પૃષ્ઠ:Anashakti Yog.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેથી હે મહાબાહો ! જેની ઇન્દ્રિયો ચોમેર વિષયોમાંથી નીકળીને પોતાના વશમાં આવી ગયેલી હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. ૬૮.

જે ટાણે સર્વ પ્રાણી સૂતાં હોય છે તે ટાણે સંયમી જાગતો હોય છે અને જેમાં લોકો જાગતા હોય છે તેમાં જ્ઞાનવાન મુનિ સૂતો હોય છે. ૬૯

નોંધ : ભોગી મનુષ્યો રાત્રિના બારએક વાગ્યા સુધી નાચ, રંગ, ખાનપાનાદિમાં પોતાનો સમય ગાળે છે ને પછી સવારના સાતઆઠ વાગ્યા સુધી સૂએ છે. સંયમી રાત્રિના સાતઆઠ વાગ્યે સૂઈ મધરાતે ઊઠી ઈશ્વરનું ધ્યાન ધરે છે.

વળી જ્યાં ભોગી સંસારનો પ્રપંચ વધારે છે ને ઈશ્વરને ભૂલે છે ત્યાં સંયમી સંસારી પ્રપંચથી અણજાણ રહે છે ને ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે. એમ બેના પંથ ન્યારા છે એમ આ શ્લોકમાં ભગવાને સૂચવ્યું છે.

બધેથી સતત ભરાતાં છતાં જેની મર્યાદા અચળ રહે છે એવા સમુદ્રમાં જેમ પાણી સમાઈ જાય છે તેમ જે મનુષ્યને વિશે સંસારના ભોગો શમી જાય છે તે જ શાંતિ પામે છે, નહીં કે કામનાવાળો મનુષ્ય. ૭૦.

૨૬