પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રસ્તાવના

ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો; અને આરંભ પણ કરેલો. પણ એક પાનું ફૂલ્સકૅપનું પૂરું ન કરી શક્યો તેટલામાં મુંબઈની જ્વાળા સળગી અને મારું આદર્યું અધૂરું રહ્યું. ત્યાર પછી તો હું એક પછી એક એવા વ્યવસાયોમાં પડ્યો કે છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું. ભાઈ જેરામદાસ પણ હતા. એમણે મારી પાસે એવી માગણી કરી કે બીજાં બધાં કામ પડતાં મૂકીને મારે આત્મકથા તો પહેલી જ લખી નાખવી. મેં એમને જવાબ મોકલ્યો કે મારો અભ્યાસક્રમ ઘડાઈ ચૂક્યો છે, અને તે પૂરો થતાં સુધી હું આત્મકથાનો આરંભ ન કરી શકું. મને જો મારો પૂરો સમય યરવડામાં ગાળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હોત તો હું જરૂર ત્યાં જ આત્મકથા લખી શકત. પણ તેને પહોંચવાને હજુ મને એક વર્ષ બાકી હતું. તે પહેલાં હું કોઈ પણ રીતે આત્મકથાનો આરંભ પણ કરી શકું એમ નહોતું, એટલે તે રહી ગયું. હવે સ્વામી આનંદે ફરી પાછી એ જ માગણી કરી છે. અને મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો કર્યો છે, તેથી આત્મકથા લખવા લલચાયો છું. સ્વામીની માગણી તો એવી હતી કે મારે આખી કથા લખી નાખવી અને પછી તે પુસ્તકાકારે છપાય. મારી પાસે એકસામટો એટલો સમય નથી. જો લખું તો નવજીવનને સારુ જ લખી શકાય. મારે નવજીવન સારુ કંઈક તો લખવાનું હોય જ. તો આત્મકથા કાં નહીં ? સ્વામીએ એ નિર્ણય કબૂલ રાખ્યો, અને આત્મકથા લખવાનો હવે મને અવસર આવ્યો.

પણ આ નિર્ણય કરું છું એટલામાં એક નિર્મળ સાથીએ, સોમવારે હું મૌનમાં હતો ત્યારે, મને ધીમેથી નીચેના વાક્યો સંભળાવ્યાં :

“તમે આત્મકથા શું કામ લખવાના છો ? એ તો પશ્ચિમની પ્રથા છે. પૂર્વમાં કોઈએ લખી જાણી નથી. અને શું લખશો ? આજે જે વસ્તુને સિદ્ધાંત તરીકે માનો છો તેને કાલે માનતા અટકી જાઓ તો ? અથવા સિદ્ધાંતને અનુસરીને જે જે કાર્યો આજે કરો છો તે તે કાર્યોમાં પાછળથી ફેરફાર કરો તો ? તમારાં લખાણને ઘણાં મનુષ્યો પ્રમાણભૂત સમજી પોતાનું વર્તન ઘડે છે તેઓ ખોટી રીતે દોરવાઈ જાય તો ? તેથી સાવધાન રહી હાલ તુરત