પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪ મું
ખામોશીના પાઠ
 

 બાકી નાતજાતના કે મહાજનના બંદોબસ્ત આપણે જરૂર કરીએ. આપણામાંના નબળાને ટેકો આપવો એ જરૂરનો છે. કલેક્ટર સાહેબ તેમની મુલાકાતમાં સામાજિક બંદોબસ્તની ફરિયાદ કરે છે. પણ હું તેમને પૂછું છું કે તમારું સિવિલ સર્વિસનું જૂથ બીજું શું છે ? એક સભ્યની ભૂલ થઈ હોય તોયે બધા સાથે મળી તેને છાવરે છે કે નહિ ? તો ખેડૂત પોતાની ન્યાયની લડત ખાતર પોતાના બંદોબસ્ત કેમ ન કરે ? હું ખેડૂતોને સલાહ આપું છું કે તમે નાતજાતનાં બંધારણ જરૂર કરો. પણ લોકોને મારી નાંખવાની ને આગ મૂકવાની ધમકી અપાય છે એવી વાતો ઉપજાવી કાઢવાનું પણ કોઈને કારણ ન આપો. (સભામાંથી અવાજો — બનાવટી વાત, બનાવટી વાત.) તદ્દન બનાવટી ન પણ હોય. કોઈએ તાલુકામાંથી એવી વાત ઉડાડી હોય, અમલદારોએ કહી હોય એ સંભવિત છે. અંગ્રેજો પોતે આવી વાતો જોડી કાઢે તેવા નથી હોતા. આપણા લોકો સાહેબ પાસે જાય છે ત્યારે દિલમાં ન હોય તેવુંયે બોલી આવે છે એ હું જાણું છું; સાહેબ કેવી રીતે રાજી થશે તે શોધે છે અને ખોટી વાતો કરે છે; તેથી તો હું સલાહ આપતો આવ્યો છું કે તેમની પાસે જવું અને તેમના તેજમાં અંજાવું તે કરતાં તેમની પાસે જાઓ જ નહિ. હું આ તાલુકાની રગ ઓળખી ગયો છું. અહીં બે ઘોડે ચડવાનો પ્રયત્ન કરનારા થોડા માણસો છે. સરકાર છેવટે માને તોયે સુરક્ષિત રહેવાય અને લોકોને કચડે તોપણ બચી જવાય એવી પેરવીમાં તેઓ રહે છે. તેઓ તો ત્યાં જશે ત્યારે તેનું બોલશે અને આપણી પાસે આપણું બોલશે. પણ આપણું તપ સાચું હશે અને આપણી ખુવાર થવાની તૈયારી વિશે તેમને ખાત્રી થશે એટલે તે આપણી સાથે થવાના જ છે.”

આમ હવે લડતનો બીજો ખંડ શરૂ થયો કહેવાય. આ ખામોશીની સલાહ સાથે સરદારે પોતાના સિવાય બીજા કોઈ પણ જણે ભાષણ ન કરવાના મનાઈહુકમ કાઢ્યા, લોકો ટોળે ન થવાના હુકમ કાઢ્યા, સત્યાગ્રહગીતો ન ગાવાના હુકમ કાઢ્યા. કહેવાની જરૂર નથી કે આ બધા હુકમો અક્ષરશઃ પાળવામાં આવ્યા.