પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શિવરાજની ગુરુ
૪૫
 


“મને કોલ દે, અજવાળી — કે કૂવાનો વિચાર તું કદી નહીં કરે”

અજવાળી તાકી રહી. શિવરાજના હાથની હથેળી અજવાળીની ફીલ ઝીલવા પહોળી થઈ રહી હતી. અજવાળીએ પંજાની અંદર કંઇક રેખાઓનું ચિતરામણ જોયું, પલવાર અજવાળીએ ચિતરામણમાં શિવરાજના લગ્નની રેખા ગોતી, આડીઅવળી ચોકડીઓ એને સાથિયા જેવી ભાસી. હું આમાં ક્યાં છું, એવી એણે ક્લ્પિત શોધ કરી.

“મને કોલ દે, અંજુ ! પછી હું માર્ગ કાઢું.”

અજવાળીએ પોતાનો પાણી પાણી બની જતો પંજો શિવરાજની હથેળીમાં ધરી દીધો. “બસ. હવે ? તું ઘરમાં જ રહેજે. હું રાતે પાછી આવું છું ,એક વાતની ગાંઠ વાળી રાખજે મનમાં કે હું તને નહીં છોડું, કદાપિ નહીં.”

“મને છોડી દો. તમે આબરૂદાર માણસ. ધરતી તમને સંઘરશે નહીં.”

“તો બેય જણાં ભેગાં જઈને પાણીનું શરણું લેશું."

“તમે આબરૂદાર —”

“અજવાળી, તું જ મારી આબરૂ છે. તને મેં ફશાવી છે, હવે હું તને નહી છોડુ, જો ઘરમાં જ રહેજે; નિરાંતે રહેજે. નાસ્તો છે તે પર નભાવી લેજે. હું હવે રાતે જ પાછો ફરીશ.”

અજવાળીને પોતાના મકાનમાં કેદ પૂરીને પોતે — એક મેજિસ્ટ્રેટ ! — કચેરી પર જતો હતો. અપરાધ તો પડ્યો હતો પોતાના જ આત્માની અંદર, જુવાન શિવરાજનું અંતર પોતે ઊભી કરેલી એ વિટંબણાની ઈમારત વચ્ચે એકાકી ઊભું ઊભું હસ્યું. પણ હાસ્યનો સમય ક્યાં હતો ? કચેરી પર જઈને એ મૅજિસ્ટ્રેટે કેફિયતો અને જુબાનીઓનું નાટક માંડ્યું.

“હું મારી છાતીએ ડામ દઉં, સાહેબ !” અજવાળીનો બાપ બોલ્યો : “છોકરીને દેવકરસન મા’રાજનો દીકરો ભોળવી ગયો છે.”

“કોણ — રામભાઈ ?”

“હા, હા, કેટલાય નજરે જોનારા કે’છે. ભળકડાની ગાડીમાં લઈને ભાગી ગ્યો છે, સા’બ! મને હમણે ખબર પડી.”

શિવરાજના મોં પર એક તેજની ઝલક ઊઠી : ઈશ્વરનો કોઈ સંકેત જ હતો કે શું ? કુદરત જ મારી ગુજરેલી રાત પર દુવા વરસાવી રહી છે ને શું !

એણે તપાસ કરાવી. માણસોએ આવીને ખબર આપ્યા : “સાચી વાત છે, સાહેબ ! રામભાઈ ઘરમાંથી ભાગી ગયો છે — ને એની સાથે કોઈક સ્ત્રી પણ રેલના ડબામાં ચડતી હતી તે ઘણાંએ જોયું છે.”

“હોય નહીં, કદી જ મનાય નહીં એમ કહી નાખનાર શિવરાજ અંદરખાનેથી તો ફાંસીની સજામાંથી છૂટેલા કેદીની જેમ થનગની રહ્યો હતો.

પોલીસ-ફોજદાર પણ આવી પહોંચ્યા હતા. એણે આગ્રહ પર આગ્રહ માંડ્યો કે, “આપ રજા આપો, સાહેબ ! સ્ટેશને સ્ટેશને તાર દઈએ.”

શિવરાજ દિઙ્મૂઢ જેવો બની રહ્યો. એણે કહ્યું : “જોઉં છું.”

“તો સાહેબ,” ફોજદારે બીજી વાત સૂચવી “દેવકૃષ્ણને ને એના ઘરના માણસોને તો બોલાવી લેશું ને ? એની જુબાનીઓ તો લેવી જોશે ને ?”

“કોને ? — હેં! — શું ?” શિવરાજ કશો નિર્ણય કરી શક્યો નહીં. એણે વાતને પકડવામાં ભૂલો કરવા માંડી. એના હાથમાં કલમ હતી તે વારે ને ઘડીએ ખડિયામાં બોળાતી રહી. ફોજદારસાહેબની અધીરાઈનો પાર નહોતો. દેવકૃષ્ણ પર તો એને પણ