પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાયહનો ઇતિહાસ
પ્રકરણ
 


આમ લડતનાં જોખમો પૂરાં વિચારજો. એમાં જેટલાં મોટાં જોખમો છે તેટલાં જ મોટાં પરિણામો સમાયેલાં છે એ યાદ રાખજો. કામ જેટલું મુશ્કેલ છે તેટલું જ મહત્ત્વનું છે. જરા સખ્તાઈ થતાં જ જો તમે આમાંથી ખડી જવાના હો તો તેમાં તમને એકલાને જ નહિ પણ ગુજરાતને ને આખા હિંદુસ્તાનને નુકસાન પહોંચવાનું છે. માટે જે નિશ્ચય કરો તે ઈશ્વરને હાજર સમજીને પાકે પાયે કરો કે પાછળથી કોઈ તમારા તરફ આગળી ન ચીંધે. જો તમારા મનમાં એમ હોય કે મીણનો હાકેમ પણ લોઢાના ચણા ચવડાવે ત્યાં એવડી મોટી સત્તા સામે તો આપણું શું ગજું, તો તમે આ વાત છોડી જ દેજો. પણ જો તમને લાગે કે આવા સવાલમાં તો લડવું જ ધર્મ છે, જો તેમને લાગે કે જે રાજ્ય કોઈ રીતે ઈન્સાફની વાત કરવા તૈયાર નથી તેની સામે ન લડવું ને પૈસા ભરી દેવા તેમાં આપણી ને આપણાં બાળબચ્ચાંની બરબાદી જ થાય છે, એટલું જ નહિ પણ આપણું સ્વમાન પણ જાય છે, તો તમે આ લડત માથે લેજો.

આ કંઈ લાખ સવાલાખના વધારાનો કે ૩૦ વરસના સાડતીસ લાખનો સવાલ નથી, પણ સાચજૂઠનો સવાલ છે, સ્વમાનનો સવાલ છે. આ સરકારમાં હમેશને માટે ખેડૂતનું કોઈ સાંભળનાર જ નહિ એ પ્રથાની સામે આમાં થવાનું છે. રાજ્ય આખાની મદાર ખેડૂત પર છે. રાજ્યતંત્ર બધું ખેડૂત પર ચાલે છે. છતાં તેનું કોઈ સાંભળતું જ નથી, તેને કોઈ દાદ દેતું નથી. તમે કહો તે બધું ખરું જ. આ સ્થિતિ સામે થવું એ તમારો ધર્મ છે, અને તે એવી રીતે સામા થવું કે જેથી ઈશ્વરને ત્યાં જવાબ દેવો પડે તે દિવસે તમને ભારે ન પડે. મિજાજ કાબુમાં રાખીને, સાચ ઉપર અડગ રહીને, સંયમ પાળીને, સરકાર સામા ઝૂઝવાનું છે. જપ્તી અમલદારો આવશે, તમને ખૂબ સતાવશે, ઉશ્કેરણીનાં કારણો આપશે, ગમે તેવી ભાષા વાપરશે, તમારી સતાવણી કરશે, અને જેટલી જેટલી તમારી નબળાઈઓ તેમના જોવામાં આવશે તેટલી મારફતે તમારા ઉપર હુમલા કરવા મથશે છતાં મુખ્ય વસ્તુ ઉપરથી તમે ન ડગશો, અહિંસાની પ્રતિજ્ઞા ઉપરથી ન ચળશો. શાંતિથી ને સંયમથી દૃઢ રહેજો કે અમારે હાથે કરીને સરકારને પાઈ પણ નથી આપવી, જોઈએ તો જપ્તીઓ કરો, ખાલસા કરો, ખેતર પર જાઓ, હરાજીઓ બોલાવો, જે કંઈ કરવું હોય તે જબરદસ્તીથી કરો, મરજિયાત કંઈ નહિ કરાવી શકો; અમારે હાથે તમને કશું નહિ મળે. એ જ આ લડતનો મૂળ પાયો છે. આટલું જો તમે કરી શકો તો ધાર્યું પરિણામ આવે જ એ વિષે મને કંઈ શંકા નથી. કારણ તમારી લડત સાચ ઉપર મંડાયેલી છે.”

૪૨