લખાણ પર જાઓ

દ્વિરેફની વાતો – ભાગ બીજો/કોદર

વિકિસ્રોતમાંથી
← મેહફિલે ફેસાનેગુયાન : સભા ત્રીજી દ્વિરેફની વાતો – ભાગ બીજો
કોદર
રામનારાયણ પાઠક
મેહફિલે ફેસાનેગુયાન : સભા ચોથી →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


કોદર

કીલ પરમાણંદદાસનાં પત્ની ચન્દનગૌરી ગુજરી ગયાં ત્યારે એમનો બેનો પ્રેમ જાણનારા એમ જ માનતા કે પરમાણંદદાસ કદી આ આઘાતમાંથી ઊભા થઈ શકશે નહિ. પણ તેઓ તો સિદ્ધાંત પ્રમાણે ચાલનારા હતા. સ્મશાનયાત્રામાંથી પાછા ફર્યા પછી બીજે જ દિવસે તેમણે પોતાના નોકર કોદરને બોલાવી કહ્યું : “જો કોદર, હવે આપણા શાંતિબાબુનાં આપણે જ બા થવાનું. તારે અને મારે થઈને એની બધી સંભાળ લેવાની. તું મારા કહ્યા પ્રમાણે ચાલીશ તો તેમાં કાંઈ બહુ મુશ્કેલી પડવાની નથી.”

સામાન્ય માણસને લાગે કે પરમાણંદદાસ જેવા પ્રતિષ્ઠાવાળા, રુઆબવાળા, કડપવાળા વકીલ પોતાના એક તુચ્છ નોકરને આવી વાત ન કરે. પણ એમના સખત અને જલદ સ્વભાવમાં અત્યન્ત માર્દવ પણ હતું, જે તેમનાં પત્ની સારી રીતે જાણતાં અને જેનો અનુભવ કોદરને પહેલેથી હતો. કોદર તેમના ઘરના માણસ જેવો થઈ ગયો હતો. છપ્પનિયા પહેલાંના કોઈ કાઠા વરસમાં એ છોકરો ઉત્તર ગુજરાત તરફથી રખડતો રખડતો આવેલો અને તેની નાતજાતની પડપૂછ કર્યા વિના પરમાણંદદાસે તેને પોતાના ઘરમાં નોકર રાખ્યો, મોટો કર્યો, થોડું ભણાવ્યો અને ઘરના માણસ તરીકે પોષ્યો. ચન્દનગૌરીના પણ તેના ઉપર ચારે ય હાથ હતા. તેના આવ્યા પછી આ એક શાન્તિબાબુનો જન્મ થયો એટલે તેમને મન કોદર સારાં પગલાંનો હતો અને કોદરને તેમને અનુકૂળ રહેવાનો સ્વભાવ પડી ગયો હતો. પરમાણંદદાસ પણ કોદરથી ખુશ રહેતા. તેમને ખુશ કરવા બહુ સહેલું પણ હતું, કારણ કે તે સિદ્ધાંત પ્રમાણે ચાલનારા હતા. તેમની જરૂરિયાતો ઓછી હતી અને તે પૂરી પડતાં તેઓ તરત ખુશ થતા.

પરમાણંદદાસે, શાન્તિએ કેટલે વાગે ખાવું, કેટલે વાગે રમવું, કેટલે વાગે તેને ફરવા લઈ જવો, કેટલે વાગે જગાડવો તે સર્વ નક્કી કરી દીધું. તેમનો કાયદો ઘડવાનો સ્વભાવ જે પત્નીના માર્દવમય વાતાવરણમાં મુગ્ધ થઈ પડી રહ્યો હતો તે હવે જાગ્રત થયો અને તેમણે કઈ ઋતુમાં કયાં કપડાં પહેરાવવાં, ચોમાસામાં અમુક જ ફલાલીનનાં કપડાં કરાવવાં, ચામાં ઋતુએ ઋતુએ કયો મસાલો નાખવો તે પણ ધાર્મિક ચોકસાઈથી નક્કી કરી દીધું. શાન્તિ મોટો થતો ગયો તેમ તેમ તેની નિશાળનો વખત, તેણે કયે દિવસે કઈ દિશામાં ફરવા જવું, કેટલે દૂર જવું, કઈ કસરતો કરવી વગેરે સર્વ દિવસવાર અને કલાકવાર નક્કી કરી દીધું. એ જમાનામાં અંગ્રેજોનો વખતસર અને ચોકસાઈથી કામ કરવાનો ગુણ ઘણો મોટો ગણાતો અને પરમાણંદદાસે ઘરમાં તેનો અમલ પૂરેપૂરો કર્યો.

કેટલાક માનસશાસ્ત્રીઓ આ સાંભળી કહે કે આવા ઘરમાં કોદરે બંડ કર્યું હશે, શાન્તિએ તોફાન કર્યું હશે, ઘરમાંથી નાસી ગયો હશે, અથવા ચોરતાં શીખ્યો હશે, બાપને ધિક્કારતાં શીખ્યો હશે, અથવા બાપ મરી ગયા પછી તેણે તદ્દન ઊલટાં આચરણો કર્યાં હશે. પણ આમાંનું કશું જ બન્યું નહોતું. શાન્તિ ઘણી જ તનદુરસ્ત અને મનદુરસ્ત સ્થિતિમાં મોટો થતો ગયો અને પરમાણંદદાસ ગુજરી ગયા પછી શું થયું તે તો મારી વાતનો મુખ્ય વિષય છે એટલે હમણાં કહેતો નથી, પણ તેમના જીવતાં તો ઘર ઘણું સારું ચાલ્યું. પ્રચારની દૃષ્ટિથી કહેતો નથી, અને આમ ક્યાંક લખવાથી કે એકાદ દાખલાથી કોઈ કશું માની જતું નથી, પણ પરમાણંદદાસનો આ પ્રયોગ ઘણો જ સફળ થયો. કોદર એકસાથે શાન્તિની મા, તેનો મોટો ભાઈ અને ચાકર બન્યો. શાન્તિ મોટો થયો ત્યારે તેણે પણ, શબ્દ પાછળની વ્યંજના પેઠે, બધા નિયમોની પાછળ રહેલી પોતાની નિઃસીમ મમતા, મૃદુતા, ઉદારતા, મુક્તિ અનુભવી અને જોકે આવી વસ્તીવાળા ઘરનો કોઈ એકમ તરીકે વિચાર કરે નહિ પણ નોકરી અને પિતાપુત્રનું આ ઘર એક આદર્શ ઘર બન્યું.

આવા નિયમબદ્ધ વ્યવહારવાળા ઘરમાં કશા જ બનાવો ન બને એ સ્વાભાવિક છે. પણ શાન્તિ બી.એ. થઈ રહ્યો ત્યારે એક બનાવ બન્યો. પરમાણંદદાસના મિત્રોએ શાન્તિને બારિસ્ટર બનાવવાનું કહ્યું. પરમાણંદદાસને પણ પોતાનો દીકરો બારિસ્ટર થઈ પોતાનો ધંધો હાથ કરે એવા કોડ થયા. તેમણે તરત જ નક્કી કરી નાખ્યું. તેને માટે ઇંગ્લંડમાં જે કાંઈ પત્રવ્યવહાર કરવો જરૂરનો હતો તે કર્યો. બીજી તરફ તેમના સિદ્ધાંત પ્રમાણે શાન્તિ ઇંગ્લંડ જવા ઊપડે તે પહેલાં તેને પરણાવવાની તજવીજ કરવા માંડી. સુરત નજીકના એક ગામમાં એક સંસ્કારી કુટુંબની, તે જમાનામાં મળી શકે તેટલી મોટી ઉંમરની કન્યા નામે માલતી સાથે તેમણે શાન્તિનાં લગ્ન પણ કરી નાખ્યાં. શાન્તિને ઇંગ્લંડ મોકલતા પહેલાં, પરમાણંદદાસના સિદ્ધાંતમાં એવું આવતું હશે તે, તેમણે પુત્રને અને પુત્રવધૂને પાસે બોલાવ્યાં, અને હજી માલતીએ ઊંચું મોં કરી શાન્તિને જોયો ય નહિ હોય અને તેની સાથે વાતે ય નહિ કરી હોય તે પહેલાં, પુત્રની સામે જોઈને પણ બન્નેને ઉદ્દેશીને કહ્યું : “શાન્તિ ઇંગ્લંડ જાય પછી તમે બંને એકબીજાને કાગળો લખજો. મેં જમિયતરામભાઈને વાત કરી છે.” પુત્રની ડાયરીમાં માલતીના પિતા જમિયતરામનું સરનામું લખાવ્યું અને માલતી પાસે ડાયરી નહોતી એટલે કોદર પાસે મંગાવીને શાન્તિ પાસે તેમાં ઇંગ્લંડનું તેનું સરનામું લખાવીને તે ડાયરી માલતીને આપી. પુત્રને ઇંગ્લંડ વિદાય કર્યો, પુત્રવધૂને પિયેર મોકલી અને પોતે ‘મજબૂત મનના રહેવું જોઇએ’, ‘નકામી હૃદયની નરમાશ શી બતાવવી’ કરી, પુત્રને વળાવવા મુંબઈ સુધી પણ ન ગયા.

શાન્તિએ ઇંગ્લંડ જઈ માલતી સાથે પુષ્કળ પત્રવ્યવહાર કર્યો; પણ તેમાં ક્યાંય સંવનન કે પ્રેમની વાત આવતી નહોતી. તેનામાં પિતાનો વારસો ઊતર્યો હતો એમ કહો, કે પિતાના સ્વભાવની તેના મન ઉપર એવી અસર થઈ હતી એમ કહો, તેને બોલ્યા વિના એકલાં ઊંડો વિચાર કરવાની ટેવ પડી હતી. તે પોતાની ઊંડી લાગણી શબ્દોમાં મૂકતાં કે બીજી રીતે બતાવતાં શરમાતો. લાગણી જેમ તેના હૃદયની વધારે નિકટની, તેમ તે વિશે તે વધારે મૂંગો રહેતો. તેણે પ્રેમ સિવાયની જ બધી વાતો કર્યા કરી. પોતે કેમ રહે છે, કોને મળે છે, શું જોવા જાય છે, ઇંગ્લંડની રીતભાત કેવી છે, એ જ તેણે લખ્યા કર્યું.

એ સિવાય તેણે કાંઈ બીજું લખ્યું હોય તો તે માત્ર પોતાના પિતાના ગુણો વિશે. કારણ કે શાન્તિ એમ માનતો હતો કે પોતે ઘર માંડ્યા પછી તેની પહેલી ફરજ પિતાને સંતોષ આપી સુખી કરવાની છે અને તેમાં તેની પત્ની સહધર્મચારિણી થાય એમ તે ઇચ્છતો હતો.

પણ પરમાણંદદાસના જીવનમાં આ ચાકરી ભોગવવાનું હતું નહિ. પુત્ર ઇંગ્લંડ ગયા પછી જાણે તેમની સર્વ શક્તિઓ હરાઈ ગઈ. પુત્રને સ્ટેશને વિદાય કરીને પાછા આવી, તેમણે હજી સુધી કદી બહાર નહિ કાઢેલી પોતાની પત્નીની અને કુટુંબની છબીઓ અને થોડા દિવસ પર પડાવેલ પુત્રની છબી બેઠકના ઓરડામાં બહાર મૂકી અને તે રાતે કોદરે જમવા બોલાવતાં, તેમની નિયમિત જિંદગીમાં કદાચ પહેલી વખત જ, તેમણે જમવાની ના પાડી. શાન્તિનો પત્રવ્યવહાર નિયમિત હતો. તેને તેઓ પોતાના ખુશખબર નિયમિત આપ્યા કરતા, પણ તેમનું શરીર ઘસાતું જ ચાલ્યું. તેમના મિત્રોને ચિંંતા થઈ, તેમણે ખરું કારણ કલ્પ્યું; પણ પુત્રને અભ્યાસ છોડાવી અહીં લાવવો કે તેને પોતાની માંદગીની ખબર આપવી એ તેમને સિદ્ધાંતની વિરુદ્ધ લાગ્યું. બીજી તરફથી તેમને તો ખાતરી જ હતી કે હવે દેહ ટકવાનો નથી. તેમણે મરણ બાદ શાન્તિને નિયમિત પૈસા મળે તેની ગોઠવણ કરી, પોતાની બધી મિલકતની વ્યવસ્થા કરી અને જરા પણ નિર્બળતા બતાવ્યા વિના દેહ છોડ્યો.

શાન્તિને પિતાના મૃત્યુના સમાચારથી આઘાત લાગ્યો. ઘરનો ભાર પોતા પર આવ્યો તેનું ભાન તેને અસ્વસ્થ કરવા લાગ્યું. બીજી તરફથી માલતી સાથે રહેવાની ઇચ્છા તેને ગૂઢ રીતે આકર્ષવા લાગી. આથી હવે ઘર કેમ ચલાવવું, ઇંગ્લંડના લોકો ઘર કેમ ચલાવે છે, કેવી વ્યવસ્થા રાખે છે, એ જ તેણે તેના પત્રોનો વિષય કર્યો હતો. યુરોપની મુસાફરીનો કાર્યક્રમ રદ કરી સીધા દેશમાં જવાનો કાર્યક્રમ જણાવી દીધો. તે પ્રમાણે મુંબઇ ઊતરી જમિયતરામને ઘેર થોડા કલાકો ગાળી માલતીને સાથે લઈ તે નક્કી કરેલા દિવસે સવારે અ₭મદાવાદમાં ઊતર્યો.

સ્ટેશને કોદર સામો આવ્યો હતો. ઘેર જતાં ગાડીમાં રસ્તો આખો તેણે ‘બાપુ’ને શું થયું, તે કેમ રહેતા, તેમને કેવી ચિંતા થતી, છેવટે કેમ ગુજરી ગયા અને અંત વેળાએ તેમણે શાન્તિભાઈની અને માલતીબહેનની કેવી ભલામણ કરી એ વાત ઠેઠ સુધી જુદા જુદા રૂપમાં કહી “અને મેં એમના પગ પર હાથ મૂકી કહ્યું હતું કે જેમ આજ સુધી કરતો’તો તેમ જ મરતાં સુધી ભાઈની ને બહેનની ચાકરી કરીશ, ત્યારે બાપુનો જીવ ગતે ગયો.” શાન્તિલાલ કોદરના મોં પર તેની પ્રતિજ્ઞાાની ભીષણતા અને ઉંમરના વધવા સાથે તેનો વધારે આગ્રહી વેગવાળો ધૂની થયેલો સ્વભાવ પણ જોઈ શક્યો. કોદરને હવે શાન્તિલાલની ચાકરી સિવાય જીવનમાં કોઈ હેતુ રહ્યો નહોતો.

પિતા વિનાના ઘરમાં શાન્તિલાલે ગંભીર પગલે પ્રવેશ કર્યો. પરમાણંદદાસના વખતમાં જેમ ચીજો ગોઠવાતી હતી તેમ જ બધું ગોઠવેલું હતું. માલતી પતિની ગંભીરતા સમજી ગઈ. ઘણી વાર પુરુષ ગમગીન થાય છે ત્યારે સ્ત્રી સ્વાભાવિક રીતે જ સ્ફૂર્તિમાં આવી પતિની આસપાસ સ્ફૂર્તિ અને આનંદનું વાતાવરણ ફેલાવવા પ્રેરાય છે. માલતીને લાગ્યું કે તેણે સૌથી પ્રથમ ચાનાસ્તો તૈયાર કરવાં જોઈએ. તેણે કહ્યું : “કોદરભાઈ, મને બધું બતાવો. લાવો હું ચા તૈયાર કરું. તમે એમને દાતણની સામગ્રી આપો.” પણ માલતીએ આ પરિસ્થિતિથી મનમાં મુગ્ધ રીતે કાર્યક્રમ ઘડ્યો હતો, તો કોદરે તો મહિનાઓ અને વરસોથી ઘડી રાખ્યો હતો. જાણે જગતનો સ્વાભાવિક નિયમ કહેતો હોય તેમ તેણે કહ્યું : “બહેન, તમને શાન્તિભાઈનો ચા કરવો નહિ ફાવે. કેમ ખરું ને ભાઈ ! મેં તમારે બંનેને માટે દાતણપાણી મૂકી રાખ્યું છે.” એમ કહી તેણે શાન્તિલાલ સામે જોઈ ઉત્તર માગ્યો. શાન્તિલાલ, પિતાના, કોદર અને પોતા સાથે પડાવેલા ફોટા સામે જોતો હતો. તેને કોદર અત્યારે પિતાના એક જીવન્ત સ્મારક જેવો લાગતો હતો. તેણે કહ્યું : “એને કરવા દો.” જેમ કોઈ બાળકને તેની રમત ભાંગતા થાય તેમ માલતી ખસિયાણી પડી ગઈ. તે વખતે તો તે ગમ ખાઈ ગઈ; પણ ચા પીતી વખતે કોદર કંઈ કામે દૂર જતાં તેણે શાન્તિલાલને એક જ સવાલ ગંભીર થઈ પૂછ્યો : “ગઈ કાલે મેં તમને ચા કરી આપી હતી તે તમને ફાવી નહોતી?” શાન્તિલાલે સરલ રીતે હા પાડી. પણ માલતીના પ્રશ્નમાં વ્યંગ્યરૂપે એવું સ્પષ્ટ તહોમત હતું કે કોદરને આપેલ આદરનો તે ખુલાસો કરી શક્યો નહિ અને જરા અસ્વસ્થતાના વાતાવરણમાં કામ આગળ ચાલ્યું.

માલતી નાહી રહી ને રસોડામાં જાય છે તો કંસારનો સર્વ સામાન તૈયાર રાખી કોદર ઊભેલો. માલતી નાહતી હતી તે દરમિયાન તેણે શાન્તિલાલને શું રાંધવું તે પૂછેલું. શાન્તિલાલે ઠીક લાગે તે કરો એમ કહેલું. અને કોદરે કહેલું, “ભાઈ, આજે તો કંસાર જ હોય, મેં તૈયાર કરાવી રાખેલ છે.” શાન્તિલાલે ‘ભલે’ કહેલું અને તે પ્રમાણે ઉમંગમાં ને ઉમંગમાં માલતી રસોડામાં જાય તે પહેલાં તેણે બધું તૈયાર કરી મૂકેલું હતું. માલતી શું રાંધવું તેનો વિચાર કરે કે શું રાંધવું તે શાન્તિલાલને પૂછવાનો વિચાર કરે કે પોતે નિર્ણય કરે તે પહેલાં કોદરે કહ્યું : “મેં ભાઈને પૂછ્યું છે. ભાઈએ કંસાર કરવાની હા પાડી છે.”

માલતીએ પોતે પૂછ્યું હોત તો શાન્તિલાલ એ જ જવાબ આપત અને કદાચ માલતી પણ એ જ નિર્ણય કરત, પણ માલતીને આ પારકો નિર્ણય સ્વીકારવો પડ્યો તે ન ગમ્યું. બાળકને કંઈ પણ ચીજ હાથમાં લઈ મોંમાં મૂકતાં આવડે છે તે જ ક્ષણથી તે બીજાના હાથે ખાતું નથી. બીજાના હસ્તક્ષેપનો તેને અમર્ષ થાય છે. અને માણસ દરેક નવી પ્રવૃત્તિ કરે છે ત્યારે એ જ બાલમાનસથી તે શરૂ કરે છે. માલતીને પણ એજ અમર્ષ થયો. તે પાછી બીજી વાર ગમ ખાઈ ગઈ.

જમી પરવારી રહ્યા પછી શાન્તિલાલે માલતીને કહ્યું : “ઘરમાં સામાન મંગાવવો હોય તો તેનું લિસ્ટ કરો, આપણે મંગાવીએ.” ઘણીખરી વસ્તુઓ તો ઘરમાં હતી; પણ એક બે વસ્તુઓ સાથે માલતીએ સ્ટવનું નામ આપ્યું. તે વખતે અમદાવાદમાં હજી સ્ટવ નવોસવો પ્રવેશ કરતો હતો અને માલતીને નવી જ ચીજ ઘરમાં વસાવવાનો શોખ થયો પણ સ્ટવનું નામ સાંભળતાં કોદર એકદમ ચમક્યો અને બોલ્યો : “ના ભાઈ, બાપુ સ્ટવ લાવવાની ના કહેતા હતા. તેનાથી રસોઈ ખરાબ થાય છે.” માલતીએ કહ્યું : “આપણે ફક્ત ચા જ કરીશું; ઝટ થઈ શકે.” પણ કોદરે તરત જ રદિયો આપ્યો : “તમે ચાની ફિકર કરો મા. ને હું કહેશો તેટલો વહેલો ઊઠીને કરી આપીશ. બાપુ કહેતા કે તેનાથી ભડકો થાય ને ક્યાંક બળી જવાય.” શાન્તિએ “કંઈ નહિ, હમણાં સ્ટવ વિના ચલાવી લો. પછી વાત.” કહી વાત બંધ કરી.

નદી પહેલી જ વખત પોતાના ઉદ્ભવસ્થાનમાંથી નીકળી આગળ જતી હોય અને એના માર્ગમાં જડ ડુંગરો આવે ને તે મૂંઝાય, તેનાં પાણી ભટકાઈને પાછાં વળે અને તેનું પાત્ર ઊંડુ ખોદાવા માંડે, તેમ માલતીના મનમાં થયું. તે જેટલી કોડીલી હતી તેટલો તેને આઘાત થયો. પણ તે જેટલી કોડીલી હતી તેટલી જ માનિની હતી, તીખી હતી ને ગૌરવવાળી હતી. તે ફરી ગમ ખાઈ ગઈ. “ભલે ત્યારે એમ” કહી, તેણે એ વાત પૂરી કરી.

જેમ વેલની નસેનસમાં પાણી ફરી વળે તેમ, માલતીની દરેક ઊર્મિ, વિચાર, આઘાત, દુઃખ શાન્તિલાલ સમજી શક્યો હતો. તેને સમજાયું કે કોદરની રીત માલતીના ઊછરતા કોડની આડે આવે છે. પણ બીજી તરફ એ પણ સમજતો હતો કે કોદર ઘરડો થયો છે. જૂના નિયમો સિવાય તે કશું સમજી શકવાનો નથી, અને પિતાના આદેશ પ્રમાણે, મારા સિવાય બીજા કશાને માટે જીવી શકવાનો નથી. તેને મનમાં થયું કે કોદરે પોતા માટે કેટલું કર્યું છે અને તેનું મન એક બાજુથી કેટલું આગ્રહી અને બીજી બાજુથી કેટલું ભંગુર, કેટલું બરડ થઈ ગયું છે તે માલતીને સમજાવું, તો જ માલતીનું સમાધાન થશે.

રાત્રે કોદરે પરમાણંદદાસના જ મુખ્ય ઓરડામાં બંનેને માટે જૂની રીત પ્રમાણે ઢોલિયા બિછાવી રાખ્યા હતા. શાન્તિ અને માલતી એકાંતમાં મળતાં શાન્તિએ વક્તવ્યની પ્રસ્તાવના કરતાં કહ્યું : “કેમ તને જરા એકલું તો લાગશે. તારા પિતાને ઘેર તો વસ્તારી કુટુંબ છે. અહીં તો કોઈ નથી.”

માલતીએ કહ્યું : “ના, કોદરભાઈ છે ને!” એ એક જ વાક્યમાં તેણે એટલી કડવાશ, એટલી તીખાશ મૂકી કે શાન્તિલાલ આગળ વાત જ ન કરી શક્યો. તેને લાગ્યું કે માલતીના અનુનયને માટે બીજો ઉપાય શોધવો પડશે.

આખી રાત બન્ને કશી પણ વાતચીત વિના સૂઈ રહ્યાં. માલતીએ પિયેરથી નીકળતી વખતે, શાન્તિના કાગળોમાં આવેલી હકીકત વિશે, તેણે સાઈકલ ઉપર કરેલી મુસાફરીઓ વિશે, તેણે એક રાત એક ડુંગર ઉપર રાતવાસો કરેલો અને ત્યાં ધુમ્મસના અંધારામાં ડુંગરની કરાડ ઉપર અજાણતાં આવી ચડેલા, જે વાંચીને માલતી ભયભીત થઈ ગયેલી અને તેનાથી તે અજ્ઞાાત રીતે જિતાઈ ગઈ હતી એ વિશે, અનેક વાતો પૂછવાની મનમાં ધારેલી, પણ તેમાંથી એક પણ તેની જીભ પર આવી શકી નહિ. અમદાવાદ આવતાં ગાડીમાં એક બાઈએ માલતીને પૂછેલું : “તમે ક્યાંનાં રહેવાસી ?” અને માલતીએ જરા પણ વિચાર કર્યા વિના પિયેરનું નામ ન દેતાં ‘અમદાવાદનાં’ કહેલું ત્યારે, હવે માલતી તદ્દન મારી થઈ ગઈ છે એ વિચારનો ઉમળકો આવતાં, જળભર્યો મેઘ પર્વત પરની વનરાજિને આલિંગે તેમ, માલતીને આલિંગનમાં સમાવી દેવાની તેને ઈચ્છા થયેલી; પણ અત્યારે બન્નેની વચ્ચે જાણે કોદર આવી ગયો હતો. બંનેની વચ્ચે હજારો માઈલનું અંતર હતું ત્યારે તેમનાં હૃદય નિકટ હતાં, અત્યારે બન્ને નિકટ હતાં ત્યારે તેમનાં હૃદયો દૂર દૂર થતાં જતાં હતાં.

બીજે દિવસે સવારથી જ બનાવો અવળી દિશાએ ચાલવા લાગ્યા. માલતીએ વહેલા ઊઠવાની ટેવ કેળવી હતી. તે સવારે દૂધવાળાનો અવાજ સાંભળી ઊઠીને દૂધ લેવા જતી હતી ત્યાં શુકનમાં સામો જ કોદર મળ્યો. તેણે કહ્યું : “બહેન, શા માટે આટલાં વહેલાં ઊઠ્યાં છો? મેં દૂધ લઈ લીધું છે. દાતણ કરવાના પાટલા ઢાળી રાખ્યા છે. તમે દાતણ કરશો એટલામાં ચા તૈયાર થઈ જશે.”

માલતીને, કોદર જાણે દરેક કામમાં આગળ જઈ આડો ફરતો જણાયો. નાની નાની બાબતમાં તેને જાણે પોતાનું જીવન વ્યર્થ થતું લાગ્યું. એક વેલીને સહસ્ત્ર ફૂલે ફાલવું હોય પણ તેની કળીઓ ઊગતાં જ કપાય તેવી તેની દશા થઈ. અનેક નાનાં દુઃખો તેને પજવવા લાગ્યાં. અને તે દરેક નાનાં દુઃખની પછવાડે તેને અનંતતા દેખાવા લાગી. બીજા દિવસની આખરે પરિસ્થિતિ બગડી હતી, સુધરી નહોતી.

આમ ને આમ દિવસો ને માસો ચાલવા માંડ્યા. માલતીને, આ સ્થિતિ સામે ફરિયાદ કરવી કે તે ઉપર ગુસ્સો દર્શાવવો તે નિર્બળતા લાગી. આવી સ્થિતિમાં પ્રેમ કરવો, બતાવવો, આમંત્રવો કે યાચવો, તે તેને લઘુતા જણાઈ. તે એટલી ગૌરવશાળી હતી કે પોતાનું દુઃખ તેણે કોઈ પણ માણસ આગળ દેખાવા દીધું નહિ. બહારનાં કોઈ માણસ આમની સ્થિતિમાં કશું અસાધારણ જોઈ શક્યાં નહિ; કોદર કદી જોઈ શકે તેમ નહોતો. શાન્તિલાલ બધું જોતો હતો, સમજતો હતો પણ તેને માલતીના રસગર્ભ હૃદયની આસપાસ એવું એક જડ કોચલું બંધાતું જણાયું કે જેને સહેલાઈથી ભેદી શકાય તેમ ન લાગ્યું. સમગ્ર સ્થિતિના સકારણ ખુલાસા વિનાના કોઈ ક્ષણિક અનુનય કે પ્રેમોર્મિથી ન માને એવી તે માનિની હતી અને આ કુટુંબના ગત અનુભવ વિના તે અનુભવથી ઘડાયેલું કોદરનું માનસ, તે પોતાના જીવનના આવેશમાં સમજી શકે તેમ નહોતી, તો કોદરનો ઇતિહાસસિદ્ધ જડ આગ્રહ માફ કરી કે નિભાવી તો ક્યાંથી જ શકે ? આવા ઘરમાં બે અત્યંત રસોન્મુખ હૃદયો એકબીજાથી પરાઙ્‌મુખ હિજરાતાં અકથ્ય દુઃખમાં દિવસ ગાળવા લાગ્યાં. સુખી એક માત્ર કોદર હતો, તેની સેવાની કૃતકૃત્યતામાં.

દરમિયાન શાન્તિલાલ કોદરને માઠું ન લાગે તેમ તેને દૂર કરવાનો વિચાર કરતો હતો. તેને એક યુક્તિ જડી. ઑફિસમાં વધારે જોખમવાળા કામમાં તેના જેવા ભરોસાદાર માણસની જરૂર છે એમ કહી તેને ખાસ પોષાક પહેરાવી એક સારી જગાએ બેસી રહેવાનું તેણે નિયુક્ત કરી આપ્યું. એ રીતે ઘરમાં દિવસના ઘણાખરા કલાકોની તેની ગેરહાજરી તે મેળવી શક્યો. આથી માલતીને કોદર તરફની પજવણી ઓછી થઈ લાગી ખરી, પણ તેના મનનું સમાધાન ન થયું. તેને લાગ્યું કે જાણે તેના ઉપર ઉપકાર કરવા એક માણસને ખસેડ્યો છે. ગૃહિણીના સ્વાભાવિક અધિકારમાં પોતે આવી હોય એવી તેને પ્રતીતિ ન થઈ. શાન્તિલાલ આ પણ સમજી ગયો. પણ ચાહીને–માંડીને વાત કરીને આવી અંગત વાતનો ખુલાસો કરવો એ એને અરુચિકર, અ–નાજુક, અરસિક લાગ્યું. સમય જતાં માલતીનું મન જરા પીગળશે ત્યારે સ્વાભાવિક રીતે વાત કરવી ઠીક પડશે એમ માની તેણે હમણાં વખત જવા દીધો. માલતીએ પોતાના સ્વભાવ પ્રમાણે કદી કશું પૂછ્યું પણ નહિ.

એક દિવસ બપોરના ઘરમાં ચાનું પાણી ઊકળતું હતું. માલતી બીજા ઓરડામાં હતી. ત્યાં કોદર ઑફિસના કાંઈ કામે ઓચિંતો આવ્યો અને ચા ઊકળતી જોઈ “બહેન, તમે આમાં મસાલો નાખવો ભૂલી ગયાં છો” એમ બોલી તેણે અંદર ફુદીનો, એલચી, તજ વગેરે નાખ્યું. માલતી ત્યાં જાય અને કશું ન થાય એટલા માટે શાન્તિલાલ ત્યાં ગયો અને “કંંઈ નહિ, ભલે કોદર ચા કરે” એમ કહી પાછો વળ્યો, ત્યારે ઘણા દિવસના રોષે માલતીના મોંમાંથી નીકળી ગયું : “મને સમજાતું નથી કે હું તે એક વરને પરણી છું કે બેને ?” પણ આ વાક્ય કહ્યા પછી તેને ઘણું જ માઠું લાગ્યું. અંતસ્તાપમાં અને મૂંઝવણમાં તેને હિસ્ટીરિયા જેવું લાગ્યું, રડી જવાશે એમ તેને લાગ્યું. પણ તેણે મનની ઉપર કાબૂ રાખ્યો. બેમાંથી એક પણ થઈ ગયું હોત તો બંનેની વચમાં સમાધાનનો પ્રસંગ આવી જાત, પણ માલતીએ ફરી સઘળું મનોબળ ભેગું કર્યું અને બહારથી સ્વસ્થ થઈ. પોતાનું વાક્ય તેને માફી માગવા જેવું લાગ્યું હતું, પણ કોદરની સ્થિતિથી તેને પોતાને જે અન્યાય થતો હતો તે તેને અત્યારે ઊલટો વધારે તીક્ષ્ણ અને અસહ્ય લાગ્યો. તે માફી મગાવા સુધી જઈ શકી નહિ. શાન્તિલાલ જાણે તેની આંખો પારદર્શક હોય તેમ આ બધું સમજી શક્યો. તેણે માલતીને પોતાના મનથી જ માફી આપી એટલું જ નહિ, તે સમજ્યો કે માલતી હવે વધારે સહન નહિ કરી શકે.

કોદર ઘેર ન આવે તેવી તેણે વધારે યુક્તિઓ કરી. પણ એ પ્રયોજન સ્ફુટ કર્યા વિના કરેલી એ યુક્તિઓથી એ પ્રયોજન પૂરેપૂરું સાધી શકાયું નહિ. એક વાર રવિવારને દિવસે એક બે મિત્રો બેઠા હતા. માલતી સાથે–ચા પાણીની તૈયારી થતી હતી, ત્યાં ઓચિંતો કોદર આવ્યો અને જૂની રીતે બોલ્યો : “બહેન, તમે મસાલો નાખવો ભૂલી ગયાં છો?” શાન્તિલાલે આજે છણકો કરીને કહ્યું : “દરેક બાબતમાં નકામી ડખલ શા માટે કરે છે? શાંતિથી બેસતાં નથી આવડતું?” કોદર કાંઈક બાપુના વખતની વાત કરવા જતો હતો ત્યાં શાન્તિલાલે ધમકાવીને કહ્યું : “મારે એ નથી સાંભળવું. તું તારી જગાએ જા.”

‘બાપુનું વચન નથી સાંભળવું’ એ શબ્દોએ કોદરને આભ તૂટ્યા બરાબર લાગ્યું. તે ત્યાંથી એ જ વખતે પહેર્યે કપડે નીકળી ગયો. શાન્તિલાલને લાગ્યું કે આ ખોટું થયું; પણ મિત્રો અને માલતીની હાજરીમાં તેણે પોતાની લાગણી દબાવી રાખી, મિત્રો ગયા પછી તેણે તરત ઊઠીને તેને શોધવા પોતાના ઑફિસના નોકરોને મોકલ્યા. જમતા તેને જમવું ભાવ્યું નહિ. માલતીએ આ બધું જોયું. તે સમજી અને તેને ઊલટું વધારે ખરાબ લાગ્યું. તેને ફરી મનમાં થયું કે કોદરને ઑફિસમાં કાઢ્યો તે માત્ર બહારથી મારું મન મનાવવા જ હતું, બાકી તો એમના હૃદયમાં માત્ર કોદર જ હતો. રાત્રે શાન્તિલાલને ચિંતાતુર દેખતાં તેને લાગ્યું કે કોદર હાજરીમાં હતો તેથી વધારે હવે ગેરહાજરીમાં વ્યવધાનરૂપ થયો. આ દંપતી જે એટલાં બધાં એકમેકને ચાહતાં હતાં—ચાહવાને આતુર હતાં, તે પ્રેમની નિરાશાના લગભગ અંતિમ બિંદુએ પહોંચ્યાં. બંનેને પોતાનો સહવાસ એક શિક્ષારૂપ હતો.

બીજે દિવસે પણ કોદરનો પત્તો લાગ્યો નહિ. કોદરને આ ઘર સિવાય કોઈ મિત્ર કે બેસવાઊઠવાનું ઠેકાણું નહોતું; એટલે તેની ખોળ વધારે મુશ્કેલ થઈ પડી. તેનું ગામ કયું હતું તે તો કોદર પોતે પણ ભાગ્યે જ જાણતો હશે. શાન્તિલાલે માલતીને કશું જ જણાવ્યા વિના પોલીસ મારફત તપાસ કરાવી, પણ બીજે દિવસે પણ કશો પત્તો લાગ્યો નહિ.

ત્રીજે દિવસે બપોરે વરસાદ આવ્યો અને સાંજથી અમદાવાદમાં એવી ઠંડી પડી જે કોઈ પણ જીવતા માણસની સાંભરણમાં નહોતી. પછીના દિવસોમાં આ ટાઢનું વર્ણન કરતાં વર્તમાનપત્રકારોએ લખેલું કે ઠંડીને દિવસે પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અમદાવાદ ફરતો ત્રીસ માઈલ સુધીનો પાક બળી ગયો છે. સરકારે ભયંકર દુકાળને પહોંચી વળવા તૈયારીઓ કરવી પડશે. માત્ર પાક જ નહિ, ઘણાંખરાં મોટાં ઝાડો પણ કાળાં પડી ગયાં છે. મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી મેઈલમાં ત્રણ માણસો ટાઢથી મરી ગયાં હતાં. કૂતરાં, વાંદરાં, ખિસકોલીઓ અને કબૂતર અને કાબરો સુદ્ધાં ટાઢથી મરી ગયેલાં રસ્તા ઉપર પડેલાં હતાં. અને બીજે દિવસે બપોરના બાર સુધી તેને ખેંચી જવાને માણસો પણ મળી શક્યા નહોતા. શહેરમાં મજૂરી કરવા આવેલું કાઠિયાવાડનું એક કુટુંબ નદીની રેતમાં સૂઈ રહેલું તે આખું, ધણીધણિયાણી અને પાંચ છોકરાં સર્વે ટાઢથી મરી ગયેલાં હતાં. એક વર્તમાનપત્રમાં વળી કોઈ લહેરી કવિએ આ ટાઢ ઉપર કવિત જોડ્યું હતું જેની છેલ્લી પંક્તિઓ નીચે પ્રમાણે હતી :-

બહુ અવગુણ પણ એક અદ્વિતીય ગુણ,
પિયુ-પ્રિયા હૈયાં આવાં બદ્ધ કદી હતાં નહિ.

આવી રાત્રે શાન્તિલાલે બાર વાગ્યા સુધી અંદર દીવાનખાનામાં ફર્યા કર્યું. માલતીએ સૂતાં સૂતાં આ સાંભળ્યા કર્યું. પણ તે તેને સૂવા ઊઠવાનું કહી શકી નહિ. શાન્તિલાલ સૂતા પછી પણ તેણે તેના ઉજાગરાના શ્વાસોચ્છ્વાસો અને પછી ઊંઘમાં નિઃશ્વાસો સાંભળ્યા કર્યા. ચિંતા, ગુસ્સો, દ્રોહ, મૂંઝવણ એ સર્વથી તેને રાત આખી ઊંઘ આવી નહિ. સવારના સમયે તેણે દાદર ઉપર કંઈક અવાજ સાંભળ્યો. દૂધવાળો હશે જાણી તે કમાડ ઉઘાડી બહાર ગઈ અને ત્યાંનું દ્રશ્ય જોઈ તે ક્ષણભર સ્તબ્ધ જ થઈ ગઈ.

કોદર એક કોથળાની માફક ભીંજાયેલે કપડે ઢગલો થઈ પડ્યો હતો. માલતી તેને ઓળખી શકે તે પહેલાં તેણે કહ્યું : “બહેન, ભાઈ ગમે તેમ કહે પણ તેમને આજે મશાલો નાખીને ચા પાજો, નહિતર શરદી થઈ જશે. બાપુ કહેતા ગયા છે.” માલતી બહાદુર હતી, નહિતર કોદરના ભયંકર મૃત્યુપારથી આવતા જેવા અવાજથી તે ભડકી ગઈ હોત. તેણે એકદમ ઘરમાં જઈ “કોદરભાઈ બેભાન થઈ ગયા છે, ઝટ ઊઠો.” કહી શાન્તિલાલને ઉઠાડ્યો. બન્નેએ તેને ઊંચકી ઓરડામાં પહેલો જ માલતીનો ઢોલિયો આવ્યો તેના પર તેને પર સુવાડ્યો. “તમે તેમને કોરા કરી ગરમ કપડાં પહેરાવો.” કહી તેણે ટુવાલ અને પતિનાં જે ઝટ હાથમાં આવ્યા તે ગંજીફરાક વગેરે હાજર કર્યાં. નોકરને જગાડી તે જ વખતે દાક્તરને બોલાવવા દોડાવ્યો. ઘરમાં જઈ સ્ટવ કરી તેના પર ગરમ પાણી મૂકી, ઘરમાંથી કોદરે જ તૈયાર કરેલો સૂંઠનો ભૂકો આણી, તેણે કોદરને પગે ઘસવા માંડ્યો. શું કરવું તે શાન્તિલાલને વારંવાર પૂછતી તે જીવ પર આવી કોદરને બચાવવા તેની સારવાર કરવા લાગી.

પણ તે સારવાર વ્યર્થ ગઈ. ડૉક્ટર આવ્યો અને તેણે કહ્યું કે થોડા કલાકનો જ સવાલ હતો. માલતીએ મસાલો નાખી ચા કરીને આણી, પણ કોદર પી શક્યો નહિ. અને સવારના નવેક વાગે, જેની સેવામાં તેણે જીવન વિતાડ્યું હતું અને ખોયું હતું, તેની એક છેલ્લી સેવા લઈ તે વિદાય થઈ ગયો.

દિવસ આખો કોદરની અંતિમ ક્રિયામાં ગયો. રાત્રે શાન્તિલાલ તેના ઓરડામાં સૂવા ગયો ત્યારે માલતી આરામખુરશી પર માથું નાખી પડી હતી. શાન્તિલાલ જોઈ શક્યો કે તે રડતી હતી. પાસેના ઢોલિયા પર બેસી શાન્તિલાલે ધીમેથી તેને માથે હાથ ફેરવ્યો. ધીમેથી માથું ઊંચું કરી તેને કહ્યું : “તેમાં તું શા સારુ રડે છે? એ જતો તો રહ્યો મારા કહેવાથી !” અને એમ કહેતાં તેણે માલતીને નરમાશથી ઊભી કરી ઢોલિયા પર લીધી. જાણે કંઈક શબ્દની જ જરૂર હોય તેમ આટલું સાંભળી તેણે શાન્તિલાલના ખભા પર માથું નાખી લાંબા નિશ્વાસથી અસ્ખલિત અશ્રુપ્રવાહે રડી દીધું. શાન્તિલાલે તેને શરીરે પંપાળ્યા કર્યું અને રડવું કંઈક ઓછું થયું ત્યારે ફરી કહ્યું : “તેમાં તારો શો દોષ?” માલતીએ રડવું રોકી કહ્યું : “નહિ નહિ નહિ. તમે એને લડ્યા તે મારાથી કંટાળીને. હું જ એને ખરી મારનાર છું.” એમ એમ કહી તેણે ફરી રડવા માંડ્યું. માલતીના મનનું સઘળું બળ અત્યારે તેના પશ્ચાત્તાપમાં આવી રહ્યું. બળવાનનો પશ્ચાત્તાપ બળવાન હોય છે. આ બીજો આવેગ પૂરો થયો ત્યારે તેણે કહ્યું : “તમે મને કોઈ દિવસ વારી પણ કેમ નહિ?” શાન્તિલાલે નરમાશથી કહ્યું : “તને એ ન ગમે તેમાં તારો દોષ નહોતો. કોઈ પણ સ્ત્રી તેને સહન ન કરી શકે એવો એ થઈ ગયો હતો. ઘરકામમાં એટલી ડખલગીરી કોઈથી સહન ન થાય. પણ હું જાણતો હતો કે એને ના પાડીશ તો નાસી જશે. અને ઘરથી દૂર જતાં એ હિજરાઈને મરી જશે.” માલતીએ હવે સ્વર બદલાવતાં ઠપકાથી કહ્યું: “તમે મને આટલું સમજાવી હોત તો હું તેને નિભાવી લેત.” શાંતિલાલે હવે જરા હસીને કહ્યું: “પણ સાચું કહેજે, મેં તને એમ પહેલાં કહ્યું હોત તો તું સાચું માનત ખરી? તને એમ જ લાગત કે માત્ર તેને રાખવા ખાતર તે મરી જશે એવી ખોટી ધમકી આપું છું. કેમ ખરું કે નહિ?” માલતીએ સરળ મને ફરી શાન્તિલાલના મોં પર મોં નાખી દઈ તેના ગાલ પર ભીની પાંપણ હલાવી હા પાડી.

અને આપણે આટલેથી આ પ્રસંગ મૂકી દઈ વાતમાં આગળ ચાલીએ. આપણે જાણી લીધું કે માલતીના રસગર્ભ ચિત્તની આસપાસ તેણે ઊભું કરેલું કઠોર પડ આજે પીગળીને સરી ગયું છે એટલું બસ છે. એથી વધારે જોવાની જરૂર નથી. રસશાસ્ત્રીઓ માનતા હશે કે કરુણા કે વિષાદ શૃંગારનો વિરોધી ભાવ છે; પણ આપણા સાચા જગતમાં આ પરિસ્થિતિ કામદેવને જરા પણ ઓછી ગોચર નથી હોતી.

ઉપરનો બનાવ બન્યાને દોઢેક વરસ વીત્યા પછી માલતી પિયેરથી એક સુંદર પુત્રને લઈને આવી. સૂતેલા છોકરાને જોઈ શાન્તિએ માલતીને કહ્યું : “આનું નામ શું પાડશું?”

માલતીએ શાન્તિના ખભા ઉપર મોં નાખી દઈ, છુપાવી કહ્યું : “ક ઉપર કોઈ પણ નામ પાડો.”

કોદરે જ તેમને ઘેર ફરી જન્મ લીધો છે એમ માલતીએ લાગણીવશ થઈને કહ્યું હશે. કદાચ તેણે કે શાન્તિએ કોઈએ એ સાચું માન્યું પણ નહિ હોય. પણ આ જગત, જ્યાં માનવચૈતન્ય પણ જડ દેહને વળગી જડ થઈ જાય છે, જ્યાં સ્વજનો પણ એકબીજાને નથી સમજતાં, નથી સમજી શકતાં અને નથી સમજાવી શકતાં, ત્યાં આવા નવા સંબંધ સિવાય આ ત્રણ જીવાત્મા ભેગા થઈ શકે એમ નહોતું એટલું તો નક્કી !

[કોદરની વાર્તા પૂરી થતાં ધનુભાઈ બોલ્યા: “શાબાશ બહેન, વાર્તા બહુ સારી ઉઠાવી.” અને ‘ઉઠાવી’ શબ્દના શ્લેષ પર ભાર તરફ ધ્યાન ખેંચવા તેના પર ખાસ ભાર દીધો.

પ્રમીલા: પ્રમુખ સાહેબ, હજી મારી વાર્તા અધૂરી છે. વાર્તાનો વધારે રહસ્યમય ભાગ તો હજી હવે આવવાનો છે. માટે હજી ચુપકી જ જોઈએ.

ધીરુબહેન: અસ્તુ, વાર્તા પૂરી કરો ત્યારે તમે જ કહેજો કે પૂરી થઈ, ત્યાંસુધી કોઈ નહિ બોલે. પ્રમીલાએ કાગળ લઈ આગળ વાંચવા માંડ્યું.]

ધર્મપ્રસાદ વાંચી રહ્યા, અને કાગળ સંકેલીને પ્રેમકુંવર સામે જોઈ પૂછ્યું : કેમ બહેન, વાર્તા કેવી લાગી?

પ્રેમકુંવર : તમારી વાર્તાની પરીક્ષા મારે કરવાની નહોતી; ભાભીએ કરવાની હતી. કેમ ભાભી, તમને વાર્તા ગમી લાગતી નથી. કંઈ ઉલ્લાસમાં આવ્યાં દેખાતાં નથી.

ધર્મપ્રસાદ : વાર્તા તો ગમગીન કરે એવી છે એમ મેં પહેલેથી કહ્યું હતું, એટલે એ ગમગીન થઈ હોય તો મારી વાર્તા સફળ થઈ એમ હું ગણું.

ધીમતી : નહિ, હું ગમગીન નથી. પણ સાચું કહેજો, આમાં માલતીનું પાત્ર લખ્યું છે તે મારા ઉપરથી જ લીધું છે કે નહિ ! સાચ્ચું કહેજો.

પ્રેમકુંવર : અરે આ તે તમે શું બોલો છો ભાભી ? ‘હું તે એક વરને પરણી છું કે બેને ?’ એવું વાક્ય તમે બોલ્યાં હો એવું હું સ્વપ્ને યે માનું નહિ.

ધર્મપ્રસાદ : મારે તો માનવાનો પ્રશ્ન જ નથી. હું કહું છું કે એ કોઈ દિવસ એવું બોલી નથી.

ધીમતી : હું બોલી છું એમ નથી કહેતી. માલતીમાં તમે મારો જ સ્વભાવ કલ્પ્યો છે. કેમ ખરું કે નહિ ?

ધર્મપ્રસાદ : એટલે ઇબસેનની પત્ની જેમ તેનાં કેટલાંક પાત્રોમાં અમર થઈ છે, તેમ તારે પણ મારી કૃતિઓમાં અમર થવું છે એમ ને ?

ધીમતી : નહિ દીઠી હોય તમારી અમર કૃતિઓ ? મારું તો એમ કહેવું છે કે તમારામાં નવો સ્વભાવ કલ્પવા જેટલી સર્જકતા જ નથી. હું નજીક પડી, એટલે મારો સ્વભાવ લઈ ને લખો, બીજું શું કરો ?

પ્રેમકુવર : ભાભી, તમે ય જબરાં છો ! પોતાનો જ કક્કો ખરો કરાવવો કેમ ?

ધીમતી : નહિ, પૂછો. કહો, સાચ્ચું કહો.

ધર્મપ્રસાદ : વાત તો સાચી છે.

ધીમતી : કેમ બહેન, હું કેવી વરતી ગઈ !

ધર્મપ્રસાદ : એ તો તારી ગમગીની ટાળવા મેં હા પાડી!

આટલું વાંચી પ્રમીલાએ છેવટ એટલું પણ વાંચ્યું ‘રચનાર પ્રમીલા’ અને પછી કાગળો બંધ કરતાં બોલી: “લ્યો હવે તમે વાર્તા ઉપર ટીકા કરો.”

મેં કહ્યું : બહેન, આ ધનુભાઈની વાર્તા શી રીતે ચોરી એ જ વાત કરો ને.

પ્રમીલા : આપણા નિયમોમાં વાર્તાની ટીકા કરવાનું છે. તે કેમ મળી તેનો ઇતિહાસ કહેવાનું નથી.

ધનુભાઈ : સાંભળો ત્યારે, હું ટીકા કરું છું. એક સોની હતો તે મરવા પડ્યો.

પ્રમીલા : આ તો બીજી વાર્તા થાય છે, ટીકા નથી.

ધનુભાઈ : ટીકારૂપે વાર્તા કહેવાનો હક્ક છે. પહેલાં ટીકારૂપે મેહફિલમાં એક વાર્તા આવી હતી.

ધીરુબહેન : હા. વાર્તા પણ ટીકારૂપે કહી શકાય.

ધનુભાઈ : ત્યારે આગળ કહું છું. તે સોની મરવા પડ્યો પણ કેમે કર્યો જીવ જાય નહિ. તેના દીકરાએ કારણ પૂછ્યું. સોનીએ કહ્યું: ‘બેટા, મેં આજ સુધી ઓછાવત્તા સોનાની ચોરીઓ કરી છે. તું બધા સોનાની ચોરી કરવાનું પણ લે તો મારો જીવ ગતે જાય. દીકરાએ પાણી મૂક્યું ને સોનીનો જીવ ગયો. હવે રાજા ગુપ્તચર્યા કરવા નીકળેલો તેણે આ સાંભળ્યું ને તેને પારખું જોવાનું મન થયું. તેણે થોડા દિવસ પછી સોનીના છોકરાને દરબારમાં બોલાવ્યો ને સોનાનો મોટો હાથી ઘડવા દરબારમાં કામે બેસાડ્યો. તેના પર ચોકી મૂકી. આવતાં ય તપાસે ને જતાંય તપાસે. રાજાને એમ કે આખા હાથીની શી રીતે ચોરી કરશે ? બે વરસે હાથી ઘડાઈ રહ્યો. એટલે સોનીએ રાજાને કહ્યું : ‘મારે આ હાથી ગેરુથી ધોવો જોઈશે ને દાગીનો મોટો છે માટે પાણી પણ ઊંડું જોઈશે. એટલે આપનાં માણસો સાથે ગામને પાદર તળાવ છે ત્યાં મોકલાવો.’ રાજાએ તળાવમાં હાથી મુકાવ્યો. અને છઆઠ કલાક સુધી સોનીએ તેને ગેરુથી ખૂબ ઘસીને સાફ કર્યો. પછી રાજાના માણસો પાસે ઉપડાવી પાછો રાજમહેલમાં આણ્યો. હાથી આવી રહ્યા પછી રાજાએ તેને બોલાવીને બાપ પાસે લીધેલા પણની વાત પૂછી. સોનીના છોકરાએ કહ્યું: ‘રાજાજી, ગુનો માફ કરો તો કહું,’ રાજા કહે: ‘જા માફ. કહે.’ સોનીના છોકરાએ કહ્યું: ‘અહીં દિવસે જેટલો સોનાનો હાથી ઘડતો તેટલો જ રાત્રે છાનો મારે ઘેર પિત્તળનો હાથી ઘડતો. અહીં હાથી ઘડાઈ રહ્યો તે જ રાતે મારે ઘેર હાથી તૈયાર કરી રાતોરાત તળાવમાં મૂકી આવ્યો હતો. અને સોનાનો હાથી તળાવમાં મૂકી અહીં પિત્તળનો આણ્યો છે. આપને તપાસ કરાવવી હોય તો કરાવો. તળાવમાં આખો સોનાનો હાથી પડ્યો છે.” રાજાએ તપાસ કરાવી સોનાનો હાથી મગાવ્યો ને સોનીના છોકરાને એ હાથી બક્ષિસ કર્યો.

પ્રમીલા : આ પણ ટીકા હોય તો, વાર્તા કઈ રીતે લીધી તે વિશે છે. એ વિષય તદ્દન અપ્રસ્તુત છે.

મેં કહ્યું : એ વિષય તદ્દન પ્રસ્તુત છે. આપણા નિયમો પ્રમાણે વાર્તા કહે તે પાકો સભ્ય બને છે. આ વાર્તા ચોરેલી છે એટલે તેનો પ્રમીલાબહેનને લાભ ન આપી શકાય.

પ્રમીલા : પણ હજી સુધી ક્યાં કોઈએ કહ્યું છે કે વાર્તા ચોરેલી છે?

મેં કહ્યું : કેમ ધનુભાઈએ શું કહ્યું ત્યારે ?

પ્રમીલા : તમારી ભૂલ થાય છે, ધનુભાઈ તે કદી સાહિત્ય-ચોરીની વાત કરે ? અત્યાર સુધી મેં જ્યારે જ્યારે એવી વાત કરી છે ત્યારે ત્યારે તેમણે મારી મશ્કરી કરી છે ! હવે એ એવી વાત કરે તો માનસપૃથક્કરણશાસ્ત્રની દૃષ્ટિએ એમ સિદ્ધ થાય કે સાહિત્યચોરી પકડવાની વૃત્તિ એમનામાં ગૂઢ રીતે હતી માટે તે હમેશાં મારી એવી વૃત્તિની નિન્દા કરતા !

મેં કહ્યું : હાં, ત્યારે એનું સાટું વાળવા આ ચોરી કરી છે, એમ કે ?

ધીરુબહેન : પ્રમીલાબહેને કહ્યું છે તે ખરું છે કે જ્યાં સુધી માલિકે ચોરી થયાનું જાહેર નથી કર્યું ત્યાં સુધી એ મુદ્દા ઉપર પણ ચર્ચા નહિ થઈ શકે.

ધનુભાઈ : ત્યારે મેં સોનીની વાર્તા શા માટે કહી?

ધીરુબહેન : એ વાર્તા એ જ તમારું વક્તવ્ય છે?

ધનુભાઈ : ત્યારે નહિ ? !

ધીરુબહેન : બસ ત્યારે થયું. એ વાર્તામાં છેવટે રાજા હાથી બક્ષિસ કરે છે તે પ્રમાણે તમે પણ એ ચોરાયેલી વાર્તા બહેનને બક્ષિસ આપી એટલે એમને એ વાર્તા કહેવાનો હક્ક છે એમ હું ઠરાવું છું. અને તેમાં તમને કશું નુકસાન નથી. તમારે તો આમેય પેલી બે મિત્રોની વાર્તા લખવી જ છે. એ લખશો ત્યારે તમે પાકા સભ્ય થઈ શકશો.

ધનુભાઈ: આ પણ ભારે ન્યાય ભાઈ !