પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


એટલી જ વાત બસ હતી. તેમની પાસે શેહેરોની જેમ કીમતી હારોમાં પૈસા ખર્ચવાના નહોતા, તેઓ તો ભર વરસાદમાં કાદવકીચડ ખૂંદીને, નદીઓ ઊતરીને, પોતાના કાંતેલા સૂતરના હારો લઈ ને આવ્યાં હતાં. હા, આજે જેમ તેમને આનંદની ઘડી હતી, પોતાના વહાલા નેતાઓ આવ્યાની વધામણી હતી, તેમ તેમને એક રમણીય મૂંઝવણ પણ હતી. પાટીદારની સ્ત્રીઓ તો સંતના દર્શને ખાલી હાથે જાય જ નહિ, એટલે ભેટો લઈને આવી હતી. પહેલી ભેટ તો ગાંધીજીને ધરવાની હોય, પણ પછી પાસે ન હોય તો વલ્લભભાઈને શું ધરવું ? જેની પાસે બે રૂપિયા હોય તે તો રૂપિયો રૂપિયો બંને મૂર્તિઓ આગળ મૂકીને સંતોષ માનતાં, પણ એક હોય તેનું શું થાય ? પાંચ હોય તો ત્રણ ગાંધીજી આગળ મૂકે, બે વલ્લભભાઈ આગળ મૂકે, એમાં પણ મૂંઝવણ તો હતી જ. જગતમાં એકથી બધું સધાય છે, બેથી બગડે છે એમ કહેવત છે, પણ આ સત્યાગ્રહી પાટીદારણોને તે બેકી ભેટ હોય તો મૂંઝવણ મટતી હતી, એકી હોય તો મૂંઝવણ વધતી હતી. તેમની મૂંઝવણ ભલે વધતી હોય કે ધટતી હોય, તટસ્થ પ્રેક્ષકને એ બંને સ્થિતિમાં ઊભરાતા પ્રેમનાં દર્શન થતાં હતાં. સત્યાગ્રહની લડતનાં કાવ્યો બનાવનાર કવિએ તો વિજયનાં ગીતો બનાવ્યાં હતાં, પણ આ પાટીદાર બહેને તો પેાતાનાં પુરાણાં ગીતો જ ગાતી હતી — ‘ગાંધીજી સવરાજ લઈ વેલા આવજોરે,’ ‘સાબરમતી આશ્રમ સોહામણું રે,’ એવાં એવાં ધ્રુવભાવનાં ગીતો જ તેમને મોઢે ચડતાં હતાં, રાનીપરજ બહેનોને રૂપિયા આપવાના હોય નહિ એટલે મોટી મૂંઝવણ પડતી નહોતી. પોતે કાંતેલા સૂતરના હારો તેઓ બંને મૂર્તિઓને પહેરાવીને આનંદ માનતી હતી, અને રેંટિયા અને દારૂનિષેધનાં ગીતો ગાતી હતી.

પીશો મા, પીશો મા, પીશો મા, દારૂ પીશો મા.
અમે પીશું તો ગાંધીરસ પીશું — દારૂ૦
અમે પીશું તો રામરસ પીશું — દારૂ ૦

આ સાદી સીધી કડીઓમાં તેમનો નૈસર્ગિક કંઠ પુરાઈને જે અસર થતી હતી તેના ભણકારા હજી કાનમાં વાગ્યા કરે છે, અને

૨૬૮