પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ લડનો કેવો અને કઈ રીતે અંત આવ્યો એ વર્ણવીને ખેડા પ્રકરણ પુરું કરીશું.

૨૫. ખેડાની લડતનો અંત

લડતનો અંત વિચિત્ર રીતે આવ્યો. લોકો થાક્યા હતા એ સ્પષ્ટ હતું. મક્કમ રહેલાને છેવટ લગી ખુવાર થવા દેવામાં સંકોચ થતો હતો. સત્યાગ્રહીને યોગ્ય લાગે એવો કોઈ અંતનો શોભાયમાન માર્ગ મળે તો તે લેવા તરફ મારું વલણ હતું. એવો ઉપાય અણધાર્યો આવી પડ્યો. નડિયાદ તાલુકાના મામલતદારે કહેણ મોકલ્યું કે, જો સ્થિતિવાળા પાટીદારો મહેસૂલ ભરી આપે તો ગરીબનું મહેસૂલ મુલતવી રહે. આ બાબત મેં લેખિતવાર કબૂલાત માગી તે મળી. મામલતદાર પોતાના તાલુકાને સારુ જ જવાબદારી લઈ શકે, આખા જિલ્લાની જવાબદારી કલક્ટર જ લઈ શકે, તેથી મેં કલેક્ટરને પૂછયું. તેનો ઉત્તર ફરી વળ્યો કે મામલતદારે કહ્યું એવો હુકમ તો નીકળી જ ચૂક્યો છે. મને આવી ખબર નહોતી, પણ તે હુકમ નીકળ્યો હોય તો લોકોની પ્રતિજ્ઞાનું પાલન થયું ગણાય, પ્રતિજ્ઞામાં એ જ વસ્તુ હતી, તેથી એ હુકમથી સંતોષ માન્યો.

આમ છતાં આ અંતથી અમે કોઈ રાજી ન થઈ શક્યા. સત્યાગ્રહની લડત પાછળ મીઠાશ હોય તે આમાં નહોતી. કલેક્ટર જાણે તેણે કંઇ જ નવું નથી કર્યું. ગરીબ લોકોને છોડવાની વાત હતી, પણ તેઓ ભાગ્યે જ બચ્યા. ગરીબમાં કોણ એ કહેવાનો અધિકાર પ્રજા અજમાવી ન શકી. પ્રજામાં એ શક્તિ રહી નહોતી એનું મને દુઃખ હતું. તેથી અંતનો ઉત્સવ મનાયો, છતાં તે મને આ દૃષ્ટિએ નિસ્તેજ લાગ્યો.

સત્યાગ્રહનો શુદ્ધ અંત એ ગણાય કે, જ્યારે આરંભ કરતાં અંતમાં પ્રજામાં વધારે તેજ ને શક્તિ જોવામાં આવે. આ હું ન જોઇ શક્યો.

એમ છતાં આ લડાઇનાં જે અદૃશ્ય પરિણામો આવ્યાં તેમનો લાભ તો આજે પણ જોઇ શકાય છે, ને લેવાઇ રહ્યો છે. ખેડાની લડતથી ગુજરાતના ખેડૂતવર્ગની જાગૃતિનો, તેની રાજ્યપ્રકરણી કેળવણીનો આરંભ થયો.

વિદુષી ડા. બેસંટની 'હોમરૂલ'ની પ્રતિભાશાળી ચળવળે તેનો સ્પર્શ અવશ્ય કર્યો હતો, પણ ખેડૂતજીવનમાં શિક્ષિત વર્ગનો, સ્વયંસેવકોનો ખરો