પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અથવા નિજકુળધર્મના, તેગુરૂમાં જ મમત્વ. ૨૪

જે જિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ,
વર્ણન સમજે જિનનું, રોકિ રહે નિજબુદ્ધિ. ૨૫

પ્રત્યક્ષ સદગુરુ યોગમાં, વર્ત્તે દ્રષ્ટિ વિમૂખ,
અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. ૨૬

દેવાદી ગતિભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન,
માને નિજમત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન. ૨૭

લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન,
ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮

અથવા નિશ્ચય નયગ્રહે, માત્ર શબ્દની માંય,
લોપે સદ્વ્યવહારને, સાધન રહીત થાય. ૨૯

જ્ઞાનદશા પામે નહીં, સાધન દશા ન કાંઈ,
પામે તેનો સંગ જે, તે બુડે ભવમાંહિ. ૩૦

એ પણ જીવમતાર્થમાં, નિજમાનાદી કાજ,
પામે નહીં પરમાર્થને, અન અધિકારીમાજ. ૩૧

નહિં કષાય ઉપશાંતતા, નહિં અંતર વૈરાગ્ય,
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થિ દુર્ભાગ્ય. ૩૨

લક્ષણ કહ્યાં મતાર્થિના, મતાર્થ જાવા કાજ,
હવે કહું આત્માર્થિના, આત્મઅર્થ સુખસાજ. ૩૩

આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરૂ હોય,
બાકી કુળ ગુરુ કલ્પના, આત્માર્થિ નહિં જોય. ૩૪

પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર,
ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫

એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ,
પ્રેરેતે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬