“એ... પણે બાપુ આવે”
“જા જા, ઝટ ચોપડી લઈને બેસી જા. નહિતર બાર વાગ્યા સમજજે !”
“એલા આ તારા જોડા રસ્તામાંથી ઉપાડી લે; બાપુ ભાળશે તો લગાવશે.”
“કોણ, બાપુ આવે છે કે ? ચાલ મને ઝટઝટ હાથ ધોઈ લેવા દે. કહેશે કે ગારાવાળા કેમ કર્યા ?”
“એ રૂખી, સરખું ઓઢ; જો બાપુ દેખાય. કાલે કાન ખેંચ્યો હતો તે ભૂલી ગઈ ?”
“એલા મૂકી દે ઈ બાપુની ચોપડી. બાપુએ નો'તું કીધું કે જો કોઈ અડ્યા છો તો....!
તમને શું લાગે છે ?
શિવજીભાઈ બહુ કડક હતા. ઘરમાં ચાર છોકરાં: રતુ, અમૃત, ધીરી ને છબલ. ચારે છોકરાં એમનું નામ સાંભળીને ધ્રૂજે. શિવજીભાઈને ઘેર આવવાનો વખત થાય ત્યાં તો સૌ પાઠ કરવા બેસી જાય. કોઈ ચૂં કે ચાં ન કરે. શિવજીભાઈ ઘરમાં રહે ત્યાં સુધી સૌ ડાહ્યુંડમરું. જ્યાં શિવજીભાઈ બહાર ગયા કે કૂદાકૂદ, ધક્કંધક્કા, ગમ્મતરમત, નગંનાચા. ચોપડી તો હાથમાં યે કોણ લે ?
શિવજીભાઈ મનમાં એમ સમજતા હશે કે છોકરાં કેવાં ડાહ્યાં અને કામઢાં છે ?