પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


કરાવતાં એક મિત્રે કહ્યું: ‘ આ પટેલ તો વલ્લભભાઈને કહેવા આવ્યા છે કે અમારું માથું તમને આપ્યું છે, નાક નથી આપ્યું.’ ગાંધીજી હસ્યા, અને બોલ્યા : ‘વલ્લભભાઈને પણ નાક હશેને ! પણ તમારું નાક જાળવવામાં જ વલ્લભભાઈની અને દેશની શેભા છે.’

આ પછી ગાંધીજી કહે : ‘ઠીક; પણ હજી તમારી પરીક્ષા તો આવે છે.’

ખેડૂતો સાનમાં સમજી ગયા. તેમાંના એકે જવાબ આપ્યો : ‘તૈયાર છીએ.’

કસોટીની અનેક વાતો તેમની પાસે ગાંધીજીએ મૂકી, એટલે તેઓ કહે: ‘સાચી વાત છે. હજી અમારી શી કસોટી થઈ ? પંદરવીશ હજારનાં ભેંસડાં ગુમાવ્યાં, જમીન ગુમાવી, પણ જેને કસોટી કહીએ તેવી કસોટી હજી નથી થઈ. એ થવાની હોય તો ભલે થાય.’

‘પણ ધારો કે વલ્લભભાઈને સરકાર ઉઠાવી લે તો તમે દબાઈ ન જાઓ ?’

‘શું કરવા ? અમે તો લોઢું હતા, તેને વલ્લભભાઈએ પાણી પાઈને ખરું (પોલાદ) બનાવ્યા છે. એટલે અમે એક વાત સમજીએ છીએ કે મરણ થાય પણ ટેકને વળગી રહેવું.’

ગાંધીજી કહે: ‘એ તો લડતની તૈયારી, પણ સમાધાન થઈ જાય તો તેને માટે પણ તૈયાર છોના ? કેમકે સમાધાન પછી પણ ઘણું મોટું કામ કરવાનું છે, ઘણું મુશ્કેલ કામ કરવાનું રહે છે, — જૂનું મહેસૂલ વલ્લભભાઈ કહે છે તેમ તુરત ભરી દેવાનું, અને મહેસૂલ વધારી શકાય એવી બિલકુલ સ્થિતિ નથી એમ સિદ્ધ કરી આપવાનું.’ ગાંધીજી જે સમતાની સ્થિતિની આશા રાખતા હતા તે જ સ્થિતિ આ લોકોની હતી.

મેં તો તેમને ગોળીબારની પણ વાતો કરી. હસતાં હસતાં પેલા બોલ્યા: ‘એ તો અત્યારથી શું કહેવાય ? પણ ગોળીબાર કેટલાકને મારશે ? પલેગમાં મૂઆંતા તેના કરતાં તો વધારે નહિ મરે. મારા ગામમાંથી જ ૪૦૦ માણસ મૂઆંતાં !’

૨૪૮