પૃષ્ઠ:Anashakti Yog.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ જ્ઞાન તું તત્વને જાણનારા જ્ઞાનીઓની સેવા કરીને અને નમ્રતાપૂર્વક વિવેકથી ફરી ફરી પ્રશ્નો કરીને જાણી લેજે. તેઓ તારી જિજ્ઞાસા તૃપ્ત કરશે. ૩૪.

નોંધ: જ્ઞાન મેળવવાની ત્રણ શરતો - પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા- આ યુગમાં ખૂબ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. પ્રણિપાત એટલે નમ્રતા, વિવેક; પરિપ્રશ્ન એટલે ફરી ફરી પૂછવું તે; સેવા વિનાની નમ્રતા ખુશામતમાં ખપવાનો સંભવ છે. વળી જ્ઞાન શોધ્યા વિના નથી સંભવતું, એટલે ન સમજાય ત્યાં લગી શિષ્યે ગુરુને નમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછ્યા કરવા એ જિજ્ઞાસાની નિશાની છે. એમાં શ્રદ્ધાની જરૂર છે. જેને વિશે શ્રદ્ધા ન હોય તેની તરફ હાર્દિક નમ્રતા ન હોય; તેની સેવા તો ક્યાંથી જ હોય ?

તે જ્ઞાન પામ્યા પછી હે પાંડવ ! તને ફરી આવો મોહ નહીં થાય; તે જ્ઞાન વડે તું ભૂતમાત્રને પોતાને વિશે અને મારે વિશે જોઈશ. ૩૫.

નોંધ: 'યથા પિંડે તથા બ્રહ્માંડે 'નો આ જ અર્થ. જેને આત્મદર્શન થયું છે તે પોતાના આત્મા અને બીજાની વચ્ચે ભેદ નથી જોતો.

૫૩