“શાના અપરાધી ?” ડેપ્યુટીએ મીંચેલ પોપચે જ પૂછવા માંડ્યું.
શિવરાજે ઉત્તર ન આપ્યો.
“બાઈને બાળક રહ્યું તેના અપરાધી તમે જ છો, ને બીજા કોઈ જ નથી એમ તમે કહી શકો છો ? શા આધારે કહી શકો છો ? બાઈ કેટલો વખત તમારી સાથે હતી ?”
“એક દિવસ.”
“તે પછીના દિવસોની એની સીધી ચાલચલગત વિશે તમને ખાતરી છે ?”
“ના, જી.” શિવરાજે જ્યાં ભૂકંપ ઊઠવાની ધાસ્તી સેવેલી ત્યાં પોતાના રક્ષણની જ કિલ્લેબંદી થતી જાણી.
“તમને પાકી ખાતરી છે કે એણે પોતાનું બાળક મારી નાખ્યું છે ?”
“ના, જી.”
“ને એને જો બાળક હતું, બાળકને જો એણે મારી નાખ્યું હોય, તો તે બાળક તમારું જ હતું એવું તમે ખાતરીથી કહી શકો છો ?”
“ના, જી. એમ તો નહીં, પણ આ છોકરી અસલ તો સારી —”
“વેદિયા ન બનો. તમે પોતે કશું જ ચોક્કસ જાણો છો ?”
“ના, જી. હું કહી નથી શકતો.”
“ફક્ત અનુમાનોનાં વાદળમાં ગૂંચવાઓ છો ? અને એ અનુમાનને જોરે તમે આ છોકરીનો મુકદ્દમો ચલાવવાની ના પાડો છો ? ભાઈસાહેબ, તમે તો એ બાપડીને આજથી જ અપરાધી ગણી બેઠા છો એનો ન્યાય પણ તોળાયા પહેલાં.”
“એ ખરું !”
“તમે તમારી જાતને પણ અન્યાય આપી રહ્યા છો. માનો કે કદાચ છોકરીએ પોતાના બાળકની હત્યા કરી હોય, તો એ હત્યાના ગુનેગાર તમે કઈ રીતે બનો છો ?”
“મેં એને એ સ્થિતિમાં ઉતારી.”
“કબૂલ, એ જે થયું તે ઘણું બૂરું કામ થયું, પણ એ બૂરાઈને તે પછી આ બાઈએ આચરેલી બૂરાઈ સાથે શો સંબંધ છે ? તમારી એ બૂરા કામમાં સહાનુભૂતિ હતી ?”
“તોબાહ ! તોબાહ !”
“તમે એનો ત્યાગ કર્યો હતો ? તમે એને દુનિયાની દયા પર ફગાવી દીધી હતી ? તમે એને કદી પૈસા વિનાની રઝળાવી હતી ? એને છોકરું આવ્યું હોય તો છોકરાનું ભરણપોષણ એ ન કરી શકે તેવી સ્થિતિમાં શું તમે એને છોડી દીધી હતી ?”
“ના, જી. એમ હવે મારાથી ન કહી શકાય.”
“તો પછી એણે કરેલી બાળહત્યામાં તમારો હાથ છે એમ તમે કયા ન્યાયે કહી શકો છો ? એણે જો હત્યા કરી જ હોય, તો એના હેતુઓ જુદા જ હોવા જોઈએ. એ હેતુઓ ને એ કારણો જોડે તમારે કશી જ નિસબત નથી.”
“પણ… પણ મારી નૈતિક જવાબદારી.”
“નૈતિક જવાબદારી ? એ નૈતિક જવાબદારીના વેદિયાવેડાથી તો હું હવે ત્રાસી ગયો છું. ઓરતના પ્રત્યેક દુરાચરણને માટે જવાબદારી પુરુષની — એ બધા લાગણીવેડાનો અંત જ નથી. કાયદા અને ઈન્સાફનો પાયો એક જ વાતમાં છે કે ગુનો કરે તે ગુનેગાર. બીજી લપછપ શું વળી ?”
“ત્યારે તો આપનું એમ માનવું છે કે…”