નળાખ્યાન/કડવું ૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કડવું ૪૭ નળાખ્યાન
કડવું ૪૮
પ્રેમાનંદ
કડવું ૪૯ →
રાગ વેરાડી.


કડવું ૪૮ મું – રાગ વેરાડી.

મૂર્ચ્છાથી મહિલા જાગી, પૂછ્યું ગોરને પાગે લાગી;
શકે છો ઘરના મુની, હા દીકરી કાં તું સુની.
દુર્બળ કોણ કારણે, દાસી માસીને બારણે;
ઓળખી નહિં તુંને માડી, મેં દેહીની કળા પાડી.
શું માસીએ દુઃખ દીધું, નાજી પાછળ કીધું;
નાથજીએ તને કાં મૂકી, હું નેટ કાંઇએક ચૂકી.
નથી બાઇ તું ચુકવાવાળી, નહીં તજે અન્યા ટાળી;
માતા પિતા જે તારાં, રોતાં હશે તે ચોધારાં.
પીયરથી આવ્યો સતી, શું પ્રગટ્યા નૈષધપતી;
હા નળની થઇ છે શોધ, મુજને દ્યો છો પ્રતિબોધ.

હા નિશ્ચય નળ પ્રગટ, છે વાણીમાહે કપટ;
છોરૂને છેહ કાં આપ્યાં, છતે બાપે થયા નબાપાં.
રાજમાતાજી એમ પૂછે, ઋષિ તારે ને એને શું છે;
એ કોણ કોને જાણેજી, એ તો તમારી ભાણેજી.
કેઇ ભાણેજી એ મારી, દમયંતી નળની નારી;
એ વાત તે કેમ નીપજી, ભરતારે એને કાં તજી.
ધૂત રમી ને નૈષધ હાર્‍યા, તે માટે વન પધાર્‍યા;
શું જાણીએ શ અકાજે, ત્યાજ કરી મહારાજે.
તું દમયંતી દીકરી,હા થઇ રહી કિંકરી;
સુણી માસી ધરણી ઢળી, સભા થઇ વ્યાકુળી.
સુદેવ કહે છે નાટ, એમ ભૂલ્યાં તે શ્યામાટ;
જે પોતાનું પેટ, તેને કેમ વિસરીએ નેટ.
હું વરાંસીરે બાપ, એમ માસી કરે વિલાપ;
ત્યાં થઇ રહ્યો હાહાકાર, સુદેવ કરે સૌને ધિક્કર.

વલણ.

સિદેવ કરે ધિક્કાર રે, ઓળખી નહીં સુંદરી સતીરે;
રાજકુંવર લાજ્યો ઘણું, રુએ અતિસે ઈંદુમતીરે.