પણ સંબંધ વિનાનું એક અમુક સંખ્યાનું બાદશાહી લશ્કર પણ રહેતું હતું. બાદશાહી એટલે આ લશ્કરનો પગાર સુલતાનને આપવાનો અને આની સરદારી સુલતાને નીમેલા અમલદારના હાથમાં રહેવાની. આ અમલદાર ઘણે અંશે સ્થાનિક સુબાથી સ્વતંત્ર હતો અને તે બાદશાહને સીધો જવાબદાર હતો.
વાતમાં તો ઇન્સાફની વ્યવસ્થા પરિપૂર્ણ હતી કારણ કે રાજ્ય કાયદાને વશ છે એ મુસલમાન ધોરણને અનુસારે ઈન્સાફ અપાતો હતો. ઈન્સાફ કરનારા કાજી લોકો હતા. અને તે ઈન્સાફ કુરાનને અનુસારે કરેલા ફેંસલાઓ એકઠા કરીને તારવી કહાડેલા એક સંગ્રહને અનુસરીને અપાતો. દીવાની એટલે કે રાજ્યની સલામતી સાથે કોઈ સંબંધ ન હોય એવાં કામો કાજી ચૂકવતા. પણ ફોજદારી કામો એવાં માણસો પાસે જતાં કે જેમની કામ કરવાની રીત ખરી રીતે બીલકુલ અચોકસ હતી અને જેઓ બાદશાહના નીમેલા અને બાદશાહના પગારદાર હોઈ કોઈ કોઈ વાર કાજીની સત્તામાં દરમિયાનગિરી કરતા હતા. તે પણ લોકોના સામાન્ય સંતોષ ઉપરથી બધું જોતાં આટલું બીનશક કહી શકાય કે ઇન્સાફ લોકોને સંતોષ રહે એમ અપાતો. કાળે કરીને પહેલવહેલા મુસલમાન આગન્તુકોના કુટુંબોનાં અને હિંદુ વતનીઓનાં હિતાહિત એક થઈ ગયાં હતાં અને તેઓ બન્નેને જે કાંઈ રક્ષણ થઈ શકે એવું રક્ષણ મેળવવા માટે, કાયદા સામું જોવાનું હતું.
ઘણી લડાઈઓ છતાં પણ લોકોની સામાન્ય સ્થિતિ–લોકોના લેખો ઉપર વિશ્વાસ રાખીએ તો, બહુ આબાદ હતી.
આપણે જે રાજ્યકારભાર ઉપર વિચાર કરવાનું કરીએ છીએ તેના સંબંધમાં આટલું આ ઠેકાણે જણાવવું અવશ્યનું છે કે હિંદુસ્તાનમાં પૂર્વે થઈ ગયેલા અફધાન બાદશાહોએ ચલાવેલા રાજ્યતંત્રમાં બાબર કે હુમાયૂં કોઇએ કાંઈ ફેરફાર કર્યો નહતો. બાબર તેમના કરતાં વધારે સ્વાશ્રયી રાજ્યનીતિના પરિચયવાળો હતો. ફરઘાના, સમરકંદ કે કાબુલ જ્યાં હોય ત્યાં રાજધાનીમાં પોતે સર્વોપરિ ધણી હતો એટલું જ નહિ પણ પોતે નીમેલા બહારના ઈલાકાના સુબાઓનો પણ પોતેજ શિરોમણિ હતો. આ સુબાઓ, આ જાગીરદારો અથવા જીલ્લાઓના સરદારો પોતપોતાની હદમાં સ્વતંત્ર