જીવનનું ગાન

વિકિસ્રોતમાંથી
જીવનનું ગાન
અરદેશર ખબરદાર




જીવનનું ગાન

 
જીવતું મૃત્યુ છે જીવન આ તેહનું,
જેહને જીવન આ વ્યર્થ લાગે,
પળપળે લાખ શંકા ઉઠાવી ઉરે,
જીવનનો સર્વ આનંદ ભાગે;
જીવનનો મહામૂલો જોગ ચાલી જતો,
મેઘ વરસી જતો વ્યોમમાંથી;
જે દીવાલો કરે આસપાસે ઊભી,
ને સૂએ માંહી અંધાર ઓઢી,
તે ન કૈ દિવસનાં તેજ પામી શકે,
ખોય ત્યાં સર્વ આનંદ પોઢી;
ફૂલ નહિ જોય નિજ રંગસૌરભ કશું,
તદપિ કાંટા જ નીરખે શરીરે,
તો પછી વ્યર્થ છે જીવન એ ફૂલનું,
જીવતું મૃત્યુ એ જીવન ચીરે!

અરદેશર ખબરદાર