પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કૃષ્ણ-સુદામા આખ્યાન કડવું ચોથું

પછી સુદામોજી બોલિયા સુણ સુંદરી રે
હું કહું તે સાચું માન ઘેલી કોણે કરી રે

જે નિરમ્યું તે પામીએ સુણ સુંદરી રે
વિધિએ લખી વૃદ્ધિહાણ ઘેલી કોણે કરી રે

સુકૃત દુકૃત બે મિત્ર છે સુણ સુંદરી રે
જાય પ્રાણ આત્માને સાથ ઘેલી કોણે કરી રે

દીધા વિના કેમ પામીએ સુણ સુંદરી રે
નથી આપ્યું જમણે હાથ ઘેલી કોણે કરી રે

જો ખડધાન ખેડી વાવિયું સુણ સુંદરી રે
તો ક્યાંથી જમીએ શાળ ઘેલી કોણે કરી રે

જળ વહી ગયે શું શોચવું સુણ સુંદરી રે
જો પ્રથમ ન બાંધી પાળ ઘેલી કોણે કરી રે

અતિથિ ભૂખ્યા વળાવિયા સુણ સુંદરી રે
તો ક્યાંથી પામીએ અન્ન ઘેલી કોણે કરી રે

સંતોષ સુખ ન ચાખિયાં સુણ સુંદરી રે
હરિચરણે ન સોંપ્યાં મંન ઘેલી કોણે કરી રે

ભક્તિ કરતાં નવનધ આપશે સુણ સુંદરી રે
એવું સાંભળી બોલી સ્ત્રી જન ઘેલી કોણે કરી રે

જળ આંખે ભરી અબળા કહે ઋષિરાયજી રે
મારું દ્રઢ થયું છે મંન લાગું પાયજી રે

એ જ્ઞાન મને ગમતું નથી ઋષિરાયજી રે
રુએ બાળક લાવો અન્ન લાગું પાયજી રે