આવતા એટલે ૧૫૮૨ ના વરસમાં પોતાના ભાઈ મહમદ હકીમ
મીરઝાએ કાબુલથી કરેલી ચઢાઈને પાછી હઠાવવા માટે અકબર પોતાના લશ્કરની સાથે પંજાબમાં ગયો. અકબર પાણીપત પહોંચ્યો ત્યાર પહેલાં બળવાખોર ભાઈ લાહોર આવી પહોંચ્યો હતો. પણ અકબર ચઢ્યો છે એ સમાચાર સાંભળી તેના મનમાં એમ ખાત્રી થઈ કે મારી સવારી નિષ્ફળ જશે. એટલે એ લાહોરથી પાછો હઠ્યો અને તેણે કાબુલ આગળ પડાવ નાંખ્યો. અકબર સરહીંદ, કલાનોર અને રોતાસને રસ્તે એની પાછળ પડ્યો. પછી હાલ જ્યાં અટક છે તે જગા આગળ સિન્ધુ નદી ઓળંગતી વખતે ત્યાં આગળ એક કિલ્લો બાંધવાનો હુકમ આપતો ગયો.
પછી તે પેશાવર તરફ ગયો અને ત્યાંથી પોતાના શાહજાદા મુરાદની સરદારી નીચે લશ્કરના એક વિભાગને કાબુલ સર કરવા માટે મોકલ્યું. મુરાદ જુવાન હતો. ઊંચો અને પાતળો હતો, રંગે કાળો હતો પણ દારૂનો વ્યસની હતો. અને વ્યસનના પરિણામમાં એ અને એનો ભાઈ શાહજાદો દાનીયાલ આખરે મરણ પામ્યા. બહુજ ત્વરાથી ચાલતાં તે પોતાના કાકાને ખુદ કાબુલ આગળ ભેટ્યો અને ત્યાં તેનો પૂર્ણ પરાભવ કર્યો. અકબર એની સાથે મદદ સારૂ સૈન્ય લઈને તેની પાછળ પાછળજ આવતો હતો અને તેના પછી ત્રણે દિવસે કાબુલમાં દાખલ થયો. ત્યાં ત્રણ અઠવાડીયાં રહ્યો. પોતાના ભાઈને માફી બક્ષી અને ત્યાંનું રાજ્ય તેનેજ સોંપી પોતે ખૈબરને રસ્તે લાહોર આવ્યો અને પંજાબના રાજ્યનો બંદોબસ્ત કરીને દિલ્હીને રસ્તે ફતેહપુર સીક્રી આવ્યો. ઈતિહાસકારો લખે છે કે આ વખતે એ ઇન્સાફ કરતો, ઈનામો આપતો, અને લોક હિતના કામની વ્યવસ્થા કરતો. થોડોક વખત ફતેહપુર સીક્રી રહ્યો.
આવતું વરસ આખું એ અહીંયાં રહ્યો એ સ્પષ્ટ છે. બંગાળામાં હજી બળવો ધુંધવાતો હતો. પણ બાદશાહના ત્યાંના પ્રતિનિધિ બહુ સમર્થ અમલદારો હતા. તેઓ વારંવાર બધી હકીકત જાહેર કરતા અને તેટલી જ વાર તે પણ તેમને સૂચનાઓ લખાવી મોકલતો. આ વખતની બેદીલી બહુ ગંભીર ન હતી. પણ એનાથી હેરાનગતી બહુ પહોંચતી અને મહેસુલ ઉઘરાવવામાં બહુ નડતી.