પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લડત કેમ મંડાઈ?
 


લવાદપંચના નિવેડા વિષે પણ હમેશાં થાય છે તેની જ કરી હતી. નિવેડામાં પણ લવાદથી ચોખ્ખી ભૂલો થઈ હોય તો તે પાછળથી સુધારવામાં આવે છે. મારી નમ્ર માન્યતા છે કે મિ. બ્રૂમફીલ્ડ અને મિ. મૅક્સવેલે અતિશય મહેનતથી તૈયાર કરેલા રિપોર્ટ બીજી રીતે સ્તુતિપાત્ર છે છતાં તેમાં સ્પષ્ટ ભૂલો રહી ગયેલી છે, અને એવી ભૂલો વિષે મેં સરકારનું ધ્યાન ખેંચ્યું છે. પણ દુઃખની વાત એ છે કે જ્યારે અરજીઓ દ્વારા દેખીતા અન્યાય વિષે સરકારનું ધ્યાન ખેંચવામાં આવે છે ત્યારે સરકાર કશી દાદ દેતી નથી. દેખીતા અન્યાય અને સંકટના દાખલાઓમાં પણ સત્યાગ્રહ કરીને જ સરકારની આંખ ઉઘાડી શકાય એ શુભ ચિહ્ન નથી. મારે રૈયતને હવે વધારે સંકટ સહન કરાવવું નથી, એટલે મારા ધારવા પ્રમાણે જે દેખીતો અન્યાય છે તે પણ સાંખી લેવો રહ્યો.

તમારા કાગળમાં પેલી બીજી વાત વિષે તો કશો ઉલ્લેખ જ નથી ― જાણી જોઈને તો ન હોય ? બારડોલી અને ચોર્યાસીને નવા કાયદાનો લાભ મળશે જ એમ માની લઉં ?

આજથી કશું વચન ન અપાય

આ કાગળનો જવાબ સર જે. એલ. રૂએ ૮ મી ઑગસ્ટના પોતાના પત્રથી આપ્યો :

તમે તો સ્પષ્ટ અન્યાયની વાત કરો છો, પણ એ અન્યાય થયો છે એમ તો સિદ્ધ કર્યું નથી. અને વળી ભૂલો થાય તે બધી રૈયતના જ અહિતમાં હોય એમ પણ તમે કેમ માની લીધું ? સરકારના અહિતમાં પણ એ ભૂલો થતી હોય.

તમારા બીજા પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે નામદાર ગવર્નરના ભાષણ ઉપરથી અને શ્રી. પાટસ્કરના ઠરાવ ઉપર મેં કરેલા ભાષણ ઉપરથી તમે જોયું હશે કે ભવિષ્યમાં જે નવો કાયદો થશે તે મુજબ બારડોલી અને ચોર્યાસીમાં થયેલી નવી જમાબંધી ફરી તપાસવામાં આવશે એવી કબૂલાત સરકાર આપી શકતી નથી.

સત્યાગ્રહ કરવાની ફરજ પાડશો !

ઉપરના કાગળનો શ્રી. વલ્લભભાઈ એ નીચે પ્રમાણે જવાબ આપ્યો, જે આ પત્રવ્યવહારમાં છેવટનો કાગળ છે :

બ્રૂમફીલ્ડ કમિટીના બીજી રીતે સરસ રિપોર્ટમાં દેખીતી ભૂલો વિષે હવે તમારી સાથે હું દલીલ ન કરું. મેં તો સમાધાની વેળા સરકારને કહ્યું હતું કે કમિટીની ભલામણો બંને પક્ષ અક્ષરશઃ સ્વીકારે એવી સમાધાનીમાં

૩૭૫