પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧ મું
સત્યાગ્રહનો જયજયકાર
 


સહી કરી — એ ત્રણચાર શા સારુ અંદર ભળ્યા એ ભગવાન જાણે. એ જ વખતે સર ચુનીલાલ મહેતાની વિનંતિથી રા. બ. ભીમભાઈ નાયક, શ્રી. કનૈયાલાલ મુનશી, અને બીજા કેટલાક સૂરત કલેક્ટરને મળી સત્યાગ્રહીઓની વેચેલી જમીન પાછી મૂળ માલિકાને નામે ચડાવી દેવડાવવા માટે સુરત ગયા. આ ખરીદનાર તો ઈનમીન અને સાડાતીન હતા. તેમને કલેક્ટરે ઢૂંઢાવી મંગાવ્યા, અને તેમને સમજાવી, દબાવીને તેમણે બધાએ મળી ૧૨,૦૦૦ રૂપિયાની જમીન ખરીદેલી તેટલા ૧૨,૦૦૦ રૂપિયા પાછા આપી તેમની પાસે જમીન છોડાવવામાં આવી. આ લોકોને જૂના કલેક્ટર અને કમિશનરે પોતાની ગાંઠનાં વચનો આપ્યાં હશે, એટલે એ જમીન તેમની પાસે છોડાવવી કેટલી મુશ્કેલ પડી હતી તેનું રમૂજી વર્ણન આ પ્રકરણમાં અગ્રગણ્ય ભાગ લેનાર શ્રી. મુનશીએ શ્રી. વલ્લભભાઈને મોકલ્યું હતું. જૂના કલેક્ટરે બિચારાએ ઘણીવાર પોતાનાં ‘શુભ વચનો’માં કહેલું કે વેચેલી અને ખાલસા થયેલી જમીન કદી પાછી આપવામાં ન આવે, તેમને તો આ ટાંકણે જ સરકારે બીજા જિલ્લામાં મોકલી દીધા હતા, અને નવા કલેક્ટર મિ. ગૅરેટને આ કામ કરવામાં કાંઈ નાનમ લાગે એમ નહોતું. જે દિવસે સૂરતના સભ્યોએ પેલો કાગળ લખ્યો તે જ દિવસે ગાંધીજીએ અને શ્રી. વલ્લભભાઈએ જે શબ્દોમાં માગેલી હતી તે જ શબ્દોમાં તપાસસમિતિ નિમાવાનું જાહેર થયું. અને પેલા બીજા કાગળના જવાબમાં રેવન્યુ મેમ્બરે લખ્યું કે બધી જમીન પાછી આપી દેવામાં આવશે, કેદીઓ બધા છૂટી જશે, અને તલાટીઓ ઘટતા શબ્દોમાં અરજી કરે એટલે તેમને પાછા નોકરી ઉપર ચડાવવામાં આવશે. શ્રી. વલ્લભભાઈએ આટલું થયું એટલે પોતાનો સંતોષ જાહેર કર્યો, અને જાહેર રીતે તેમણે સરકાર સુદ્ધાં સૌનો આભાર માન્યો, અને ખેડૂતોને ઉદ્દેશીને પત્રિકા કાઢી તેમાંનો મુખ્ય ભાગ આ હતો :

“આપણી ટેક જાળવવાને સારુ આપણે ઈશ્વરનો પાડ માનીએ. આપણે હવે જૂનું મહેસૂલ ભરવાનું છે, વધારો ભરવાનો નથી. જૂનું

૨૫૫