દિવાળીબાઈના પત્રો/પત્ર ૫

વિકિસ્રોતમાંથી
← પત્ર ૪ દિવાળીબાઈના પત્રો
પત્ર ૫
દિવાળીબેન
પત્ર ૬ →


પત્ર ૫
૬-૭-૧૮૮૫
 

આપ તરફનું સુખદ પત્ર મળ્યું. પ્રિય બંધુ, આપના ઉપર અમને રીસ ચડી તે વિના કારણ? શું આપે તેનું કારણ ઊપજાવ્યું (!) વાહરે વાહ! ઉલટો ચોર કોટવાળને દંડે એવો પ્રયોગ ઠીક ભણ્યા છો. અમને આપ કેટલા વ્હાલા છો, આપનું સ્મરણ કેવી રીતે નિરંતર થયા કરે છે તેનું વર્ણન અત્રે વિસ્તારથી કરૂં તો પણ યથાર્થ ઉભરો જેટલો દીલમાં છે તેટલો તો ન જ નીકળી શકે. વળી આપ હ્રદયના ઘણા કોમળ છો એટલે મન પર એની અસર પણ ખૂબ થાય. આપને સ્નેહના શબ્દમાં કહેવાનું તો ઘણુંએ છે પણ નથી જ કહેતા કારણ કે આપ તો એમ જ સમજો છો કે સ્ત્રીઓ તો એવી વાંધાખોરી હોય જ. અમે તો એમ જ સમજતાં હતાં કે પૂર્વે વાયદા અગસ્ત મુનીને જ કરતા આવડતા હશે. પણ હવેથી ખાત્રી થઈ કે ખૂણે ખોચરે અદ્યાપિ પણ આપ જેવા અગસ્તને ય ઉછાળી નાંખે એવા પડ્યા છે. વારૂ, જ્યારે આપ અનેક અડચણ દૂર કરી પોતાના મિત્રોને મળવાને ભાવનગરથી મુંબઈ પધાર્યા ત્યારે બની શક્યું અને અમને મળવાને આવવું તે તો જાણે આપ મોટા માણસથી ન બની શક્યું ? અમે નાશક ગયા ત્યારે જેટલું સ્મરણ આપનું થતું હતું એટલું ઈશ્વરનું થયું હોત તો ખરે જ તે બિચારો અમારૂં કલ્યાણ કરત કારણ કે તે તો ભક્તવત્સલ છે. તમારી જેમ એને કાંઈ ભક્ત આંખના પાટા જેવા નહિં જ લાગતા હોય. આપ તો મહત્તામાં એના કરતાં ક્યાંહી વધી ગયા. જાણે મનમાં એમ થાય છે કે 'કવિતામાં જ ખૂબ ઉધડા લઉં' અથવા પ્રત્યક્ષ મળે તો ખૂબ રડું અને રડવાનું કારણ પૂછે તોય કહું નહીં. ચતુરભાઈને અમારે ઘેર મોકલાવ્યા એ અને અડાજણ પત્ર લખ્યું એ અત્યંત ઉપકાર કર્યો અને મોટો વિવેક ખરચી નાંખ્યો. પણ જો એટલું ય ન કર્યું હોત તો વળી હદથી જાદે વિવેકી બન્યા હોત. અમારે ઘેર પધારવાના છો એવું જાણી મેં શું કરી રાખ્યું હતું ? અને આનંદ કેવો થયો હતો ? તે કહેવાતું નથી. તેમ આપ ગયા એ શબ્દ જાણી મારા મોઢામાંથી મનને વારી રાખતાં પણ જે ઉદગાર માફક વાક્યો નીકળી ગયાં છે તેમાં શું લખું ? અને તેથી તમને અસરે શી થનાર છે ? ધીક્કાર છે અમારા મૂર્ખ મનને કે તમારા જેવા વજ્રહ્રદયીને તથા વિવેકશૂન્યને યાદ કરી ખાલી દુ:ખ ઉભું કરે છે. આ વાક્યોથી તમોને મારા ઉપર માઠું લાગશે તો ભલે જરા વધારે જમજો પણ આવી વર્તણુંક અમારા પ્રત્યે રાખી તો એમ જ લખવાની. પરચડે તો પત્રવહેવાર રાખવો. અમે મથી મથીને ત્રણ માસ 'આવવાના છે' 'આવવાના છે' એવી આશાએ કાઢેલા અને આવ્યા બાદ મળ્યા વગર ગયા તેથી અમારા જીવને જે દુ:ખ થયું છે તેનું પાપ તમને ને તેના બદલામાં આપ દીર્ધાયુ થાઓ અને આવા ઠપકા ખાધા જ કરો. તમે જાણો કે આવી આવિ ભૂલો કરો ને ઝાડ્યા વિના રહું તે તો ન સમજવું. આપ ભલેને મોટા - મોટા સંસ્કૃત પ્રોફેસર છો અને ભલેને લૉર્ડ રીપનની પદવીને પામો પણ અમે તો આપને અમારા જીવ પ્રમાણે જ ગણવાના. આપ મુંબઈ આવ્યા ત્યારે મને ન મળ્યા. તેના બદલામાં હું ભાવનગર આવીશ ત્યારે આપને પણ નહીં મળું અને એમ કરતાં ક્યાંહી રસ્તામાં મળ્યા તો લાજ કહાડીશ તે વખતે કોઈ પૂછશે તેનો ઉત્તર આપને પણ કાળજે ઠંડક થાય એવો આપીશ. અમારિ પત્ર વાંચી આનંદ ને ખેદ સાથે જ એવી સહોક્તિ હું ભણી નથી. ખાલી ખાલી એવી અલંકૃત વાણી વાપરી ગભરાવશો માં. નહિ તો પછી હું એવા તો ગભરાવીશકની તે તો જાણશો, મારા જીવના સમ ! આજ સુધી આપનું પત્ર ન મળ્યું તેમ મેં પણ 'દયા પ્રભુજી સાથે મુખે નીમ લીધો પણ મન કહે જે પલક ના નિભાવું, – મારે, આજ થકી શામ રંગ સમીપે ન જાવું' – એમ ઉપર ઉપરનો ટેક રાખતાં જીવ તો એવો તલપાપડ થયા કર્યો કે કસર નહિ જાણે ને કહેતી કે, 'હું તો એમનો પત્ર આવશે તો વાંચીશ નહિ !' પણ શિરનામા પર અક્ષરો ઓળખીને મારા પતિ ઊભા હતા તો પણ બળાત્કારે પત્રને ચુંબન થઈ ગયું, એ ઉપરથી આપ અમને કેવા પ્રિય છો તેનું લોપન થઈ શકે છે. પણ આપ પરિક્ષાવાન જબરા છો. કેવા કે 'દયાના પ્રભુજી ઘણા કહેવાણા ચતુર પણ ઓળખો નહિ એરંડો કે શેલડી." આપના જીવને સારૂં નથી તે જાણી ઘણી જ દીલગીર છું પણ શું કરું ? જો મારૂં ચાલી શકતું હોત તો નીરોગી કર્યા વિના રહું નહિ તો પણ પ્રભુને કહું છું કે 'ભલે, તેમની વ્યાધિ મને આવે.' પણ આપની કુશળતાની ઇચ્છા મારી કુશળતા કરતાં વિશેષ રાખું છું. આપ અમને ગણત્રીમાં ગણો યા ન ગણો, અને ચાહના કરો યા મ કરો, અમે સંભારો યા ન સંભારો, અમારી ઉપર કૃપાપત્ર લખો યા ન લખો પણ અમે તો આપને સંભારીશું, પ્રાણ સમાન વ્હાલા ગણીશું, અમારા મોટા આશ્રયરૂપ ગણીશું, અને નિરંતર આપની કુશળતા ઇચ્છીશું તથા પત્ર લખીશું. તેનો ઉત્તર આપને નજરમાં આવે તો લખવો યા ન લખવો, કારણ અમારે કાંઈ સાટું વાળવું નથી. હાલ છગનલાલભાઈ છે. પણ આપ વિના કોઈ અમારી સહાય ગણતા નથી. આપે ઉપરીપણું કયે દિવસે દાખવ્યું છે ? તથા શાળામાં આવી હસ્તે મોઢે કુશળતા કયે દિવસે નથી પૂછી ? તથા ચીઠ્ઠીનું કારણ મળતાં કેવા મધુર શબ્દોથી તે લખેલી તે બધુંય યાદ આવે છે ત્યારે બહુ જ ખેદ ઉપજે છે. આપની છબી મળી છે તેને રોજ ઠપકો દઈએ છીએ, પણ તે પોતાનો અપરાધ થયો ગણી ઉત્તર જ સામો આપે ?

લી. ... ... ...
 
♣♣