પ્રોફેસર બ્લોકમાન લખે છે કે અકબર અહંકારી અને મિથ્યાભિમાની મનુષ્યો ઉપર કોઈ દિવસ ક્ષમાની નજરથી જોતો નહીં; અને બધી જાતના મિથ્યાભિમાનમાં વિદ્વત્તાનું મિથ્યાભિમાન તે બહુજ ધિઃકારતો. એ વિદ્યા અને વિદ્વાનો ઉપર અપ્રીતિ રાખતો એવી તેના આવા નિશ્ચયથી નુકસાન પામેલા વર્ગની ફરિયાદનું આજ કારણ છે. ખરૂં જોતાં એમ કંઈ ન હતું. હિંદુરતાનમાં ખરી વસ્તુને ઉત્તેજન આપનાર કોઈ બાદશાહ આના જેવો થઈ ગયોજ નથી. આ વિષયમાં હિંદના હાલના રાજ્યકર્તાઓ એનું અનુકરણ કરે તો તે ઘણું ફાયદાકારક થાય. તે વખતમાં ઇતિહાસવેત્તાઓમાં સર્વથી કુશળ અગાધ શક્તિવાળો અને શોધકબુદ્ધિવાળો ખાંન–ઈ–આઝમ–મીરજાં નામનો અકબરની વ્હાલી આયાનો એક પુત્ર ઘણો વખત જુના ઇસ્લામ ધર્મને મજબૂતીથી વળગી રહ્યો હતો અને અકબરના નવા ધર્મને ધિઃકારતો અને ફૈઝી તથા અબુલફઝલની હાંસી કરતો. એણે વળી તેઓ ઢોંગી છે એમ ધારી એમનાં નામ પાડ્યાં હતાં. પણ આગળ ઉપર એને મક્કાની યાત્રાએ જવાનો પ્રસંગ આવ્યો ત્યારે ત્યાંના ધર્માધ્યક્ષોએ એવો નીચાવી નાંખ્યો કે ઇસ્લામ ધર્મ ઉપરનો તેનો પ્રેમ અજાણ્યેજ શાન્ત થઈ ગયો. આગ્રે આવ્યા પછી તેણે ‘બાદશાહી–ધર્મ’ સ્વીકાર્યો. તે કવિતા સારી લખતો અને બોલવાચાલવાની સરળતા તથા બુદ્ધિને માટે વખણાતો. એનાં ઘણાં સૂત્રોમાંનું એક આ સૂત્ર આપણને મળ્યું છે.
“માણસે ચાર સ્ત્રીયો પરણવી જોઈએ. એને કોકની સાથે વાત કરવા “જોઇએ માટે ઈરાની સ્ત્રી: ઘરકામ સારૂ ખોરાસાની: પોતાનાં બચ્ચાં “ઉછેરવા સારૂ હિંદુ: અને તર્કીસ્તાનમાં આવેલા મરવાન્હારની સ્ત્રી (બીજી “ત્રણેને ચેતવણી આપવા સારૂ માર ખાય એવી) પરણવી જોઈએ.”
અકબરની નોકરીમાં સમર્થ સરદારો અને ઉદાર પુરૂષોમાં એના પૂર્વના અતાલીક બેરામખાંનો પુત્ર મીરઝાં અબદુરરહીમ હતો. તેણે કેટલાંક વર્ષ સુધી ‘ખાનખાનાન’ એટલે કમાન્ડર–ઈન–ચીફ–નો અધિકાર ભોગવ્યો હતો. પણ તે જેવો રણમાં શૂરો હતો તેવો જ વિદ્વાન હતો. એણે તુર્કી ભાષામાં લખેલી બાબરની તવારીખ જેને અબુલફઝલે– ‘વ્યાવહારિક ડાહાપણનો સંગ્રહ