પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫ મું
લોઢું અને હથોડો
 

 લોકોની સખતમાં સખત કસોટી થવાને ટાણે તેમની હિંમત સોળે કળાએ પ્રગટી. શ્રી. વલ્લભભાઈની હૂંફ તો જરૂર આનું કારણ હતું, પણ સ્વતંત્ર રીતે પણ હવે તેમનામાં લડવાની અને ભોગો ખમવાની હિંમત આવી ગઈ. બેત્રણ લાખની જમીન તો આજ સુધીમાં ખાલસા નોટિસ તળે આવી ગઈ હતી, અને આટલી જુહાકી ચાલી રહી હતી છતાં શાંતિનો પાર નહોતો. બારડોલીએ પોતાની શાંત પ્રકૃતિની ખ્યાતિ સાચી પાડી. શ્રી. વલ્લભભાઈ આજે મહેસૂલ ન ભરવાની કે ભય ટાળવાની કે સરકારને ભૂલી જવાની વાતો પોતાના ભાષણમાં નહોતા કરતા, શાંતિના જ પાઠ ભણાવતા હતા અને હિંમત આપતા હતા :

“હજારો ધારાળાનાં જીવન સુધારનાર, મારા કરતાં ઘણા વધારે પવિત્ર એ ઋષિને પકડીને સરકાર માનતી હશે કે મારી પાંખ કપાઈ જશે. સરકાર મારી પાંખો કાપવા માગે છે પણ મારે પાંખો ઘણી છે. સરકારને ન્યાય ન કરવો હોય તો મને પકડે જ છૂટકો છે. હું સરકારને ખાતરી આપું છું કે મારી પાંખો તો વરસાદમાં જેમ ઘાસ ફૂટી નીકળે છે તેમ નવી ને નવી ફૂટતી જવાની છે.”

આ લડતની ખૂબી તો એ હતી કે જ્યારે એક બાજુએ શ્રી. રવિશંકરની ઉપર આ કેસ ચાલતો હતો ત્યારે શ્રી. વલ્લભભાઈ રાનીપરજ લોકોની હજારો માણસની સુંદર પરિષદ એક નાનકડા ગામમાં ભરી રહ્યા હતા, અને એ રાનીપરજમાં કાર્ય કરનારાઓ એક આદર્શ ખાદીપ્રદર્શન ભરીને બેઠા હતા.

રવિશંકરભાઈના જેલ ગયાના ખબર ગુજરાતમાં વીજળીવેગે ફેલાઈ ગયા. ડા. સુમંત મહેતા આખી લડતનો રંગ શાંતિથી નિહાળ્યા કરતા હતા, કદી કદી વર્તમાનપત્રોમાં કાગળ લખીને ગુજરાતને ચેતવતા કે બારડોલીમાં શું ચાલી રહ્યું છે તે વિષે બેદરકાર ન રહો, ગાયકવાડી ગામડાંમાં ઠરાવ કરાવતા હતા કે બારડોલીમાં જપ્તીઓ થાય તેમાં સરકારને કોઈ પણ રીતે મદદ કરવા જશો નહિ, અને પાડોશી ધર્મમાંથી ચૂકશો નહિ. હવે ડા. સુમંતથી આટલાથી સંતોષ માનીને બેસી ન રહેવાયું, તેમણે પોતાની સેવાનો ઉપયોગ કરવાની સરદારને વિનંતિ કરી. સરદારે તેમને રવિશંકરભાઈની

૧૧૫