ખાસ માહાત્મ્ય હોય છે; અને એવાં મંદિરો હિંદુસ્તાનના દરેક પ્રાંતમાં આવી રહેલાં છે. યાત્રાળુઓને કરવાની મુસાફરી ઘણી વાર બહુજ લાંબી અને કંટાળા ભરેલી હોય છે, અને ઘણું કરી પુણ્યનું પ્રમાણ યાત્રાની લંબાઈના પ્રમાણમાં વધતું ઘટતું હોય છે. અકબરની પૂર્વના અફઘાન રાજાઓએ આ યાત્રાઓને એક મોટું અને સદાસર્વદાનું ઉપજનું મૂળ માન્યું હતું અને તેમણે યાત્રાળુઓ ઉપર સહુ સહુના કહેવાતા અથવા નક્કી થયેલા ગજા પ્રમાણે એક વેરો નાંખ્યો હતો.
અબુલફઝલ કહે છે કે આ વેરાની ઘણી ઉપજ હતી તેમાંથી પ્રતિવર્ષ લાખો રૂપીયા ઉપજતા. હિંદુઓના ધર્મ પ્રમાણે અથવા એ ધર્મના આચાર્યો બ્રાહ્મણોના મત પ્રમાણે યાત્રા એ સર્વ હિંદુને માથે એક નિયત કર્તવ્ય હતું. અકબરે વિચાર કર્યો કે તેઓ કેટલી કેટલી અગવડો વેઠતા વેઠતા અને પગે પડતા પડતા સેંકડો ગાઉની મુસાફરી કરે તેટલા માટે રાજ્ય એને લૂટે એ શું ? આ બાબતમાં હિંદુ પ્રજાની મનોવૃત્તિ અકબરને કાને તરતજ પહોંચી. આ વેરાને મહેસૂલના સહેલામાં સહેલું મૂળ જેઓ માનતા તેમણે એવી દલીલ રજુ કરી કે યાત્રા કરવી એ એક નિરર્થક વહેમ હિંદુ લોકોમાં ભરાયેલો છે તે તેઓ કોઈ દિવસ છોડવાના નથી, એટલે આ મહેસુલની વસુલાત ચોકસ અને ચાલુ હોવાથી, આવો કર ઘટાડી નાંખવો એ યોગ્યનીતિ નથી. આ વેરો લોકસમૂહના વહેમ ઉપર છે અને હિંદુ લોકો ઘેર રહે તો એમાંથી મુક્ત થઈ શકે એટલું તો અકબરે કબુલ રાખ્યું. પરંતુ એણે એવો વિચાર કર્યો કે–યાત્રા એ હિંદુ ધર્મનું એક અંગ છે એટલે કે ઈશ્વરનું ભજન કરવાનો એક રસ્તો છે, તો જેને તે લોક એક ઈશ્વરી આજ્ઞા તરીકે માને છે તેને વશ રહેવામાં જરા પણ વિઘ્ન નાંખવું એ ખોટુંજ છે. આમ સમજી એણે એ વેરો રદ્દ કર્યો.
એજ રીતે મુસલમાન બાદશાહોએ ઇતર ધર્મવાળાઓ ઉપર નાંખેલા જઝીઆ વેરાનું પણ બન્યું. આ વેરો હિંદના અફઘાન બાદશાહોએ એમના મુસલમાન રાજ્યની સ્થાપનાના આરંભમાંજ નાંખ્યો હતો. જેમને આ વેરો આપવો પડતો એને આ વેરા જેવો બીજો એક પણ વેરો કઠણ લાગતો