ચં દ ર વા ણી
ફ ર ના ન્ડી ઝ પૂલ નીચે
અ મ દા વા દ

મુદ્રક :
ગોવિંદલાલ જગશી
શારદા મુદ્રણાલય
પાનકોરનાકા, જુમા મસીદ સામે,
અ મ દા વા દ

નિવેદન

લગભગ અઢી વર્ષ પહેલાં મારા પિતાશ્રીએ ‘ ઊર્મિ' માસિકમાં ' ટાંચણપોથીનાં પાનાં ' નામની લેખમાળા શરૂ કરેલી. એના પહેલા સત્તર હપ્તાઓનો 'પરકમ્મા' નામે સંગ્રહ એમણે ૧૯૪૬ના ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ કરેલો. તે પછી પણ, 'પરકમ્મા'ના અનુસંધાનમાં 'ટાંચણપોથીનાં વધુ પાનાં' એમણે નિયમિત દર મહિને 'ઊર્મિ'માં આપવા ચાલુ રાખેલાં. બે-ત્રણ હજાર પાનાંની એમની ટાંચણપોથીઓમાં હજી 'પરકમ્મા' જેવા બે-ત્રણ બીજા સંગ્રહ થઈ શકે તેટલી સામગ્રી પડી હતી. દર મહિને લખાયે જતા એના હપ્તાઓ પૂરતા પ્રમાણમાં થતા જાય તેમ તેમ એમાંથી 'પરકમ્મા' જેવા વધુ સંગ્રહો પ્રસિદ્ધ કરતા જવાની એમની ઈચ્છા હતી. 'પરકમ્મા'ને મળેલા આવકારે એમાં ઉત્સાહ પૂર્યો હતો.

પછી તો 'પરકમ્મા'ના અનુસંધાનમાં 'ટાંચણપોથીનાં પાનાં'ના વધુ છ જ હપ્તાઓ તેઓ લખી શક્યા. એ હપ્તાઓ આ પુસ્તકના પહેલા વિભાગમાં આપ્યા છે. બીજા વિભાગમાં આપેલા 'બીજા લેખો' છુટક છુટક લખાયા હોવા છતાં એમનો પ્રકાર 'ટાંચણના પાનાં'ના જેવો છે, અને તેથી જ અહીં એક દોરે એમને પરોવ્યા છે.

અહીં બીજા વિભાગમાં છેલ્લો મૂકેલો 'દક્ષિણ ગુજરાતનાં લોકગીતો' એ એમણે લખેલો છેલ્લો સંપૂર્ણ લેખ હતો. છેલ્લા મહિનાઓ દરમિયાન એમણે મહી-નર્મદાને તીરે તીરે પરિભ્રમણ

કરવા માંડયું હતું. એક બાજુથી વીસ વર્ષ પૂર્વેની ટાંચણપોથીઓ ઉલેચી ઉલેચીને સોરઠી લેકસાહિત્યની શોધનકથા તેઓ આપતા જતા હતા, તેમ બીજી બાજુ ગુજરાતની ભૂમિની પરકમ્મા કરતાં કરતાં તેનાં ટાંચણો પણ તેઓ–વિશેષતઃ તો માનસપોથીમાં જ- ટપકાવ્યે જતા હતા. કોઈક દિવસ વળી એ ટાંચણપોથીમાંથી ગુર્જર લોકસાહિત્યની શોધનકથા પણ બહાર આવત. પણ એમની એ બીજી પરકમ્મા અધૂરી જ રહી. હવે તો, પોતાના છેલ્લા લેખના છેલ્લા વાક્યમાં એમણે જે 'ચાનક' ની વાત કરી છે તે ગુજરાતના જુદા જુદા પ્રદેશના પુત્રોને વહેલેરી ચડશે એવી આશા રાખવાની રહે છે.

'પરકમ્મા'માં મારા પિતાશ્રીએ બે પ્રયાણ પૂરાં કરીને ત્રીજાને આરંભ કર્યો હતો. પણ વિધાતાએ એ ત્રીજા પ્રયાણને જ આખરી પ્રયાણ બનાવી દીધું તેથી આ પુસ્તકનું નામ 'છેલ્લું પ્રયાણુ' રાખ્યું છે.

આ પુસ્તક એમની બીજી માસિક પુણ્યતિથિએ પ્રગટ થાય છે.

૯મી મે, ૧૯૪૭,

મહેન્દ્ર મેઘાણી

‘પરકમ્મા’નું નિવેદન

*[૧]આ પુસ્તક લખાયું તેનું શ્રેય ભાઈશ્રી ઉમાશંકરને જાય છે. ‘બુદ્ધિપ્રકાશ’નું સંપાદન પોતાને સોંપાતાં એણે મને લખ્યું કે લોકસાહિત્યના તમારા સંશોધનકાર્યમાંથી કંઇક (Chips from the workshop (કોઢ્યમાં પડેલાં છોડિયાં વીણીને 'બુદ્ધિપ્રકાશ'માં આપતા જાઓ.

એ સૂચના મળતાં મેં મારી ટાંચણ–પોથીઓનાં પાનાં ઉથલાવવા માંડ્યાં. કટકા બટકા ને કરચો, છોલ અને છોડિયાં, ઝીણી મોટી ખરઝર પાને પાને વણવાપર્યાં પડી રહ્યાં જોયાં. આજ સુધી જે સંગ્રહો આપી ચુક્યો છું તેના ઉપર નવું અજવાળું નાખે તેવી નાની મોટી વિગતો, વાર્તિકો ને ટૂચકા જડી આવ્યા.

તદુપરાંત એક વિચાર ચમક્યો : કે મારી સંશોધન-વાટ પર, મારા રઝળપાટને માર્ગે મને જે જે જીવતાં જનો વાતો કહેનારાં ભેટ્યાં, તેમની ઓળખાણને ગ્રંથસ્થ કરી તેમનું ચિરસ્મરણ પણ કાં ન સંઘરી લઉં.

પરિણામ આ લખાણ.'બુદ્ધિપ્રકાશ'માં તો એ થોડાં

પાનાંનું ત્રૈમાસિક હોવાને કારણે ન આપી શક્યો પણ ‘ઊર્મિ’ માસિકમાં એની લેખમાળા ‘ટાંચણપોથીનાં પાનાં’ના નામે ચાલુ કરી. ‘ઊર્મિ’ના સંપાદકના સાંઢસામાં જો ન ચંપાયો હોત તો નફકરાઈમાં લખવાને ટેવાયો ન હોઈને આ બધો કુટારો સાત જનવારે પણ બંદા ન કરત ! આ તો તકદીર બોચી ઝાલીને પાણીમાં ઝીંકે છે તેને જ આભારી છે.

આનો ઘાટ એક આત્મકથા જેવો ઊતર્યો છે. પણ એ લેખકની આત્મકથા નથી (એવી કોઈ છેડતી સાંખી લેવા આત્મજીવન તૈયાર પણ નથી.) આ તો છે મારા વિષયની–લોકસાહિત્યની શોધનકથા. ‘ઊર્મિ’ના વાચકોએ, વિદ્વાનો કે સામાન્યોના ભેદ વિના આ વાચનમાં રસ લીધો છે. જનસામાન્યને એમાં ભરપૂર પડેલા કથાપ્રસંગો રસપ્રદ થયા છે, અને અભ્યાસીઓને એમાં પ્રકટ થતી મારી શેાધન-પદ્ધતિની વિગતો થકી આનંદ ઊપજ્યો છે.

આવો લેખનપ્રકાર બીજા કોઈ માણસે ખેડ્યો હોવાનું જાણ્યું નથી. એની અભિનવતા એ એનો ગુણ છે કે દોષ તે તો ખબર નથી. અભિનવતાનું ગુમાન આ આલેખનની પ્રેરણા રૂપ નથી, પણ પચીસેક વર્ષ સુધી જે મારાં પરિભ્રમણોનું ધામ હતું તે ગિરિશૃંગમાલાની ફરતો એક વાર માનસિક ચક્કર લગાવતો જાઉં એ એક જ તરંગને આભારી આ કાર્ય છે.

બોટાદ
૧૨ : ૨ : ’૪૬
ઝવેરચંદ મેઘાણી
 




Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.
  1. *‘પરકમ્મા’ વિશે લેખકે જે કાંઈ કહ્યું છે તે આ પુસ્તકને પણ લાગુ પડતું હોઈને ‘પરકમ્મા’ માં એમણે કરેલું નિવેદન અહીં ઉતાર્યું છે.