‘ઉત્તુંગ નથી. તારી માગણીનો સ્વીકાર કરવો મુશ્કેલ છે. ધર્માધ્યક્ષ
બોલ્યા.
‘ઉત્તુંગ જતાં નાગલોકનું પુરુષાતન અદૃશ્ય થઈ ગયું શું ? હું તમારી
તર્ફે ના કહી શકીશ.' ઉલૂપી બોલી.
‘માત્ર ના કહેવામાં લાભ છે કે કેમ તેનો પૂર્ણ વિચાર કરજો' સુબાહુ
બોલ્યો.
‘સુબાહુને સાથ આપવામાં મને તો કાંઈ વાંધો લાગતો નથી. આપણે
આર્ય બનતા નથી. નાગ રહી આર્યોના સમુદ્રવીરોને આપણે સહાય
આપીએ છીએ.' એક મંત્રીએ કહ્યું.
‘પરંતુ એ મૈત્રીમાંથી આપણે આર્ય બની જઈશું તો ?' ધર્માધ્યક્ષે
કહ્યું.
‘આપણામાં શક્તિ નહિ હોય તો મૈત્રી વગર પણ આર્ય બનીશું.’
ઉલૂપી બોલી.
‘સંઘપતિને આર્ય બનવાની બહુ હોંશ છે.' એક મંત્રીએ ધીમી ટીકા
કરી.
અને એ હોંશ કોને નથી ? ઉત્તુંગનીયે પહેલાં તારા જેવા અનેક નાગ
વારાણસી અને અવન્તીના ગુરુકુલોમાં રહેતા નહિ ?' ઉલૂપી બોલી.
‘આર્ય બનવું કે નહિ એ આખા નાગસંઘનો પ્રશ્ન છે. અત્યારે તો
વિંધ્યશ્રેણીના નાગજનપદે સુબાહુ અને સુકેતુ સાથે મૈત્રી રાખવી કે કેમ
એનો નિર્ણય કરવાનો છે.' બીજા મંત્રીએ કહ્યું.
‘સંધિ તો છે જ. મૈત્રીમાં તે સ્ફુટ થાય તો હરકત નથી.’ એક જણે
કહ્યું.
‘ભય પામીને નહિ ! સરખા બનીને મૈત્રી કરીએ.' ઉલૂપી બોલી.
‘હું પણ એ જ માગું છું. જેમ વિંધ્યવનરાજિ મારી મૈત્રી કરે તેમ
સાગર અને સાગરદ્વાર તમારી મૈત્રી સાધશે. તમારા વનકાષ્ટ વનસ્પતિ
ખુશીથી પરદેશ જશે, અને પ્રદેશની પ્રાપ્તિ જલમાર્ગે તમારે ત્યાં આવશે.’
સુબાહુ બોલ્યો.
‘પરંતુ સુકેતુને તો ભૂમિભૂખ પણ લાગી છે.' એક મંત્રીએ કહ્યું.
‘ા. સમુદ્રને ભૂમિનો ટેકો તો જોઈએ જ.' સુબાહુએ કહ્યું.
‘પણ સમુદ્રને તો આખા ભારતવર્ષનો ટેકો છે. તારે આખું ભારતવર્ષ
તો નહિ જોઈએ ને ?’ કોઈએ પૂછ્યું.
‘મારા શબ્દ સમજી લો. હું ભૂમિ નહિ, ભૂમિનો ટેકો માગું છું.'