પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
અપરાધી
 


“મારું માનવું આમ છે.” પંડિતસાહેબ ઊઠીને ટટાર થઈ બેઠા બેઠા બોલ્યા, “કે આખો મામલો અતિશય શોચનીય છે, તિરસ્કારને પાત્ર છે. પણ એ બાઈએ જો ગુનો કર્યો જ હોય, ને તમે એ ગુનામાં બિલકુલ કશું જાણતા ન હો, તો એના કરેલા ગુનાને માટે તમે બિલકુલ જવાબદાર નથી. તમારે તો તમારી ફરજ અદા કર્યે જવાની છે. શા માટે નહી ? તમે આમાં સંડોવાયેલ વ્યક્તિ છો માટે ? કાંપ જેવા નાના શહેરમાં, અરે, રાજકોટમાં ને મુંબઈમાં પણ, ન્યાયાધિકારી એક યા બીજી રીતે અનેક મુકદમાઓમાં સંડોવાયેલ વ્યક્તિ નથી હોતા શું ? એનાં સગાં-સ્નેહી-સંબંધીઓને લગતા કેસો એમની પાસે નથી આવતા શું ?”

“પણ મને ડર…”

“ડર ? શાનો ડર ? જાહેર પ્રજાનો ? એ ડર તો આ કેસ ઉપર બેસવામાં નહીં, પણ નહીં બેસવામાં છે. તમે આજે સ્મશાને પણ ગયા ને જો અદાલતમાં નહીં બેસો તો લોકો વધુ ગુસપુસ નહીં કરે ? કારણો નહીં કલ્પે ?”

“પણ એ છોકરી મને જોઈને…”

“છોકરી જો ગુનેગાર હોય, ને આજ સુધી જીભ ચૂપ કરીને બેઠી છે, તો મને લાગે છે કે છેવટ સુધી ચૂપ જ રહેવાની.”

શિવરાજ જાણે કોઈ બંધિયાર જગ્યામાં પુરાયેલો હતો તેમાંથી ખુલ્લી હવામાં આવ્યો.

“અને,” પંડિતસાહેબે ફરી પાછા ખુરશી પરથી ઊઠીને પૂછ્યું, “મારો પણ કંઈ વિચાર કરશો ને !”

“જરૂર.”

“તો બસ, મારી માગણી આટલી જ છે તમારી ફરજ અદા કર્યે જાઓ.”

“એક બીજા માનવીનો પણ વિચાર કરવાનો રહે છે.” છેવટ સુધી પોતાનું હૃદયસંશોધન કરતા રહેલા શિવરાજે થોડી વારે કહ્યું.

“કોણ બીજું ?”

“જેનું નામ પણ આ કિસ્સામાં લેતાં પાપમાં પડાય છે તે સર…સ્વતીબાઈ.”

“સરસ્વતીને વળી આમાં કાં સંડોવો, ભાઈસાહેબ ?”

“એ મૂળ અપરાધીની શોધ કરે છે એમ આપ કહો છો. કેસ ચાલ્યા પહેલાં જ એને સાચો પત્તો મળે તો ? તો મારો ન્યાય એને કેવો લાગશે ? છોકરી છૂટી જાય તો એ તો માનશે કે મેં જ મારો અપરાધ છુપાવવા એને છોડી. ને છોકરીનો કેસ હું કમિટ કરું તો તો તે પછી અમારા બેઉનાં જીવનમાં શો રસ રહેવાનો ?”

એના શબ્દોમાં ગદ્‌ગદિત ઊર્મિઓ હતી. છતાં પંડિતસાહેબે તો શુષ્ક અધીરાઈ ધરીને કહ્યું : “પાણી આવ્યા પહેલાં જોડા શીદ ઉતારો છો ? બીજી લપ છોડો, કાયદેસર ફરજ બજાવો !”

કહીને ડેપ્યુટી ઊઠ્યા ને જતાં જતાં કહેતા ગયા : “ભલા થઈને આ બધું સરસ્વતી આગળ બબડશો નહીં. મારા આખરી દિવસોને માથે છૂરી ફેરવશો નહીં. વેદિયાવેડા છોડો, હવે જિંદગીમાં જવાબદારી લેવાની છે.”

બંગલાના કમ્પાઉન્ડને દરવાજે શોર સંભળાયા :

“છોટાસાહેબની જય ! ન્યાયની જય ! ગરીબની જય !”

એ જયઘોષણા કરનારું એક નાનું એવું સરઘસ-શોખીન ટોળું હતું. મોખરે સરસ્વતી