પૃષ્ઠ:Anashakti Yog.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ક્રોધમાંથી મૂઢતા પેદા થાય છે, મૂઢતામાંથી ભાન ભુલાય છે ને ભાન જવાથી જ્ઞાનનો નાશ થાય છે અને જેના જ્ઞાનનો નાશ થયો તે જાતે જ નાશ પામે છે. (તેની સર્વ પ્રકારે અધોગતિ થાય છે.) ૬૩.

પણ જેનું મન પોતાના કાબૂમાં છે અને જે રાગદ્વેષરહિત એવી તથા પોતાને વશ વર્તનારી ઇન્દ્રિયોથી (ઘટતા) વિષયોનું ગ્રહણ કરે છે તે પુરુષ ચિત્તની પ્રસન્નતા મેળવે છે. ૬૪.

ચિત્તની પ્રસન્નતાથી એનાં બધાં દુઃખો ટળે છે અને પ્રસન્નતા પામેલાની બુદ્ધિ તરત જ સ્થિર થાય છે. {{float right| ૬૫.

જેને સમત્વ નથી તેને વિવેક નથી, ભક્તિ નથી. અને જેને ભક્તિ નથી તેને શાંતિ નથી. હવે જ્યાં શાંતિ નથી ત્યાં સુખ ક્યાંથી જ હોય ? ૬૬.

વિષયોમાં ભટકતી ઇન્દ્રિયોની પાછળ જેનું મન દોડી જાય છે તેનું એ મન - વાયુ જેમ પાણીમાં નૌકાને તાણી લઈ જાય છે તેમ - તેની બુદ્ધિને ગમે ત્યાં તાણી લઈ જાય છે. ૬૭.

૨૫