પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૪૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરિશિષ્ટ ૪

મુનશી સમિતિના નિર્ણયોનો સારાંશ

૧. કેટલાક દાખલાઓમાં ખાલસા નોટિસો કાયદા પ્રમાણે તૈયાર કરવામાં અને ચોડવામાં આવી નહોતી, કેટલાક દાખલામાં નોટિસો ખોટે ઠેકાણે ચોડાઈ હતી, અને કેટલીક નોટિસો તેમાં જણાવવામાં આવેલી મુદત વીત્યા બાદ લાંબા વખત પછી ચોટાડવામાં આવી હતી. અમારી આગળ રજૂ કરવામાં આવેલી નિયમબાહ્ય નાટિસોની સંખ્યા સારી જેટલી છે, અને તે તાલુકાના જુદાજુદા ભાગોમાંથી આવી છે. તે ઉપરથી જણાય છે કે આ નિયમબાહ્યતા તાલુકાની અમુક નાની મર્યાદામાં જ નહોતી.

૨. બારડોલીની ઘણીખરી જમીન વિષે ખાતેદારો સામે ૬૦૦૦થી વધુ નોટિસો કાઢવામાં આવી હતી. તે તે જમીનોમાંથી લેવાના મહેસૂલ સાથે આ જમીનોની કિંમત મુદ્દલ પ્રમાણસર નહોતી કારણ કે સરકારી અહેવાલો પ્રમાણે બારડોલીની જમીનની સરાસરી કિંમત એ ઉપરના સરકારી ધારા કરતાં ૫૦-૧૦૦ ગણી વધારે છે. આ પ્રમાણે ખાલસા કરવું એનો નૈતિક દૃષ્ટિએ કે રાજકારોબારની દૃષ્ટિએ બચાવ થઈ જ ન શકે.

૩. જમીન વેચી નાંખવાના સંબંધમાં કારોબારી ખાતા પાસે રહેલી આકરી સત્તાની રૂએ : રૂા. ૩,૦૦,૦૦૦, ની કિંમતની જમીનો રૂા. ૧૧,૦૦૦માં વેચી કાઢવામાં આવી. આમ, લેવાના મહેસૂલના પ્રમાણમાં અનેકગણી કિંમતની જમીન વેચી નાંખવામાં આવે એ અન્યાય્ય છે, પછી ભલે તે શિરસ્તાની રૂએ હોય.

૪. ઘણા કિસ્સાઓમાં જપ્તી માટે લેવાયેલાં પગલાં અને જંગમ મિલકતનાં વેચાણો ગેરકાયદે કે નિયમબાહ્ય હતાં.

૩૮૬