એટલે ચાર માણસનો હાલ ખર્ચ રૂા. ૩ર થાય અને છ નો રૂા. ૪૪ થાય; અને તેટલી આવક જો તેમને અપાવવી હોય તો તેમને જુલાઈના દર ઉપર ઓછામાં ઓછા પચાસ અને વધારેમાં વધારે સો ટકા મળવા જોઇયે.
૨. મીલો કેટલા ટકા આપી શકે ?
ઉપરની હકીકત ઉપરથી જણાશે કે કારીગરોને તેમના ગુજરાનને માટે હાલના મોંઘવારીના સમયમાં જુલાઈ મહિનાના પગાર ઉપર ૫૦ ટકા જેટલો વધારો મળવો જોઇયે. એટલે જો જુલાઈ મહિનાની તેમની આવક રૂા. ૨૨ની ગણીયે તો હાલમાં તેમને ઓછામાં ઓછા રૂા. ૩૩ મળવા જોઈએ. પરંતુ આટલો વધારો મીલો આપી શકે કે નહિ એ પણ વિચારવાની જરૂર છે. કારણ કે જે ઉદ્યોગમાંથી કારીગરોને તેમની રોજી મળે છે એ ઉદ્યોગમાં કંઈ પણ કસ ન રહે એટલી મજુરી તો કારીગરો ન જ માગી શકે. પરંતુ હાલના સમયમાં આ ૫૦ ટકાની માગણી કોઈ પણ રીતે વધારે પડતી નથી, એ નીચેની હકીકત ઉપરથી સમજાશે.
જુલાઈ મહિનામાં સુતરનો ભાવ રતલે બાર અના હતો અને તે સાથે વણાટનો ખર્ચ રતલે ૬ આના જેટલો હતો. એટલે રતલ સુતરનું કાપડ એક રૂપીયે બે આને તૈયાર થતું. એ કાપડની બજારકિંમત રતલે રૂા. ૧-૫-0 હતી. એટલે મીલોને રતલે રૂા.-૦-૩-૦ નફો રહેતો; અને સાળ દીઠ ૧૦ રતલ સુતર હોઈ બે સાળ ઉપર તેમને રૂા.-૩-૧૨-૦ જેટલો નફો મળતો. તે