જેના મન નવ ડગે
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
જેના મન નવ ડગે ભજન ગંગાસતી |
મેરુ તો ડગે પણ જેના મન નવ ડગે,
- ભલે ભાંગી પડે ભરમાંડ રે,
- ભલે ભાંગી પડે ભરમાંડ રે,
વિપત પડે પણ વણસે નહીં,
- સોહી હરિજનનાં પ્રમાણ રે. ...મેરુ.
ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રાખે ને,
- કરે નહીં કોઈની આશ રે,
- કરે નહીં કોઈની આશ રે,
દાન દેવે પણ રહેવે અજાચી ને,
- રાખે વચનમાં વિશ્વાસ રે ...મેરુ.
હરખ ને શોકની ન જેને આવે હેડકી ને,
- આઠે પહોર રહેવે આનંદ જી,
- આઠે પહોર રહેવે આનંદ જી,
નિત્ય રહે સતસંગમાંને,
- તોડી દીધાં માયા કેરાં ફંદ રે ...મેરુ.
સંગત કરો તો તમે એવાની કરજો ને,
- ભજનમાં રહેજો ભરપૂર રે,
- ભજનમાં રહેજો ભરપૂર રે,
ગંગાસતી એમ બોલિયાં રે,
- જેનાં નયણોમાં વરસે સાચાં નૂર રે...મેરુ.