જનમ સંગાથી વિસાર્યા જગદીશને

વિકિસ્રોતમાંથી
જનમ સંગાથી વિસાર્યા જગદીશને
દેવાનંદ સ્વામી



જનમ સંગાથી વિસાર્યા જગદીશને

જનમ સંગાથી વિસાર્યા જગદીશને રે,
એળે ખોયો માણસનો અવતાર રે,
સગું નથી કોઈ જાણે તારા જીવનું રે,
સુપના જેવો જુઠો આ સંસાર રે... જનમ ૧

ડાયો થઈને ડોલે નિર્લજ નાત્યમાં રે,
મરમ કરીને મિથ્યા બોલે વેણ રે,
શેરીમાં મરડાતો ચાલે માનમાં રે,
રાતાં દિસે રોષ ભરેલાં નેણ રે... જનમ ૨

નારી આગળ એક રતિ નવ ઉપજે રે,
ડા’પણ મેલી જ્યાં દોરે ત્યાં જાય રે,
નિર્લજ થઈને નાચે કુબુદ્ધિ કેણમાં રે,
વિષે ભરેલો ગરજુ ગોથા ખાય રે... જનમ ૩

અંતરમાં કપટીને ઊંડી ઇરષા રે,
સાધુ જનનો લેશ ન કીધો સંગ રે,
દેવાનંદ કહે જમ જોરાવર આવશે રે,
ભુકો કરશે ભાંગી તારું અંગ રે... જનમ ૪