નિત્ય મનન/પ્રકાશકનું નિવેદન

વિકિસ્રોતમાંથી
નિત્ય મનન
પ્રકાશકનું નિવેદન
ગાંધીજી
૧૩-૧૦-’૪૪ →



પ્રકાશકનું નિવેદન

રોજ રોજ મનન કરવા જેવા આ સુવિચારો ગાંધીજી, રોજ એક એક કરીને, તા. ૨૦–૧૧–’૪૪થી શરૂ કરી, લગભગ બે વરસ સુધી નિયમથી લખતા હતા. આમ લખવાની શરૂઆત તેમણે શ્રી હિંગોરાણી કરીને એક ભાઈ ઘરભંગના દુઃખથી ઘવાયા હતાં તેમના મનની શાંતિ નિમિત્તે કરી હતી.

શરૂમાં તા. ૧૩–૧૦–’૪૪થી થોડા દિવસ સુધી આ રીતે તેમણે એક એક સુવિચાર લખ્યો; પછી ૨૦-૧૧-’૪૪થી તે રોજ લખવાનો નિયમ લીધો; અને પોતે નોઆખાલી ગયા ત્યારે અનેક નાનાં મોટાં કામ છોડી ત્યાંના જ એકમાત્ર કામમાં લીન થયા, તેથી આ નિયમ પણ છૂટ્યો હતો.

આ વિચારોમાંથી (તા. ૨૦–૧૧–’૪૪થી ૧૯-૪-’૪૫ સુધીનો) પહેલો હપતો શ્રી હિંગોરાણીએ મૂળ હિંદીમાં છપાવ્યો છે. મૂળ હિંદી સાથે તેના ગુજરાતી અનુવાદ અહીં પ્રસિદ્ધ કર્યો છે, જેથી તેની સસ્તી નકલ સૌને મળી શકે.

આ વિચારોમાં ત્રણ જગ્યાએ ગાંધીજીએ અમુક હિંદી ભજનોનો ઉલ્લેખ કર્યો છે, તે ભજનો પરિશિષ્ટમાં ઉતાર્યાં છે. ઉપરાંત, તા. ૨૦–૧૧–’૪૪થી નિયમ લેતા પહેલાં, તા. ૧૩-૧૦-’૪૪થી ૧૬-૧૧-’૪૪ સુધીમાં છૂટક તારીખોએ વિચારો લખવાના શરૂ કરેલા, તે પણ શરૂનાં પાનાંના ક્રમાંકમાં આપવામાં આવ્યા છે.

૧૫-૨-’૫૨