જેલ-ઑફિસની બારી/ફાંદાળો ભીલ
← મૃત્યુની અદબ | જેલ-ઑફિસની બારી ફાંદાળો ભીલ ઝવેરચંદ મેઘાણી |
શું સાચું ! → |
તે દિવસની સંધ્યાએ તું થરથરી ઊઠેલો, ખરું ? ફાંસીની તુંરગમાંથી પેલા મોટી ફાંદવાળા જુવાન ભીલને લાવવામાં આવ્યો અને જેલરે એને ત્રાડ મારી કહ્યું કે “તુમકો કલ ફજરમેં ફાંસી મિલેગા, તમારે વાસ્તુ હુકમ આ ગયા હૈ. તુમકો કુછ કહેના હૈ ?”
ફાંદવાળો ભીલ જેવો ને તેવો ઊભો રહ્યો.
“તુમ સુના ? કાન હે તો ? કલ સબેરે તુમકો ગલેમેં રસી ડાલ કે ફાંસી દેનેવાલી હૈ.”
ભીલની સમાધિ તોયે ન છૂટી.
પછી જેલરે હસીને સંભળાવ્યું:
“દેખો, તુમારી ફાંસીકી સજા નિકલ ગઈ. તુમકો છુટ્ટી દેનેકા હુકમ આયા હૈ. યે તમારે કપડે લો, પહેન લો, ઔર જાઓ દેસમેં મગર દેખો, અબ વો તમારી ઓરત કે પાસ મત જાના. ગલો કાટ કે માર ડાલેગી તમકો !”
ફાંદવાળો ભીલ તો આ ખબર સાંભળીને પણ બાઘાની પેઠે થીજી ગયેલો ઊભો છે. એને એક અદાલતે પોતાની સગી માની હત્યાનો અપરાધી ઠરાવી ફાંસી ફરમાવી હતી, અને આજ વળી એક ઉપલી અદાલતે એની એ જ સાક્ષી પરથી તદ્દન નિર્દોષ ઠરાવી નાખ્યો.
ફાંદવાળા ભીલના પેટમાં વિચારો ચાલતા હો કે “આ બધું આમ કેમ ? હું તે મનુષ્ય છું કે મૅજિસ્ટ્રેટોના હાથમાં રમતું રમકડું છું ? મારું જીવતર શું આવા ઝીણા તાંતણા પર ટિંગાઈ રહ્યું છે ? જેલર બોલે તેમાં મશ્કરી કઈ ? પહેલું બોલ્યો એ ? કે પાછલું ? મને ઠેકડીમાં ને ઠેકડીમાં દરવાજાની બહાર જવા દીધા પછી પાછો પકડીને લાવવાનો, મારું ટીખળ કરવાનો, સાંજ વેળાને જરી મોજ માણવાનો આ નુખતો તો નહિ હોય ને ?” ફાંદવાળો ભીલ આવી ઠેકડીનો પાઠ પહેરવા તૈયાર નહોતો. એ દિગ્મૂઢ ઊભો રહ્યો.
પછી સહુએ કહ્યું: “સચમુચ તુમ છૂટ ગયા. તુમ ગભરાઓ મત. યે હાંસી મત સમઝો.”
છ-બાર મહિનાની સજાવાળાઓને પણ છૂટતી વેળા જે હર્ષવેશની કૂદાકૂદ હોય છે, તેમાંનું કશુંયે આ મોતના ઉંબરમાંથી પાછા વળતા ફાંદવાળા ભીલને હૈયે નહોતું થતું. એ પોતે જ પોતાના પિંડ ઉપર નિહાળી રહ્યો હતો – પોતે પોતાને જ જાણે કે પૂછતો હતો કે હું તે જીવતો છું કે મરી ગયેલો ?
બહુ સમજાવટ તેમ જ પંપાળને અંતે એણે મૂંગામૂંગા કપડાં બદલાવ્યાં અને પછી એણે મારી આરપાર બહાર નજર નાખી; બીજી બારીઓની આરપાર જોયું.
કોઈ એને લેવા નહોતું આવ્યું. જગતમાં એની જિંદગી કોઈને કશા કામની નહોતી. આખી દુનિયાએ ત્યજેલાને પણ જે એક ઠેકાણે આદર હોય છે તે ઠેકાણું – તે પરણેલી ઓરતનું હૈયું – ફાંદવાળા ભીલને માટે ઉજ્જડ હતું. કેમ કે એ હૈયામાં કોઈ બીજાનું બિછાનું બન્યું હતું. એ બિછાનાની આડે આ ફાંદવાળો ભીલ તો કદાપિ નહોતો આવતો, પણ એની બુઢ્ઢી, માતા હંમેશની નડતરરૂપ હતી. ફાંદાળા ભીલની ઓરતે પોતાના આશકની મદદથી આ બન્ને નડતરોને એકસામટાં કાઢવા માટે જ સાસુની હત્યા કરીને પછી એનો ગુનો ધણી પર ઠોકાવી દીધો હતો. એટલે હવે ફાંદાળો ભીલ ક્યાં જઈ, કઈ ધરતી પર પગ મૂકશે એ એની મૂંઝવણ હતી.
ભાઈ ફાંદાળા ભીલ ! તું જીવતો જગતમાં જાય છે તે તો ઠીક વાત છે. મને એ વાતનો કશો આનંદ નથી. પણ હું રાજી થાઉં છું તે તો એક બીજે કારણે: ફાંસી-તુરંગના વૉર્ડરો અત્યારે અહીં વાત કરી રહ્યા છે કે બાપડો ફાંદાળો રોજેરોજ બેઠોબેઠો ભગવાનને વીનવી રહ્યો હતો કે “હે ભગવાન ! મેં મારી માને મારી નથી. માટે જો હું નિર્દોષ હોઉં તો મને આમાંથી છોડાવજે.” હવે તું છૂટ્યો, એટલે અનેક મૂરખાઓને નવી આસ્થા બેઠી: “જોયું ને ? ભગવાનને ઘેર કેવો ન્યાય છે !”
આ આસ્થાના દોર ઉપર અનેક નાદાનો નાચ માંડશે. જગતમાં ઈશ્વર છે, ને એ ઈશ્વર પાછો ન્યાયવંતો છે, એવી ભ્રમણામાં થોડા વધુ લોકો ગોથાં ખાશે, ને એમાંથી તો પછી અનેક ગોટાળા ઊભા થશે ! છૂટી જનારા તમામ નિર્દોષો લેખાશે ને લટકી પડનારા તમામ અપરાધી ઠરશે ! આવી અંધાધૂંધી દેખીને મારા જેવી ડોકરી ખૂબ લહેર પામશે. એમાંથી તો મને આંસુઓનો ભક્ષ પણ ઘણો મળી રહેશે. ખી - ખી - ખી - ખી - ખી !


