પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯ મું
ખુમારીના પાઠ
 


આરંભની આકરી વાણી પોતાનું કામ કર્યે જતી હતી. “તમારા આસિસ્ટંટ કલેક્ટર ગામબહાર મુકામ કરે છે અને ચિઠ્ઠી લખીને લોકોને બોલાવે છે. તેની પાસે જવાની તમારે શી મતલબ ? તેને જવાબ લખી આપો કે ભૂખ્યા હો તો જુવારનો રોટલો તૈયાર છે, અમારા ગામને પાદરથી કોઈ ભૂખ્યો ન જાય. એ અમલદાર તમને કહે છે : ‘મારી ખાતર તો એક રૂપિયો ભરો.’ એને તમે કહોની કે ‘અમારી ખાતર તુંયે રાજીનામું આપી દેની. દુઃખને વખતે રૈયતને પડખે ઊભો રહે તે અમલદાર, બાકી બધા હવાલદાર.’”

આમ જ્યાં ડેપ્યુટી કલેક્ટર હવાલદાર ઠરતા હતા ત્યાં પટેલતલાટીનાં તો ગજા શાં ? “પટેલ તો ગામનો ધણી છે, ગામનું મુખ છે, એ સરકારને લોકો તરફથી સંભળાવનાર છે. પટેલ કાંઈ સરકારનો વેચાણ થયેલો સાત રૂપિયાનો દૂબળો નથી. સાત રૂપિયા ખાતર જે માણસ પોતાના કુટુંબીઓનાં ઘરનાં ગોદડાં ચૂંથવા જાય એને દૂબળો ન કહીએ તો શું કહીએ ? અરે, દૂબળો પણ પોતાના ધણિયામાના ઘરમાં એવું કામ કરવા ન પેસે. પટેલ વેઠિયો નથી. અને એવાં કામ કરાવે એ પટલાઈ ઉપર પૂળો મૂકોની. તમારા કરતાં તો મજૂરી કરનારને મજૂરી વધારે મળે છે.’ તલાટીઓ વિષે બોલતાં : ‘તમારું વાલોડ તલાટીઓ પેદા કરનારી એક ખાણ છે. તમે પૈસા ખરચી ખરચીને છોકરાઓને ભણાવો છે તેના આવા તલાટી પાકે છે. એવા ભણ્યા કરતાં આ રવિશંકર જેવો વગર ભણ્યો બ્રાહ્મણ શો ખોટો ? તમને મનમાં મોટાઈ આવે છે કે અમારો છોકરો ભણીને પછી તલાટી થશે, બજારમાં નીકળે તો પાછળ વેઠિયા ચાલતા હશે. પણ એ જ છોકરાને સરકારનો હુકમ થશે ત્યારે સગા બાપને ઘેર જપ્તી કરવા જવું પડશે. આ બધી સરકારની અને તેની કેળવણીની માયાના ખેલ છે.”

લગભગ ૬૦ પટેલોએ બારડોલીમાં ભેગા થઈ શ્રી. વલ્લભભાઈ આગળ પ્રતિજ્ઞા કરી કે જપ્તીના મેલા કામમાં ભાગ ન લઈએ. ઢેડ લોકો અને બીજાઓ વેઠિયા તરીકે જપ્તીની વસ્તુ ન ઉપાડવાની પ્રતિજ્ઞાના ઠરાવો કરવા લાગ્યા.

૬૯