તાર્કિક બોધ/૮. વંશપાળ અને યમરાજ

વિકિસ્રોતમાંથી
← ૭. લાલા અને કીકાનું સ્વપ્ન તાર્કિક બોધ
૮. વંશપાળ અને યમરાજ
દલપતરામ
૯. બાલકના અભ્યાસની ચાલતી રીત →



वंशपाळ अने यमराज विषे. ८.

આ વિષયમાં જે નામો આવશે, તેના અર્થ નીચે પ્રમાણે સમજવા.

યમરાજ, એટલે મૃત્યુ.

યમના દૂત, એટલે તરેહ તરેહના રોગ.

વરૂણદેવ, એટલે જળ ઇત્યાદિ.


વંશપાળ નામે એક વાણીઓ હતો, તેની સ્ત્રી નામે ભોળી વહુ હતી; તેનો એકાએક દીકરો સાત વર્ષની ઉમરનો, તે છ સાત મહિના સુધી ઘણો માંદો રહીને મરણ પામ્યો. પછી તે વાણીએ, અને તેની સ્ત્રીએ, બહુ રોવા કુટવા માંડ્યું. એટલે લોકોએ આવીને છાનાં રાખવા માંડ્યા, અને બહુ ઠપકો દીધો કે અતિશે રોવું કુટવું નહિ. અને અતિશે રોવા કુટવાથી લોકો તેની નિંદા કરવા લાગ્યા. તેથી ધણી ધણીઆણીએ ધાર્યું કે આપણે માણસ દેખતાં કુટવું કે રોવું નહિ.

પછી એ છોકરાના મડદાને નદી કાંઠે જ્યાં બાળ્યો હતો, ત્યાં રોજ રાતની વખતે જઈને, વંશપાળે અને તેની વહુએ અતિશે કલ્પાંત કરવા માંડ્યો. અને મરનાર છોકરાને, તથા પોતાના ઘરમાં પોતાની નજરે જેટલાં માણસો મરી ગયેલાં, તે બધાંને સંભારીને રોવા અને કુટવા માંડ્યું. આજના લોકો તો પાખંડ કરવા સારૂં લોકો ભેળા થયા ત્યારે રૂએ છે. અને કુટે છે. પણ વંશપાળનો અને તેની સ્ત્રીનો ખરેખરો પ્રમ હતો, માટે વસ્તીમાં લોકો દેખે, કે સાંભળે, તો છાનાં રાખવા અને હાથ ઝાલવા આવે, માટે રાતની વખતે નદી કાંઠે જઈને રાત આખી રોતાં અને કુટતાં હતાં. પછી સવારમાં ઘેર આવીને રસોઈ પાણી કરીને, ખાતાં હતાં. પણ પોતાના મનની દીલગીરી કોઈ લોકોની આગળ દેખાડતા નહિ.

એ રીતે કેટલાક મહિના થયા; ત્યારે પાણીનો દેવ જે વરૂણ દેવ કહેવાય છે, તેની પણ છાતી ભરાઈ આવી. ત્યારે તેણે વંશપાળને , અને તેની સ્ત્રીને કહ્યું કે, આ શહેરમાં દર મહિને ૧૦૦૦ માણસો મરી જાય છે. પણ તમારા જેવી આટલી દીલગીરી કોઈ રાખતું નથી. અને તમે શા વાસ્તે રોજ આવીને મને કંટાળો ઉપજાવો છો ? તે સાંભળીને :—

વંશપાળ—બીજા લોકોની પેઠે લોકોને દેખાડવા સારૂ અમે પાખંડ કરતાં નથી, પણ જ્યાં સુધી તું એ જ અમારો છોકરો અમને પાછો નહિ આપે, ત્યાં સુધી અમે બંને જણ તને રોજ આ રીતે સંતાપીશું.

વરૂણદેવ—તમારા છોકરાને મેં, કે મારા દૂતોએ લીધો નથી, એ તો મોતનો દેવ યમરાજ કહેવાય છે, તેના દૂતો લઈ ગયા છે.

વંશપાળ—ત્યારે તું અમને બંને જણને યમરાજ પાસે લઈ જા. એટલે અમે તેની આગળ કરગરીને અમારો છોકરો પાછો માગી લેશું.

પછી વરૂણદેવ, તે બંને જણને જમપુરીમાં યમરાજ પાસે લઈ ગયો. ત્યાં વંશપાળે અને તેની સ્ત્રીએ એવો તો કલ્પાંત કરવા માંડ્યો, કે તેથી યમરાજની, તથા તેના દૂતો જે, તાવ, કોગળિયું, દમ, ક્ષય, ઉટાટીયો, કાકાબળિયા, વગેરે ચૌદકોટિ, એટલે ચૌદ જથે ઊભા હતા, તેઓની આંખોમાંથી પણ આંસુઓની ધારાઓ ચાલી.

યમરાજ—અરે, તમે આવડાં દીલગીર શા વાસ્તે થાઓ છો ?

મને તો પરમેશ્વરે હુકમ આપેલો છે, તે પ્રમાણે હું કરૂં છું. અને પરમેશ્વરની મરજી થઈ, ત્યારે તમારા છોકરાને મારા દૂતો લઈ આવ્યા છે.

વંશપાળ—અરે મહારાજ, મારો એક છોકરો જ તમારા દૂતોએ લીધો હોત, તો હું આટલો દીલગીર થાત નહિ, પણ મારી નજરે મારા ધરમાંથી મારા ઘણાં માણસોને લઈ ગયા એ તો મારે માથે મોટો જુલૂમ કર્યો છે.

યમરાજ—કોઈના ઉપર જુલૂમ કરવાની મારી મરજી નથી. માટે તારાં માણસો ગયાથી તારે શી શી હરકત થઈ તે તુંકહી સંભળાવ.

વંશપાળ—મારો છોકરો ગયાથી મારો વંશ જાય છે, એક તો એ હરકત છે.

યમરાજ—તું વાણિઓ છે, માટે એક તારો છોકરો જવાથી વાણિઆનો વંશ જવાનો નથી. અને સઉનો વંશ રાખવાની તારા કરતાં પરમેશ્વરને ઘણી ફીકર છે. ઝાડ, પશુ , પક્ષી, વગેરે કોઈ પ્રાણીનો વંશ પરમેશ્વર જવા દેતો નથી. તો માણસનો વંશ કેમ જવા દેશે; આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, વગેરે સગળાં માણસોને વાસ્તે જ પરમેશ્વરે કર્યા છે; માટે માણસનો વંશ જાય તો, તે બધાંય નકામાં થઈ પડે. તેની તારા કરતાં પરમેશ્વરને વધારે ફિકર નહિ હોય કે શું?

વંશપાળ—એતો ખરૂં, પણ મારા દીકરા વિના મારો પંડનો તો વંશ જાય કે નહિ ? અને પછી મારૂં ઘરબાર કોણ ભોગવશે?

યમરાજ—સઉના પંડનો વંશ રાખવાનો પરમેશ્વરે ઠરાવ કર્યો નથી. અને જો એમ કર્યું હોત, તો એક ભુંડણને ૧૦૦થી વધારે બચ્ચાં તેની ઉમરમાં થાય છે; અને એક બાયડીને આશરે ૧૬ સુધી છોકરાં થાય છે, તે બધાંયના પંડનો વંશ રાખે, તો પૃથ્વી ઉપર ક્યાં માઈં શકે ?

વંશપાળ—બીજાને તો ગમે તેમ હોય, પણ મારાં માણસો મને બહુ યાદ આવે છે.

યમરાજ—બાઈ, તારા ઉપર અમારા દૂતોએ જે જુલૂમ કર્યો હોય. તે તું કહી સંભળાવ.

ભોળી—અરે મહારાજ, મારા ઉપર તો જુલૂમની કાંઈ બાકી જ રાખી નથી. મારા પરણ્યા પહેલાં જ મારી સાસુને અને મારા સસરાને તમારા દૂતો લઈ ગયા છે. સાસુ સસરાનો મને કાંઈ લાવો લેવા દીધો નથી.

યમરાજ—એ તો સામું સારૂં કર્યું. કેમકે તે ઘરડાં , અને માંદાં હોત, તેઓની ચાકરી કરવી પડત. તેઓની ગાળો સાંખવી પડત. ઘેર ઘેર સાસુ વહુને લડાઈઓ થાય છે, તે તું જોતી નથી ?

ભોળી—એ તો ફુવડ વહુ હોય, તે સાસુના સામું બોલે. મારે સાસુ અને સસરો હોત. તો રોજ તેઓના પગ ધોઈને પીત. અને મારી અઘરણી પહેલાં મારી નણંદને, મારા નણદોઈને, દીયરને તથા દેરાણીને પણ તમારા દૂતો લઈ ગયા. સંસારમાં મારે એક ઓરિયો વીત્યો નથી. પછી દીકરીને જ્માઈને પણ લઈ ગયા. તેઓને સારૂ મેં ઘણી પછાડો ખાધી. માથું કુટ્યું પણ તમારા દૂતોને કાંઈ દયા આવી નહિ. મહારાજ સાચું કહું તો તમને દુખ લાગે. તો પણ મારી છાતી બળી જાય છે. તેથી કહું છું કે, આખા જગતમાં તમારી અપકીર્તિ ઘણી ફેલાઈ છે અને સઉ કહે છે કે, "જમને દયા હોય નહિ" તમને તો નિર્દય અને હત્યારા જેવા સઉ જાણે છે.

યમરાજ—દેરાણી જેઠાણી સાથે મઝિયારો વહેંચતાં કેવી લડાઈયો થાત ? તે તને માલૂમ છે?

ભોળી—હું તો એવી નહિ. હું તો મઝિયારો વહેંચવાનું નામ જ લેત નહિ. અને એ બધાં માણસોથી મારૂં ઘર ભર્યું દેખાત, તેથી હું ભાગ્યશાળી અને પનોતી કહેવાત. બળી દોલત શું કરવી ? માણસો હીમખીમ રહે તો સારૂં.

એ રીતે ઘણું ઘણું કહીને યમરાજે એ બંને જણાંને સમજણ આપી; પણ તેઓએ કાંઈ વાત માની નહિ, એને કહ્યું કે, અમારા ઘરનાં માણસો અમારી નજરેથી ગયા છે. તેઓમાંથી એકને અમારી ઉમર સુધી અમે ભૂલનાર નથી. અને તેં જ એ બધા અમારાં માણસોને લીધાં છે. માટે અમે રોજ તને રોજ ગાળો દેઈશું. અને અમારા ગરીબના નીસાસા તને લાગશે. અને જો ગરીબના નીસાસા લેનારનું પરમેશ્વર ભુંડું કરતો હશે, તો તારૂં પણ ભુંડું કરશે.

યમરાજ—અરે બાપા, તમે મને શાપ દેશો નહિ, હું ગરીબના શાપથી બઉં બીયું છું. માટે તમારાં જેટલાં માનસો મારા દૂતોએ લીધાં હોય તે બધાંના નામ લખાવો.

પછી વંશપાળે અને તેની સ્ત્રીએ પોતાની ઉમરમાં દીઠેલાં પોતાના ઘરનાં નહાનાં, અને મોટાં, તમામ માણસોનાં નામ લખાવ્યાં. તે ૪૦ થયાં. યમરાજના કારકુન ચિત્ર, અને વિચિત્ર, એ બંની તે યાદી યમરાજને વાંચી સંભળાવી અને કહ્યું કે આપણા દફતરમાં પણ એ માણસો જમે નોંધાયેલાં છે.

યમરાજ—તમે બેસજો, હું હમણાં આવું છું, એમ કહીને વૈકુંઠમાં પરમેશ્વર પાસે જઈને બોલ્યા કે અરે મહારાજ, બળી આ નોકરી; હવે મારે કરવી નથી. મૃત્યુલોક્માં મારી ઘણી અપકીર્તિ થઈ. અને લોકો કહે છે કે "જમને દયા હોય નહિ" નિર્દય અને હત્યારો મને કહે છે.

પરમેશ્વર—તમને કોણે કહ્યું ?

યમરાજ—એક વાણિયો અને વાણિયાણ. વરૂણદેવની સાથે મારી કચેરીમાં આવ્યાં છે. તેઓએ કહ્યું. અને તેઓ બંને જણાં પોતાનાં માણસો વાસ્તે એટલો તો કલ્પાંત કરે છે કે, તે મારાથી જોઈ શકાતો નથી. તેથી હું જાણું છું કે, બધા લોકો એવા જ દીલગીર થતા હશે. માટે ગરીબ માણસોના નીસાસા લેવાની; જપતી કારકુનની પેઠે લોકોની મીલકત જપત કરવા જેવી નોકરી મારે કરવી નથી.

પરમેશ્વર—તમારે નોકરી છોડવી હશે તો, આજથી એક મહિના પછી એ ખાતું કાઢી નાખીને, તમને પેનશીન આપીશું. પણ હાલ મહિના સુધી એ કામ તમારે બરાબર કાયદા પ્રમાણે ચલાવવું. અને જાઓ. એ વાણિયાનાં તમામ માણસો જેવાં લાવ્યા હો, તેવાં તેને ઘરે પાછાં પહોંચાડો. અને હવે પછી તેના ઘરનું એકે માણ્સ લેશો નહિ.(પછી યમરાજ પોતાની કચેરીમાં પાછા આવ્યા)

યમરાજે મહો ચડાવી દૂતોને કહ્યું કે, આ વાણિયાને ઘેરથી આજ સુધીમાં તેનાં માણસોને જેવાં લઈ આવ્યા હો, તેવાં ને તેવાં પાછાં એના ઘર આગળ પહોંચાડજો. અને આજ પછી એના ઘરનું એકે માણસ લાવશો તો તમને બરતરફ કરીશ.

એવું સાંભળી વંશપાળ અને તેની સ્ત્રી બહુ ખુશી થયાં. પછી વરૂણદેવે તે બંને જણાંને તેઓને ઘેર પહોંચાડ્યાં. તેઓ પોતાના ઘરમાં નિરાંતે સુતાં. પછી સવારના પહોરમાં ઉઠીને જુએ છે, તો ઘરના આગળ મોટા મેદાનમાં ૪૦ માણ્સો જીવતાં પડેલાં. તેમાં દશબાર છોકરાં, દશબાર ઘરડાં, અને બીજાં જુવાન ખરાં, પણ તે તમામ માંદા હતાં. અને બારણા આગળ, કકળાટ થઈ રહ્યો હતો.

વંશપાળનો બાપ—(માંદો માંદો , પડ્યો પડ્યો, ગળામાંથી પરાણે પરાણે બોલે છે.) અરે વંશપાળ રાંડના તું ક્યાં ગયો. મેં નાનપણમાં તને ઉછેરીને મોટો કર્યો; અને હવે તું મારી ચાકરી કરતો નથી. અરે, મને ખાટલો તો પાથરી આપ. હું ભોંઈ પર પડ્યો પડ્યો પાસાં ઘસું છું. ફટ દીકરા તને કાંઈ દયા આવતી નથી ?

વંશપાળની મા—અરે ભોળી બહુ, તું ક્યાં ગઈ. મને ઉની ઉની રાબડી કરીને પા. અરે વહુ, તું જવાબ દેતી નથી, તે તારા બાપને ઘેર મોંકાણ માંડવા, તારે પિયર ગઈ છે કે શું?

વંશપાળ—(પોતાની વહુને પૂછે છે) આ છોકરાંને વાસ્તે ઘોડિયાં કેટલાં ઘડાવવાં પડશે ?

વહુ—સાત આઠ ઘોડિયાં તો જરૂર જોઈશે.

વંશપાળ—આ બધાં માંદા છે; માટે તેઓના ખાટલા કિયે ઠેકાણે ઢાળીશું ?

વહુ—એજ મોટું ઘર ભાડે લેવું પડશે. અને ખાટલા પણ ઘડાવવા પડશે; કેમકે આટલા ખાટલા આપણા ઘરમાં નથી.

વંશપાળ—રસોઈ કરવા સારૂં મોટાં મોટાં વાશણ પણ આજને આજ વેચાતાં લાવવાં પડશે.

વહુ—મોટાં મોટાં વાશણ શું કરવાં છે ? આ તો કોઈ રાબડી માગે છે; અને કોઈ રોટલો માગે છે, અને કોઈ તો ચાવી શકે એવાં નથી માટે શીરો માગે છે. વાસ્તે બધાંને કાજે જુદું જુદું રાંધવું પડશે.

વંશપાળ—અરે, આ નહાનાં છોકરાં રોઈ મરે છે, માટે પ્રથમ તેઓને ધવરાવ. પછી તું ઝટ પાણી ભરવા જા.

વહુ—આટલા બધાંને નહાવા, કે પીવા જેટલું પાણી મેં એકલીથી લવાશે નહિ. મોટે પાણી ભરનારીઓ બેત્રણ રાખવી પડશે.

વંશપાળ—આ માંદાં, અને ઘરડાં પોતાની મેળે ન્હાઈ શકે એવાં નથી; માટે આપણે બંને જણાં મળીને ન્હવરાવીશું ત્યારે થશે.

વહુ—આ ભૂખ્યાં બૂમો પાડે છે, માટે હું તો ઝટ રસોઈ કરવા માંડું. નહિ તો. મને તો ગામના લોકો ચુંટી ખાશે; અને કહેશે કે, ઘરડાં સાસુ સસરાને વહુ ખાવા પણ આપતી નથી.

વંશપાળ—મારે તો ઝટ દોકાને જવું છે. કમાઈશું નહિ, તો પછી આ બધાંને શું ખવરાવીશું ?

વહુ—થયું, તમે તો દોકાને જઈને બેસો; એટલે "ઘર મુક્યાં, ને દુઃખ વિસર્યાં" એ કહેવત જેવું તમારે તો થાય. પણ હું રસોઈ કરવા પેસું, એટલે આ છોકરાંને કોણ હીંચોળશે?

વંશપાળ—“આતો હવે આખા ભવની લાગી” જો એક દહાડાનું હોય, તો ઘર રહેવાય. પણ હમેશાંનું થયું ત્યારે રળ્યા વિના કાંઈ છૂટકો છે ?

વંશપાળનો ભાઈ—અરે, ભાઈ તું ચૌટામાં પછી જજે; હું માંદો મરૂં છું માટે કોઈ વૈદને તેડી લાવ. અને મને કાંઈ ઓષડ કર.

વંશપાળની ભાભી—તેના ભાઈને તો ઓષડ કરશે, પણ મને પારકી જણીને કોણ ઓષડ કરશે ?

વંશપાળની દીકરી—ઓ બાપા, ઓ મા, હું મરી ગઈ રે, મરી ગઈ રે, માર પગ ખેંચાઈ જાય છે, અને હાથ ખેંચાઈ જાય છે.

ભોળી—ખમા બહેન, ખમા તને. લે હું તારા હાથ પગ દાબું.

વંશપાળ—હવે એક જણને તો એ છોડીની પાસેને પાસે જ રહેવું પડશે.

ભોળી—પેલા મોટા છોકરાને બળિયા નીકળેલા છે. તેને તો લગારે વેગળો મુકાય એવું નથી. માટે હું તે તેની પાસે રહું, કે આની પાસે રહું ?

જમાઈ—મને બેઠો કરો રે, મને બેઠો કરો. મને ઉલટી થાય છે.

ભોળી—એનું ઓકેલું ઘરમાંથી કોણ વાળી નાંખશે ?

વંશપાળ—તારે જ વાળવું પડશે તો. એના સારૂં તેં કેટલી પછાડો ખાધી હતી ? અને કેટલો કલ્પાંત કર્યો હતો ? તે ભૂલી ગઈ ?

વંશપાળનો સઈયારી—અરે વંશપાળ, તમે તો ઘેરના ઘેર બાઈડીના મહો સામું જોઈને બેસી રહો છો, અને દોકાનનું કામ કાંઈ કરતા નથી. આવી રીતે તમારૂં સઇયરૂં અમારે પાલવશે નહિ. માટે ચાલો, દોકાને આવીને તમારો ભાગ વહેંચી લ્યો.

વંશપાળ—ચાલો ભાઈ, ચાલો; હું દોકાને આવું છું. (વંશપાળ દોકાને ગયો) તે દોકાનના કામમાં ગુંચાઈ રહ્યો. અને પહોર રાતે ઘેર આવીને જુએ છે તો, કોઈને ઉલટી અને કોઈને ઝાડો થયેલો. તેથી બધું ઘર ગંધાઈ ઉઠેલું દીઠું. વળી પોતાની વહુને પુછ્યું કે, મારે કાજે કાંઈ વાળુ રાંધ્યું છેકે નહિ ?

ભોળી—હું તો કાયર કાયર થઈ ગઈ. સવરનું કાંઈ રાંધ્યું નથી. હું તે રાંધું, કે આ બધાને પાણી પાઉં ? પાણી પણ ગોળામાં નથી.

વંશપાળ—અરે, આપણે તો સાજાં સારાં છૈએ; તે બે દહાડા સુધી ખાઈએ નહિ તો ચાલે; પણ આ માંદાને હજી સુધી રાંધી ખવરાવ્યું નહિ, એ તેં શું કર્યું ?

ભોળી—અરે આ સાસુ તો મારા પેલા ભવની સોક્ય પેઠે નડે છે. અને લોકોની આગળ મારાં વગોણાં કરે છે, કે મને રાંધી ખવરાવતી નથી, રાંધી ખવરાવતી નથી એમ કહે છે.

વંશપાળ—મારી માને ગાળ દઈશ તો, રાંડ હું તારાં હાડકાં ભાંગી નાખીશ.

ભોળી—મારી નાખો ત્યારે; એક વાર મારે તો મરવું છે. એમાં શું ? આ દેરાણીનું લગાર માથું દુઃખે છે, તેમાં ઘરનું કામ કરવું પડે તે સારૂ માંદી થઈને પડી છે.

વંશપાળ—આ છોકરાંને તો ખવરાવ.

ભોળી—મુંઆ છોકરાં; આથી તો વાંઝિયાં હઈએ તે સારૂં.

વંશપાળ—તું કહેતી હતી નેં, જે હું તો સાસુ સસરાના રોજ પગ ધોઈને પીશ.

ભોળી—તે સાસુ સસરો આવાં હશે ? ઘેર ઘેર જઈને જુઓ નેં.

વંશપાળ—એ તો એવાં ને એવાં જ હોય, પણ પારકાં માણસો પોતાને વેઠવાં પડે નહિ, એટલે સારાં લાગે.

ભોળી—હવે આ જમાઈ તો " મરશે નહિ, અને માંચો મુકશેય નહિ" મુઆ, એના બાપના ઘેર પહોંચાડી દ્યો; એટલે તે જખ મારીને ચાકરી કરશે.

વંશપાળ—અરે, આ જે છોકરા સારૂં રોજ નદીકાંઠે જઈને તું પછાડો ખાતી હતી, તેને તો સંભાળ.

ભોળી—હવે તો એ છોકરો મરે તો, હું દેરીએ દેરીએ દીવા કરૂં; એટલી હું કાયર થઈ છું.

વંશપાળ—તું વેળા કવેળાની છોકરાને ગાળો દે છે, તેથી મને તારા ઉપર બહુ દાઝ ચડે છે.

ભોળી—હા, પોતાનાં ભાઈ, ભોજાઈ, મા, બાપ ઉપર તો કાંઈ ચાલે નહિ, પછી એ બધાંની દાઝ મારા ઉપર કાઢો.

વંશપાળ—જા, ત્યારે દીસતી રહે એટલે હું મારે જે થસે તે કરીશ.

ભોળી—ક્યાં જાઉં ? મારે તો ક્યાંઇ જવાનું ઠેકાણું નથી. હું તો તમારે "હઈએ હડી; અને કર્મે જડી."

વંશપાળ—રાંડ તું મારે કર્મે ક્યાંથી મળી?

ભોળી—આ તારાં સગાં બધાં સારાં, અને એક હુંજ ભુંડી છું. હું જાણું છું કે તમે મારો જીવ લેશો, ત્યારે છુટકો કરશો.

છોકરો—મા ખાવું છે.

ભોળી—ખા, તારા બાપનાં કાળજાં. નહિ તો મને ખા.

વંશપાળ—ઊભી રહે રાંડ લુચ્ચી, બકવા કરે છે? આ લાકડીએ લાકડીએ તારો વાંસો ભાંગી નાખીશ.

ભોળી—મેલ તારા ઘરમાં ભડકો હું તો આ ચાલી, મને કોઈ નહિ સંઘરે તો કુવો તો સંઘરશે? (એમ કહીને જાય છે)

વંશપાળ—ઉભી રહે, ઉભી રહે, ક્યાં જાય છે ? ઘેર તો આવ. તને કાંઈ નહિ કહું.

ભોળી—(ગામ બહાર કુવા તરફ ગઈ)

વંશપાળ—(દોડીને તેનો હાથ ઝાલી કહે છે) આપણે હાથે કરીને પેટ ચોળીને શૂળ ઉભું કર્યું . આપણે બંને જણને કેવું હેત હતું. તે વિક્ષેપ પડ્યો, હવે શો ઉપાય કરવો ?

ભોળી—એ બધાંને ઘરમાંથી કાઢી નાખો. તો જ હું ઘેર આવીશ, નહિ તો આવનારી નથી.

વંશપાળ—શી રીતે કઢાય ? જો જીવતાં નેં જીવતાં ડાટી આવીએ, કે બાળી આવીએ, તો લોકોમાં મોઢું દેખાડાય નહિ.

ભોળી—યમરાજને કહો, તે લઈ જાય.

વંશપાળ—તે કાંઈ આપણો ચાકર છે કે શું? આપણા કહ્યાથી કેમ લઈ જાય ? એ તો પરમેશ્વરના હુકમથી લઈ જતો હતો.

ભોળી—ત્યારે ચાલો વરૂણ દેવને આપણે કહીએ, એટલે તે લઈ જશે. (પછી બંને જણાં નદી કાંઠે ગયાં)

વંશપાળ—ઓ વરૂણદેવ, ઓ વરૂણદેવ, બાપજી જવાબ તો દ્યો.

ભોળી—એમ તો નહિ બોલે. જ્યારે આપને પછાડો ખાઈશું, અને માથાં કુટીશું, અને ખૂબ રોઈશું, ત્યારે દયા આવશે, તો જવાબ દેશે. (પછી બંને જનાએ તેમ કરવા માંડ્યું)

વરૂણદેવ—અરે, વળી તમે મને શા વાસ્તે સંતાપો છો? હજી તમારાં માણસો બાકી રહ્યાં હોય તો ચાલો અપાવું.

વંશપાળ—મહારાજ, અમે તો કાયર કાયર થયાં, અને અમારૂં ઘર તો ગંધાઈ ઉઠ્યું છે.

વરૂણદેવ—એક જ દહાડામાં એમ શું કાયર થયાં ?

ભોળી—એક દહાડો તો અમારે સો ભવ જેવો થઈ પડ્યો.

વરૂણદેવ—હવે યમરાજ તો તમારૂં એકે માણસ કદી પણ લઈ જનાર નથી.

વંશપાળ—ત્યારે મહારાજ તમે લઈ જાઓ.

વરૂણદેવ—હું મારા બધા પરિવારને (જળને) પાળવા સમર્થ નથી, માટે કેટલાકને સૂર્ય ખાઈ જાય છે. કેટલાકને અગ્નિ ખાઈ જાય છે. તેથી હું તેઓનો મોટો ઉપકાર માનું છું. નહિ તો મારો બધો પરિવાર જીતતો રહેતો હોત, તો સમુદ્રમાં ક્યાં માઈ શક્ત ? માટે મારા પરિવારને વાસ્તે પૂરી જગા નથી, તો તારાને લાવીને હું ક્યાં મુકું ?

ભોળી—ત્યારે તમે લઈ જઈને યમરાજને ત્યાં પહોચાડો.

વરૂણદેવ—તું સારી દેખાય છે ? એવું મજૂરીનું કામ કરવાનું મને બતાવે છ ? મેં શો ગુનો કર્યો છે ?

વંશપાળ—અમને બંને જણાને યમરાજ પાસે લઈ જાઓ. એટલે અમે તેની આગળ કરગરીને કહેશું તેથી દયા આવશે, તો તે લઈ જશે.

વરૂણદેવ—ભાઈ તારી સાથે મારી ફજેતી થશે, અને કહેશે કે શું સમજીને માણસો પાછાં અપાવ્યાં, અને શું સમજીને હવે આવું બોલે છે ? કહેશે કે વરૂણદેવમાં પણ અક્કલ નહિ હોય કે શું ? ચાલ ભાઈ ચાલ. ભોગ લાગ્યા કે તારી સોબત કરી. આજ પછી તારા જેવો કોઈ મૂર્ખ આવીને ગમે તેવો ઢોંગ કરે, તો પણ હું લગારે દયા લાવીને જવાબ દેનાર જ નહિ.

વંશપાળ :(યમરાજની સભામાં પોકાર કરે છે) અરે ગરીબ નિવાજ, હું તો હેરાન હેરાન થયો. મારા ઉપર તમે દયા કરો.

યમરાજ—શું છે ભાઈ, હજી તારૂં માણસ બાકી રહ્યું હોય તો લઈ જા.

ભોળી :અરે મહારાજ, અમારે એમાંનું એકે માણસ જોઈતું નથી. અમારૂં ઘર તો ગંધાઈ ઉઠ્યું છે. અને અમે તો કાયર થયાં. અમારા ઉપર દયા કરો.

યમરાજ—તમે કહેતાં હતાં કે, લોકો કહે છે "જમને દયા હોય નહિ" માટે હું તો આ નોકરી છોંડનાર છું. અને હું જાણું છું કે પરમેશ્વર આ ખાતું પણ કાઢી નાંખશે.

વંશપાળ—અરે મહારાજ, ત્યારે તો લોકો અકળાઈ જાય, અને મહાદુઃખ પામે, વળી જગતમાં માઈ પણ શકે નહિ. મટે પરમેશ્વરે જે કાયદો કર્યો છે, તે ઠીક છે.

યમરાજ—પણ જમને દયા હોય નહિ, એવું લોકો કહે છે માટે હું તો આ નોકરી છોડી દઇશ.

વંશપાળ—અરે મહારાજ, એ તો જેને અનુભવ ન હોય તેવાં અજ્ઞાની લોકો એવું બોલે છે; પણ જેઓને અનુભવ છે, તેઓ તો તમને ધર્મરાજ કહે છે.

યમરાજ—ધર્મરાજ શા વાસ્તે કહે છે ?

વંશપાળ—વિવાહમાં જમવા રમવા તો ઘણા લોકો આવે, પણ સંકટની વખતે, કે શ્મશાનમાં તો ખરા વાલેશરી, કે સગો હોય, તે જ આવે. તેમ જ ગણપતિ, દુર્ગા, લક્ષ્મી વગેરે સઉ વિવાહમાં કે દીવાળીમાં જમવા રમવાને ટાણે આવે છે, પણ ખરેખરી વખતમાં દુખથી છોડાવનારા તો તમે છો માટે તમે તો લોકોના ખરા વાલેશરી છો. અને ધર્મખાતે ઓષડ કરનાર વૈદ, કોઈ રોગીનું અંગ કાપે, તે દયાથી જ કાપે; પણ અણસમજુ હોય તે એવું સમજે છે, કે આ વૈદ નિર્દય છે. એમ જ ખરૂં જોતાં તમારી નોકરી સઉથી ઉત્તમ, અને દયા ભરેલી છે.

(પછી યમરાજે વૈકુંઠમાં જઈને પરમેશ્વર પાસે બધી વાત જાહેર કરી, અને એ જ નોકરી કબુલ રાખી)

પરમેશ્વર—હવે અજ્ઞાની લોકો કલ્પાંત કરે, કે તમને ગાળો દે તેથી તમારે દિલગીર થવું નહિ. અને એ વાણિઆનાં માણસોને પાછાં મગાવી લ્યો.

યમરાજ—સારૂં મહારાજ, તેમ કરીશ. (પછી યમરાજે આવીએ પેલાં બે જણાંને રજા આપી. અને તેનાં માણસો, મગાવી લીધાં)

દોહરો

જે જે કીધું જગદિશે, જન સુખ સારૂં જાણ;
અણસમજે અકળાઈને, ઉરમાં રોષ ન આણ. ૧.
સવળ વિચારી સમજિયે, તે પ્રભુકૃત્ય તમામ;
રાજી રહિયે રાત દિન, દિલમાં દલપતરામ. ૨.
અઢારસે ને બાસઠ્યો, માર્ચ માસમાં આમ;
નિજમન કલ્પિત આ કથા, રચિ છે દલપતરામ. ૩.

મનહર છંદ

અરે અપરાધી, ખાધી ખોટ તેં ઉપાધી સાધી
ઠગવા લોકોને કામ કીધું જે ઠગાઈ નું;

જરૂર આ વાત તું તારા જીવમાં તું જાણી લેજે;
કહે દલપત ફળ દેખીશ કમાઈ નું;
છુપાવી છુપાવી છળકપટથી કીધું છેક,
લંપટ તે કામ લાંચ, ચોરી ને લુચ્ચાઈનું;
નથી મળ્યો નર પૂછનાર નર લોકમાં તો,
પરલોકમાં તો નથી રાજ પોપાંબાઈનું. ૧

એ વાત સુરચંદે કહી, તે સાંભળીને પેલી બાઈના મનમાંથી દિલગીરી ઘટી ગઈ. અને ક્રૂરચંદ તથા સુરચંદ આગળ ચાલ્યાં. ત્યાં એકઠેકાણે છોકરા ભમરડે રમતા હતા. તે જોઈને ક્રૂરચંદે સુરચંદને પૂછ્યું કે આ ભમરડે રમવાની રીત બાલકોએ શોધી કહાડી નહિ હોય, પણ મોટાઓએ એ રમત બાળકોને શીખવેલી હશે. ભમરડે રમતાં વખત નકામો જાય છે, તથા કોઈ સમે ભમરડો વાગ્યાથી લોહી નીકળે છે, ત્યારે શા વાસ્તે બાળકોને એવી લતે ચડાવ્યાં હશે ?

સુરચંદ—ભાઈ બાળકનું તન, અને મન કેળવવા સારૂં જુના લોકોએ ચલાવેલી કેટલીએક રીત ચાલે છે તે છેક નિરૂપયોગિ નથી; તે વિષે સાંભળ.