પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦ મું
જેને રામ રાખે
 


અને સરકારે વધારેલું મહેસૂલ વસૂલ કરવાને લીધેલાં બળજોરીનાં પગલાં વિષે લોકોએ કરેલી ફરિયાદની તપાસ કરી તેનો રિપોર્ટ કરવો.

૪. બધી જમીન પાછી આપવામાં આવે.

૫. બધા સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકવામાં આવે.

૬. બધા પટેલતલાટીઓને પાછા નોકરીએ ચડાવવામાં આવે.

૭. વાલોડના દારૂવાળાને નુકસાન થયેલું ભરપાઈ કરી આપવું.

ગાંધીજીએ શ્રી. મુનશીને મોઢે એટલું કહ્યું હતું કે જો સમાધાનીમાં પેલી બળજોરીનાં પગલાં વિષેની તપાસ એ વિઘ્નરૂપ થઈ પડે તો સત્યાગ્રહીઓ તે ખુશીથી છોડી દેશે.

આ શરત લઈને શ્રી. મુનશી ગવર્નરની પાસે ગયા પણ એ મુલાકાતથી તેમને કશો સંતોષ ન થયો. આ પછી તરત ધારાસભાના બે સભ્યો, શ્રી, હરિભાઈ અમીન અને નરીમાન, ગાંધીજીને સાબરમતી મળ્યા. તેમની પાસે નવો જવાબ આપવાનો હતો નહિ, જે શ્રી. મુનશીને કહ્યું હતું તે તેમને કહ્યું. તેમની આગળ પણ કહ્યું કે બળજોરીનાં પગલાં વિષેની તપાસની માગણી છોડી દેવી પડે તો છોડી દેવી. ગાંધીજીએ તેમને એવી પણ ખાતરી આપી કે ઉપલી શરતો મુજબ સમાધાની કરવા માટે પૂનામાં વલ્લભભાઈની જરૂર લાગે તો તેઓ ત્યાં ખુશીથી જશે.

આવી સ્થિતિ હતી. બારડોલીમાં તો હું કહી ગયો તેમ અખંડ શાંતિ હતી. સરદાર પકડાશે જ એમ હવે સૌ કાઈ માનતું હતું, અને તેઓ પકડાય પછી તેમની ગાદી લેવાને બદલે તેઓ પકડાય તે પહેલાં ત્યાં પહોંચી જઈ તેમની પાસે હુકમ લેવાનું ગાંધીજીએ બહેતર માન્યું. તા. ૨ જી ઑગસ્ટે ગાંધીજી બારડોલી પહોંચ્યા. ત્યાં જઈને તેમણે જોયું કે બારડોલી વિષે બારડોલી બહાર જેટલી વાત થઈ રહી છે તેના સોમા ભાગની બારડોલીમાં થતી નથી. બે દિવસ તેમની વચ્ચે રહેવાથી તેમની ખાતરી થઈ કે ‘બારડોલીના લોકો ભગવાનને ભરોસે કુશળ છે’ એમ કહેવામાં તેમણે કશી ભૂલ કરી નહોતી.

બપોર પછી ત્રણચાર મોટાંમોટાં ગામના ખેડૂતો કાદવપાણી ખૂંદીને ગાંધીજીને મળવા આવ્યા હતા. એક પટેલની ઓળખાણ

૨૪૭