ખુશીથી બેસવા ઉઠવા ઇચ્છતો. આ સમયથી તે દરબાર સાથે જોડાયો અને
એની અને અકબરની વચ્ચે અન્યોન્યને માટે આદરસન્માન અને સદ્ભાવ
ઉપર સ્થપાયેલી–જીવિતના આનંદ જેવી શુદ્ધ, મૈત્રી બંધાઈ. અબુલફઝલને અકબર જેવો એક યોગ્યતમ શિષ્ય મળ્યો. શિકારના આનંદને સમયે, રાજ્યની ચિંતાને સમયે કે યુદ્ધના શ્રમને સમયે પણ એના આ પ્રિયતમ મિત્રની અને એને હરાવવા પ્રયત્ન કરતા મુસલમાન ધર્માધ્યક્ષો અને શાસ્ત્રીઓની વચ્ચે થતા વિવાદોનું શ્રવણ કરવાના જેવો બીજો વિશ્રામ અકબરને સારો લાગતો નહતો. આ સંવિવાદો એ એના રાજ્યનો એક અગત્યનો બનાવ હતો. એમના સંબંધી કાંઈક સૂક્ષ્મ વિવેચન કર્યા વિના અકબરનો સ્વભાવ નહીં સમજી શકાય. સર્વેના ઉપર સમાનભાવ અને સર્વે માટે સમાન રાજ્યનીતિ, જેના પ્રવર્તનનો સમય હિંદના ઇતિહાસમાં એક અગત્યના યુગ જેવો થઈ ગયો છે, તે ધોરણોનું ગ્રહણ અકબરે કાંઈ એકદમ કર્યું નહતું. પોતાના રાજ્યના પ્રથમનાં વીસ વર્ષમાં પોતાની સત્તા સ્થિર રાખવાને એને વિજયો મેળવવા પડ્યા હતા. બિહાર બંગાળ અને ઓરીસા તથા ખાનદેશ અને ગુજરાત સહિત પશ્ચિમ હિંદુસ્તાનના દેશોના પદભ્રષ્ટ કરેલા વંશના પુરુષો લાગ શોધતા બેસી રહ્યા હતા. તે વખતે શાન્ત થઇને બેસી રહેવું એ સામા થવાને તેડું મોકલ્યા બરાબર હતું. આગળ વધ્યે જવાની એને ફરજ પડી. પૂર્વનો અનુભવ અને તેની દૃષ્ટિ નીચે રોજરોજ બનતી બીનાઓએ એક સરખી રીતે સાબિત કરી આપ્યું હતું કે જો અંદરની શાન્તિનો હિંદને કોઈ દિવસ અનુભવ કરાવવો હોય તો માત્ર એકજ સર્વોપરિ સત્તા–જરૂરની છે.
આ વીસ વર્ષની દરમિયાન અકબરને ફુરસદ તો ઘણી મળતી હતી. તે પોતાની હજુરના માણસો સાથે જીતાયલા દેશો બધા લોકોના સદ્ભાવથી સ્થિર રહી શકે એવી રાજ્યપદ્ધતિ સ્થાપવાના વિચાર કરવામાં ગાળતો. જુની પદ્ધતિ સાંપ્રતમાં પ્રતિકૂળ છે એમ તો એણે પોતાના મન સાથે નક્કી કર્યું હતું. જુદા જુદા ઈલાકાઓમાં કાયમનું લશ્કર રાખીને હિંદુસ્તાનનો કબજો રાખવો અને દેશના વતનીઓના મનોભાવ અને તેમના